- Sports
- બાંગ્લાદેશ ક્રિકેટમાં બળવો, ખેલાડીઓ-બોર્ડ સામ-સામે
બાંગ્લાદેશ ક્રિકેટમાં બળવો, ખેલાડીઓ-બોર્ડ સામ-સામે
બાંગ્લાદેશ ક્રિકેટમાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે. દેશના ટોચના અને સ્થાનિક ખેલાડીઓએ હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વિરુદ્ધ ખૂલીને મોરચો ખોલી દીધો છે. ખેલાડીઓએ ધમકી આપી છે કે જો BCBના ડિરેક્ટર અને ફાઇનાન્સ કમિટીના ચેરમેન નઝમુલ ઇસ્લામ તાત્કાલિક રાજીનામું નહીં આપે તો બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) અને ઘરેલુ ટૂર્નામેન્ટ સહિતની તમામ ક્રિકેટ ગતિવિધિઓ બંધ કરી દેશે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, ક્રિકેટર્સ વેલ્ફેર એસોસિએશન ઓફ બાંગ્લાદેશ (CWAB) તરફથી એક કટોકટી ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જ્યાં ખેલાડીઓના પ્રતિનિધિ અને વરિષ્ઠ ક્રિકેટર મોહમ્મદ મિથુને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એમ. નઝમુલ ઇસ્લામના નિવેદનો હવે અસહ્ય થઈ ચૂક્યા છે.
મામલો ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે એમ. નઝમુલ ઇસ્લામે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જો બાંગ્લાદેશ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 નહીં રમે, તો તેનાથી બોર્ડને નહીં, પરંતુ માત્ર ખેલાડીઓને જ નાણાકીય નુકસાન થશે અને બોર્ડ તેમને નુકસાન માટે વળતર આપશે નહીં. CWABએ આ નિવેદનને માત્ર અપમાનજનક જ નહીં પરંતુ ખેલાડીઓ માટે નિરાશાજનક પણ ગણાવ્યું.
CWABના પ્રમુખ મોહમ્મદ મિથુને કહ્યું કે, ‘બોર્ડ ડિરેક્ટરના શબ્દો ખેલાડીઓ માટે ખૂબ જ અપમાનજનક છે. અમે વારંવાર ચૂપ રહ્યા છીએ, પરંતુ હવે હદ વટી ગઈ છે. આ ગુસ્સો ફક્ત એક નિવેદનનું પરિણામ નથી; ખેલાડીઓની નારાજગી મહિનાઓથી વધી રહી છે. જો નઝમુલ ઇસ્લામ 15 જાન્યુઆરીએ BPL મેચ પહેલા રાજીનામું નહીં આપે, તો અમે દેશભરમાં ક્રિકેટ ગતિવિધિઓનો બહિષ્કાર કરીશું.’
ખેલાડીઓની ચીમકી બાદ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તરત જ હરકતમાં આવ્યું. બોર્ડે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘નઝમુલ ઇસ્લામના નિવેદનો બોર્ડનો સત્તાવાર અભિપ્રાય નથી. બોર્ડ કોઈપણ અનુચિત અને અપમાનજનક ટિપ્પણીઓ બદલ દિલગીરી વ્યક્ત કરે છે. ખેલાડીઓ બોર્ડની કરોડરજ્જૂ છે અને સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે.’
આ એ જ એમ. નઝમુલ ઇસ્લામ છે, જેણે તમીમ ઇકબાલને ‘ભારતીય એજન્ટ’ કહ્યો હતો, જેના કારણે બાંગ્લાદેશી ખેલાડીઓ તરફથી આકરી ટીકા થઈ હતી. હવે બધી નજર 15 જાન્યુઆરીએ યોજાનારી BPL મેચ પર છે. શું બાંગ્લાદેશ ક્રિકેટ ઠપ્પ થઈ જશે? પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. જો નઝમુલ ઇસ્લામ રાજીનામું નહીં આપે, તો BPL બંધ થઈ શકે છે. ઘરેલુ ટુર્નામેન્ટ સ્થગિત થઈ શકે છે. રાષ્ટ્રીય ટીમના તૈયારી કેમ્પ પ્રભાવિત થશે. હવે, બાંગ્લાદેશી ફેન્સનું ધ્યાન BPL મેચો પર છે, કારણ કે તેજ મેચો બાંગ્લાદેશ ક્રિકેટની આગામી દિશા નક્કી કરશે.

