- Sports
- T20 વર્લ્ડ કપમાં પસંદ ન થયેલા ખેલાડીઓમાંથી ચોપરાએ ટીમ બનાવી, ગિલની અવગણના કરી આ ખેલાડીને કેપ્ટન બનાવ...
T20 વર્લ્ડ કપમાં પસંદ ન થયેલા ખેલાડીઓમાંથી ચોપરાએ ટીમ બનાવી, ગિલની અવગણના કરી આ ખેલાડીને કેપ્ટન બનાવ્યો!
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત ગયા અઠવાડિયે કરવામાં આવી હતી. સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી, જ્યારે અક્ષર પટેલને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ખરાબ ફોર્મમાં રહેલા શુભમન ગિલને ટીમમાં સ્થાન મળ્યું ન હતું. શુભમનને T20 વર્લ્ડ કપ ટીમમાંથી બાકાત રાખવું એ સૌથી મોટું આશ્ચર્ય હતું, કારણ કે તે દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની T20 શ્રેણી સુધી ઉપ-કેપ્ટન પણ હતો. એક બાજુ ગિલને બહાર કરવામાં આવ્યો હતો, જ્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025-26 ફાઇનલમાં ઝારખંડ માટે સદી ફટકારનાર ઇશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
T20 વર્લ્ડ કપ ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યા પછી, શુભમન ગિલને હવે આકાશ ચોપરા દ્વારા પસંદ કરાયેલ વૈકલ્પિક ટીમમાં પણ જગ્યા નથી મળી. ભારતના ભૂતપૂર્વ ઓપનર ચોપરાએ પોતાની ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો, જે વર્લ્ડ કપ માટે પસંદગીના દાવેદાર હતા, પરંતુ તેમણે શુભમન ગિલની પસંદગી કરી ન હતી. આનો અર્થ એ થયો કે, શુભમન ગિલ હાલમાં દેશના ટોચના 30 T20 ખેલાડીઓમાં પણ નથી.
આકાશ ચોપરાએ T20 ક્રિકેટમાં એન્કર બેટ્સમેન તરીકે ગિલની ભૂમિકા વિશે પ્રવર્તમાન વિચારસરણી પર પણ કટાક્ષ કર્યો. ચોપરાએ કહ્યું કે, જો પસંદગીકારોને વર્તમાન T20 સેટઅપમાં એન્કર બેટ્સમેનની જરૂર નથી લાગતી, તો તેમને આવી ભૂમિકામાં ખેલાડી પસંદ કરવાનું કોઈ કારણ પણ દેખાતું નથી. ટીમની જાહેરાત કર્યા પછી, ચોપરાએ કહ્યું, 'તમે પૂછશો કે મેં શુભમન ગિલને કેમ પસંદ ન કર્યો. જો ભારતીય ટીમને એન્કરની જરૂર નથી, તો હું તેને એન્કર તરીકે કેમ રાખું? શુભમન ગિલ જ એકમાત્ર એવો ખેલાડી છે જે આ વાર્તામાં ફિટ બેસતો નથી.'
આકાશ ચોપરાએ આગળ કહ્યું, 'અમે તેને ટેસ્ટ અને ODI ક્રિકેટ માટે છોડી દીધો છે. હાલના સમયે તેના વિશે જે વાતો ચાલી રહી છે, તે જોતા અમે તેણે પસંદ કર્યો નથી. આપણે તેને પસંદ કરવો જોઈતો હતો, પરંતુ અમે પસંદ નથી કર્યો. ઘણા લોકો કહે છે કે, હું ગિલ માટે PR કરી રહ્યો હતો. તો જોઈ લો, મેં પણ તેને પસંદ કર્યો નથી.' પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરે પાછળથી કહ્યું કે, ગિલની ક્ષમતા પર કોઈ પ્રશ્ન નથી, પરંતુ ટીમ મેનેજમેન્ટને બેકઅપ વિકેટકીપરની જરૂર હતી.
ટીમ ઇન્ડિયા આગામી T20 વર્લ્ડ કપમાં ઓપનર તરીકે સંજુ સેમસન અને અભિષેક શર્માને મેદાનમાં ઉતારી શકે છે, જેમાં ઇશાન કિશન તેમના રિઝર્વ વિકલ્પ તરીકે હશે. એશિયા કપ દરમિયાન શુભમન ગિલને T20 ટીમમાં પાછો બોલાવવામાં આવ્યો હતો, જેના કારણે સેમસન અને અભિષેકની ઓપનિંગ જોડી તૂટી ગઈ હતી. એશિયા કપ દરમિયાન શુભમનને T20 ટીમનો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ અપેક્ષાના પ્રમાણમાં તેના ધીમા અભિગમથી ટીમના સંતુલન પર અસર થવા લાગી. સેમસનને મિડલ ઓર્ડરમાં મોકલી દેવામાં આવ્યો, અને ફિનિશર તરીકે રિંકુ સિંહની તકો પણ ઓછી થવા લાગી.
પસંદગીકારો અને કોચિંગ સ્ટાફના સમર્થન છતાં, શુભમન ગિલ પોતાનું સ્થાન મજબૂત કરી શક્યો નહીં. આ પ્રયોગ 15 T20 આંતરરાષ્ટ્રીય મેચો સુધી ચાલ્યો, પરંતુ પછી ધીરજ ખૂટી ગઈ. આ સમયગાળા દરમિયાન, શુભમને 15 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 291 રન બનાવ્યા. તેમની સરેરાશ 24.25 હતી અને તેમનો સ્ટ્રાઇક રેટ 137.26 હતો.
શુભમન ગિલને બહાર રાખીને, આકાશ ચોપરાએ યશસ્વી જયસ્વાલ અને રુતુરાજ ગાયકવાડને તેમની ઓપનિંગ જોડી તરીકે પસંદ કર્યા. રિષભ પંત અને જીતેશ શર્માને વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા, જ્યારે KL રાહુલને રિઝર્વમાં રાખવામાં આવ્યો હતો, જોકે ચોપરાએ સ્પષ્ટ કર્યું હતું કે, KL રાહુલ તેમની પ્લેઇંગ ઇલેવનનો ભાગ રહેશે નહીં. ચોપરા દ્વારા ટીમમાં ભુવનેશ્વર કુમાર અને કૃણાલ પંડ્યાનો સમાવેશ આશ્ચર્યજનક હતો. ચોપરાએ IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે તેમના સારા પ્રદર્શનની નોંધ લેતા, બંનેમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.
T20 વર્લ્ડ કપ માટે આકાશ ચોપરાની 15 સભ્યોની સ્ટેન્ડબાય ટીમ: મુખ્ય ખેલાડીઓ-યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિષભ પંત, જીતેશ શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, ક્રુણાલ પંડ્યા, દીપક ચહર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને ભુવનેશ્વર કુમાર. બેંચ-મોહમ્મદ શમી, KL રાહુલ, વિપ્રજ નિગમ, શશાંક સિંહ.

