- National
- હાઈ કોર્ટના જજે ચીફ જસ્ટિસને કહ્યું, 'હવે મને જામીન સબંધિત કેસ ન આપશો'
હાઈ કોર્ટના જજે ચીફ જસ્ટિસને કહ્યું, 'હવે મને જામીન સબંધિત કેસ ન આપશો'
અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ પંકજ ભાટિયાએ શુક્રવારે જામીન અરજીઓની સુનાવણીથી પોતાને અલગ કરી દીધા, સુપ્રીમ કોર્ટની તાજેતરની ટિપ્પણીઓને નિરાશાજનક ગણાવી. જસ્ટિસ ભાટિયાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને વિનંતી કરી કે, ભવિષ્યમાં તેમને જામીન કેસ માટે રોસ્ટર જવાબદારી ન સોંપવામાં આવે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, જજે કહ્યું, 'જામીન અરજી માનનીય ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવા માટે મોકલવામાં આવે છે જેથી તેને બીજી બેન્ચને સોંપી શકાય. આ સાથે એવી પણ વિનંતી કરવામાં આવે છે કે માનનીય ચીફ જસ્ટિસ ભવિષ્યમાં મને જામીન સબંધિત કેસ ન સોંપે.'
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જસ્ટિસ ભાટિયાની ટીકા કરી હતી, તેમના જામીન ઓર્ડરને તાજેતરના સમયમાં જોવા મળેલા સૌથી આઘાતજનક અને નિરાશાજનક પૈકીનો એક ગણાવ્યો હતો. શુક્રવારે, જસ્ટિસ ભાટિયાએ કહ્યું હતું કે, કોઈ પણ જજ એવો દાવો કરી શકતો નથી કે તેમના ઓર્ડરમાં હાઈકોર્ટ દ્વારા ક્યારેય દખલ કરવામાં આવી નથી, પરંતુ તેમની વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓની તેમના પર ખુબ ઊંડી અસર પડી છે.
જસ્ટિસ ભાટિયાએ કહ્યું કે, 'જોકે એ વાત જાણીતી છે કે, કોઈ પણ ન્યાયાધીશ એવો દાવો કરી શકતો નથી કે, તેમનો આદેશ ક્યારેય રદ કરવામાં આવ્યો નથી અથવા તેમાં દખલ કરવામાં આવી નથી, અને ચુકાદાના અવલોકનથી પણ, મને લાગે છે કે જામીન આપવાનો આદેશ સ્પષ્ટપણે દખલગીરીને પાત્ર હતો, તેમ છતાં, ચુકાદામાં કરવામાં આવેલા અવલોકનો, ખાસ કરીને ફકરા 4 અને 29માં, મારા પર કરવામાં આવેલી ટિપ્પણીએ ખૂબ જ નિરાશાજનક અને ચિંતાજનક અસર કરી છે.'
જોકે શુક્રવારે જસ્ટિસ ભાટિયા સમક્ષ સૂચિબદ્ધ જામીન અરજી તે કેસ સાથે સંબંધિત નહોતી જેમાં સુપ્રીમ કોર્ટે તેમને 9 ફેબ્રુઆરીએ ઠપકો આપ્યો હતો, ન્યાયાધીશે કહ્યું કે અરજી પર સુનાવણી કરવી યોગ્ય રહેશે નહીં.
હવે જો આ આખા બનાવની વાત કરીએ તો, આ આખો કેસ એક પિતા દ્વારા દાખલ કરાયેલી FIRથી શરૂ થાય છે. તેની 22 વર્ષની પુત્રી સુષ્માના લગ્ન 1 માર્ચ, 2025ના રોજ આરોપી સાથે થયા હતા. ફરિયાદ મુજબ, લગ્ન સમયે સારું એવું દહેજ આપવામાં આવ્યું હતું, જેમાં રૂ. 35 લાખ રોકડનો પણ સમાવેશ થાય છે. જો કે, આરોપી અને તેના પરિવારે કથિત રીતે ફોર વ્હીલરની માંગ કરવાનું ચાલુ રાખ્યું અને મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો.
25 એપ્રિલ, 2025ના રોજ વહેલી સવારે, પિતાને તેમની પુત્રીના મૃત્યુની જાણ કરવામાં આવી. જ્યારે તેઓ તેમના સાસરિયાના ઘરે પહોંચ્યા, ત્યારે તેમણે તેમના ગળા પર ઇજાઓ જોઈ અને આરોપ લગાવ્યો કે દહેજ માટે તેમની હત્યા કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે, મૃત્યુનું કારણ ગળું દબાવવાથી શ્વાસ રૂંધાઈ ગયો હતો. તપાસ પછી, ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
દહેજ હત્યા કેસમાં આરોપીને જામીન આપવાના ન્યાયાધીશ ભાટિયાના આદેશ પર ટિપ્પણી કરતા, ન્યાયાધીશ J.B. પારડીવાલા અને K.V. વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે, 'આ વિવાદિત આદેશનું સ્પષ્ટ વાંચન કરતા પણ આપણને એ સમજાતું નથી કે હાઇકોર્ટ શું કહેવાનો પ્રયાસ કરી રહી છે. દહેજ હત્યા જેવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવામાં હાઇકોર્ટે કયા આધારે પોતાનો વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો? હાઇકોર્ટે શું કર્યું? હાઇકોર્ટે ફક્ત બચાવ પક્ષના વકીલની દલીલો નોંધી અને પછી ટિપ્પણી કરી કે આરોપી 27 જુલાઈ, 2025થી જેલમાં હતો, અને તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નહોતો, અને તેથી તે જામીનને પાત્ર હતો. તે મુજબ, જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.'

