- Business
- 'યુદ્ધ 40 દિવસથી વધુ ચાલ્યું તો...', અર્થશાસ્ત્રીએ આપી વોર્નિંગ- ખાદ્યપદાર્થોના ભાવ 6 મહિનાના ઉચ્ચ સ...
'યુદ્ધ 40 દિવસથી વધુ ચાલ્યું તો...', અર્થશાસ્ત્રીએ આપી વોર્નિંગ- ખાદ્યપદાર્થોના ભાવ 6 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યા
મધ્ય-પૂર્વમાં યુદ્ધની અસર લગભગ દરેક દેશમાં અનુભવાઈ છે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાનના યુદ્વ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે વૈશ્વિક તેલ સંકટે પાકિસ્તાન, બાંગ્લાદેશથી લઈને શ્રીલંકા સહિન અન્ય દેશોની ચિંતા વધારી દીધી છે. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) ખાદ્ય ભાવ સૂચકાંકના આંકડાઓ અનુસાર, યુદ્ધને કારણે વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવ 6 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે.
માર્ચમાં, વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવ સપ્ટેમ્બર 2025 પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે. આનાથી આગામી મહિનાઓમાં ઘરગથ્થુ કરિયાણાના ખર્ચ અને બિલો અંગે નવી ચિંતાઓ જન્મી છે. FAO અનુસાર, આંતરરાષ્ટ્રીય ખાદ્યપદાર્થોના ભાવ સતત બીજા મહિને વધ્યા છે, જે વૈશ્વિક ખાદ્ય બજારમાં મોંઘવારીના દબાણનો સંકેત છે.
આવશ્યક વસ્તુઓના ખર્ચનું મૂલ્યાંકન કરવા માટે વપરાતો બેન્ચમાર્ક FAO ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ગયા માર્ચમાં સરેરાશ 128.5 પોઇન્ટ હતો. જે ફેબ્રુઆરીથી 2.4 અને વાર્ષિક ધોરણે 1%નો વધારો દર્શાવે છે. આની પાછળના કારણની વાત કરીએ તો ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકીય તણાવને કારણે ઉર્જા ખર્ચમાં વધારો, ઉત્પાદન અને પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપોનો સમાવેશ થાય છે.
FAOના મુખ્ય અર્થશાસ્ત્રી મેક્સિમો ટોરેરોનું કહેવું છે કે મધ્ય-પૂર્વમાં યુદ્વ શરૂ થયા બાદ ભાવમાં જે વધારો થયો છે, તેનું સૌથી મોટું કારણ તેલના ઊંચા ભાવ છે. તેમણે ચેતવણી આપી હતી કે લાંબા સમય સુધી ચાલનારા સંઘર્ષનો વૈશ્વિક ખાદ્ય પ્રણાલીઓ પર ગંભીર અને દીર્ઘકાલિન પ્રભાવ પડી શકે છે.
ખાદ્ય ફુગાવાના કારણોની વાત કરીએ તો, ક્રૂડ તેલના ઊંચા ભાવ પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે. આ સાથે જ, આ બાયોફ્યૂઅલની માંગમાં પણ વધારો જોવા મળે છે અને તેનાથી વનસ્પતિ તેલ જેવી વસ્તુઓના ભાવમાં વધારો થાય છે. ખાતરો પર અસર એક મોટી ચિંતાનો વિષય છે, જે ખેડૂતોની વાવણી પ્રક્રિયાઓને પ્રભાવિત કરી શકે છે. વિશ્વભરમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વૈશ્વિક વધારા અંગેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભાવમાં 4.3%નો વધારો થયો છે. જ્યારે ઇથેનોલની મજબૂત માંગને કારણે મકાઈના ભાવમાં વધારો થયો છે.
આ ઉપરાંત, વનસ્પતિ તેલના ભાવમાં સૌથી તીવ્ર વધારો જોવા મળ્યો છે, જે માસિક ધોરણે 5.1% છે. આ ઉપરાંત વાર્ષિક ધોરણે જોઇએ તો 13.2%નો વધારો જોવા મળ્યો છે. આ ક્રૂડ પ્રાઇઝ અને બાયોફ્યૂઅલની માંગમાં વધારો થવાને કારણે થયું હતું. માંસના ભાવમાં 1%નો વધારો થયો; ડેરી ઉત્પાદનોના ભાવમાં 1.2%, જ્યારે ખાંડના ભાવમાં 7.2%નો ઉછાળો જોવા મળ્યો.
FAOએ ખાદ્ય પુરવઠા માટે સંભવિત જોખમો અંગે ચેતવણી પણ આપી છે. અહેવાલમાં જણાવાયું છે કે વૈશ્વિક ઘઉંનું ઉત્પાદન 820 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. જે ગયા વર્ષની તુલનામાં 1.7% ઓછું છે. આ સાથે જ, અર્થશાસ્ત્રી ટોરેરોએ ચેતવણી આપી હતી કે જો મધ્ય-પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ 40 દિવસથી વધુ સમય સુધી ચાલુ રહેશે, તો તેની વાસ્તવિક અસર બાદમાં જોવા મળી શકે છે.
તેમણે કહ્યું કે ખેડૂતો ખાતરનો ઉપયોગ ઘટાડી શકે છે, વાવણીની પ્રવૃત્તિઓ ઘટાડી શકે છે અથવા ઓછા ખર્ચવાળા પાક તરફ વળી શકે છે. આ એવા નિર્ણયો છે, જેનાથી આગામી મહિનાઓમાં ઉપજમાં ઘટાડો થઇ શકે છે અને પુરવઠો મર્યાદિત થઇ શકે છે. ટોરેરોના મતે, હાલમાં ખાદ્ય ભાવમાં જે વધારો જોવા મળ્યો થે, તે ચિંતાજનક નથી, પરંતુ આ ક્ષેત્રોમાં સતત દબાણ વૈશ્વિક ખાદ્ય ખર્ચમાં મોટી વૃદ્વિનું કારણ બની શકે છે.

