- Sports
- સલમાન આઘાના રન-આઉટ પર આટલો બધો હોબાળો કેમ? 78 વર્ષમાં થયેલા આ 4 વિવાદો આખી વાત સમજાવી દેશે
સલમાન આઘાના રન-આઉટ પર આટલો બધો હોબાળો કેમ? 78 વર્ષમાં થયેલા આ 4 વિવાદો આખી વાત સમજાવી દેશે
ક્યારેક, એક નાનો નિર્ણય ક્રિકેટ મેદાન પર મોટો વિવાદ બની શકે છે. શુક્રવાર, 13 માર્ચે, મીરપુર (ઢાકા)ના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં, આવો જ એક વિવાદ થયો છે જેના કારણે હોબાળો મચી ગયો છે. એક રન-આઉટથી આખા સ્ટેડિયમનું વાતાવરણ ગરમ થઇ ગયું હતું. કોમેન્ટરી બોક્સથી લઈને સોશિયલ મીડિયા સુધી ચર્ચા શરૂ થઈ. ચાહકો અને નિષ્ણાતો અલગ અલગ વહેંચાઈ ગયા. કેટલાકે આ નિર્ણયને રમતગમત વિરોધી ગણાવ્યો, જ્યારે કેટલાકે તેને 'નો સ્પોર્ટ્સમેન સ્પિરિટ' ગણાવ્યો. ચાલો તમને સમજાવી દઈએ કે આ વિવાદ કેવી રીતે શરૂ થયો અને આવા કેટલા રન-આઉટથી રમતની ભાવનાને નુકસાન થયું છે.
હકીકતમાં, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં એક-દિવસીય શ્રેણી ચાલી રહી છે. બીજી મેચ 13 માર્ચે રમાઈ રહી હતી. આ વિવાદ પ્રથમ ઇનિંગની 39મી ઓવરમાં શરૂ થયો. પાકિસ્તાન બેટિંગ કરી રહ્યું હતું. થયું એવું કે મોહમ્મદ રિઝવાને બાંગ્લાદેશી બોલર મેહદી હસન મિરાઝને તેની સામેની તરફ શોટ માર્યો. બીજી બાજુ સલમાન આઘા ક્રીઝથી થોડો બહાર હતો, ત્યારે જ બોલ તેની પાસે અથડાયો. સલમાન પોતાના બેટથી બોલ પોતાની તરફ ખેંચીને બોલરને આપવા જ જતો હતો, પરંતુ મિરાજે બોલ લઈને સ્ટમ્પ પર મારી દીધી. બાંગ્લાદેશી ફિલ્ડરોએ અમ્પાયરને આઘાને આઉટ જાહેર કરવા અપીલ કરી. ફિલ્ડ અમ્પાયરે આ મામલો થર્ડ અમ્પાયરને સોંપ્યો, જેમણે તેને આઉટ જાહેર કર્યો.
સલમાન આઘા આ નિર્ણયથી ગુસ્સે થઇ ગયો અને પેવેલિયન પરત ફરતા પોતાના ગ્લોવ્ઝ અને હેલ્મેટ ફેંકી દીધા. તેની આ હરકત પર તેની ભારે ટીકા થઈ હતી, પરંતુ ઘણા લોકો તેમના સમર્થનમાં પણ બહાર આવ્યા. ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફે સમગ્ર વિવાદમાં આઘાને ટેકો આપ્યો. કૈફે બાંગ્લાદેશી કેપ્ટન મેહદી હસન મિરાઝના કાર્યોની નિંદા કરી. કૈફે કહ્યું કે આ બિલકુલ યોગ્ય નથી. વિકેટ લેવાની આ પદ્ધતિ કોઈપણ રીતે યોગ્ય નથી. રમતગમતની ભાવના વગર કોઈ રમત નથી.
આ દરમિયાન, એક પ્રેસ કોન્ફરન્સમાં, સલમાન આઘાએ જણાવ્યું હતું કે તે રન-આઉટ નિયમો મુજબ જ થયો છે, પરંતુ જ્યારે રમતગમતની ભાવનાની વાત આવે છે, ત્યારે તેને ટોચની પ્રાથમિકતા આપવી જોઈએ. આઘાએ વધુમાં જણાવ્યું હતું કે, જો તે મેહદી હસન મિરાઝની જગ્યાએ હોત, તો તેણે ક્યારેય આવું કામ ન કર્યું હોત. આ દરમિયાન, બાંગ્લાદેશના સ્પિન બોલિંગ કોચ મુશ્તાક અહેમદ માનતા હતા કે, કેપ્ટન મેહદી હસન મિરાઝે કંઈ ખોટું કર્યું નથી. 'બધું ખૂબ જ ઝડપથી થઇ ગયું,' તેમણે કહ્યું. 'મારું માનવું છે કે તે સમયે કોઈ પણ ખેલાડીનો વાંક નહોતો. સલમાન તેને મદદ કરવા માંગતો હતો, પરંતુ મિરાઝ રમતમાં સંપૂર્ણપણે મગ્ન હતો.'
https://twitter.com/BCBtigers/status/2032426116208791890
જોકે સલમાન આઘા નિયમો અનુસાર આઉટ થયો હતો, ઘણા ખેલાડીઓ અને ચાહકો કહે છે કે, કેપ્ટને રમતગમતની ભાવનાથી ચેતવણી આપવી જોઈતી હતી. આનાથી સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ છે કે, તે સાચું હતું કે નહીં. જ્યારે આ પહેલી વાર આટલો વિવાદાસ્પદ રન-આઉટ થયો નથી, આવા રન-આઉટ પહેલા પણ ઘણી વખત વિવાદ ઉભો કરી ચૂક્યો છે.
ભારતીય ટીમે 1947-48માં પહેલી વાર ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. ત્યારપાછી, સિડની ટેસ્ટ મેચ દરમિયાન, વિનુ માંકડે બોલ ફેંકતા પહેલા નોન-સ્ટ્રાઈકર એન્ડ પર બિલ બ્રાઉનને રન આઉટ કર્યો હતો કારણ કે તે ક્રીઝની બહાર હતો. તે સમયે, આ નિર્ણયને 'નો સ્પોર્ટમેન સ્પિરિટ' કહેવામાં આવ્યો હતો, જોકે નિયમ સંપૂર્ણપણે માન્ય હતો. આ વિવાદ પાછી, 'માંકડિંગ' શબ્દ ચર્ચામાં આવ્યો હતો. જોકે, 2022માં, ICCએ નિયમોમાં સુધારો કર્યો અને સત્તાવાર રીતે 'માંકડિંગ' શબ્દને રન-આઉટ તરીકે સમાવિષ્ટ કર્યો, જેનાથી બોલર નોન-સ્ટ્રાઇકર એન્ડ પર બેટ્સમેનને રન આઉટ કરી શકે છે.
https://twitter.com/CricketopiaCom/status/2024320020164251871
જ્યારે વિવાદાસ્પદ રન-આઉટની વાત આવે છે, ત્યારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનું નામ પણ સામે આવે છે. 1992માં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં, કપિલે નોન-સ્ટ્રાઇકર પીટર કર્સ્ટનને ક્રીઝની બહાર જવા બદલ રન આઉટ કર્યો હતો. આને પણ એક 'નો સ્પોર્ટમેન સ્પિરિટ' રન-આઉટ માનવામાં આવ્યું હતું. જોકે કપિલે દાવો કર્યો હતો કે, તેણે કિર્સ્ટનને બોલ ફેંકતા પહેલા ક્રીઝ ન છોડવા માટે ઘણી વખત ચેતવણી આપી હતી, પરંતુ પીટર કર્સ્ટન વારંવાર આમ કરતો રહ્યો, તેથી તેમણે આમ કરવું પડ્યું.
1999માં, સચિન તેંડુલકરના રન-આઉટથી પણ ઘણો વિવાદ થયો. કોલકાતામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. મેચ દરમિયાન, સચિન શોએબ અખ્તર સાથે ટકરાઈ ગયો જ્યારે તે તેનો ત્રીજો રન લેતો હતો. સબસ્ટિટ્યુટ નદીમ ખાનનો સીધો થ્રો સ્ટમ્પ પર વાગ્યો, જેના કારણે સચિન પેવેલિયન પરત ફર્યો. આ નિર્ણય પછી, ભારે હોબાળો થયો અને સ્ટેડિયમમાં બોટલો ફેંકવામાં આવી. મેચ થોડા સમય માટે રોકવી પડી. પાછળથી હજારો દર્શકોને સ્ટેડિયમની બહાર કાઢવામાં આવ્યા.
2019માં, IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં એક રન-આઉટ થવાના કિસ્સાના કારણે ક્રિકેટની ભાવનાને ખૂબ જ નુકસાન થયું. ત્યારે દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન હેડલાઇન્સમાં ચમકી ગયો હતો. આ મેચ કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હતી. અશ્વિને જોસ બટલરને નોન-સ્ટ્રાઇકર એન્ડ પર ક્રીઝ છોડી દેવા બદલ રન આઉટ કર્યો, અને ત્યારપછી તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

