- Sports
- ઝિમ્બાબ્વે સામે જીત છતા ખુશ નથી કેપ્ટન સૂર્યા, ટીમ ઇન્ડિયાની નબળાઇ પર ઉઠાવ્યા સવાલ
ઝિમ્બાબ્વે સામે જીત છતા ખુશ નથી કેપ્ટન સૂર્યા, ટીમ ઇન્ડિયાની નબળાઇ પર ઉઠાવ્યા સવાલ
ચેન્નાઇના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વે સામે શાનદાર જીત મળી હોવા છતા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતાની ટીમની બોલિંગથી સંપૂર્ણપણે સંતુષ્ટ ન દેખાયો. તેણે સ્પષ્ટપણે કહ્યું કે જીત મહત્ત્વપૂર્ણ છે, પરંતુ નોકઆઉટમાં પહોંચતા પહેલા ટીમે વધુ ક્લિનિકલ બનવાની જરૂર છે. ગુરુવારે (26 ફેબ્રુઆરી) ભારતીય બેટ્સમેનોએ શાનદાર વાપસી કરતા 4 વિકેટે ગુમાવીને 256 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. સુપર-8ની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે કારમી હાર બાદ ટીમ માટે આ પ્રદર્શન ખૂબ મહત્ત્વપૂર્ણ હતું.
જોકે ઝિમ્બાબ્વે પીછો કરતા ક્યારેય જીતવાની સ્થિતિમાં ન દેખાયું, તેમ છતા ઝિમ્બાબ્વેની ટીમ સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 184 રન બનાવવામાં સફળ રહી. છઠ્ઠા બોલર તરીકે મેદાનમાં ઉતરેલા શિવમ દુબેએ બે ઓવરમાં 46 રન આપ્યા, જેણે ભારતીય કેપ્ટનને ચિંતામાં મૂકી દીધો છે.
મેચ બાદ સૂર્યકુમારે કહ્યું કે, ‘અમે બોલ સાથે વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત. જીત એ જીત છે, પરંતુ અમારે પોતાના વિકલ્પો સાથે થોડા વધુ સ્માર્ટ થવું પડશે. વેસ્ટ ઇન્ડીઝ સામે અમે પોતાની ભૂલો સુધારીશું.’ કેપ્ટન સૂર્યાએ એમ પણ કહ્યું કે ટીમે આ મહત્ત્વપૂર્ણ મેચ પહેલા ભૂતકાળની ભૂલોને પાછળ છોડી દેવાનો પ્રયાસ કર્યો.
તેણે કહ્યું કે, અમે લીગ સ્ટેજ અથવા પાછલી મેચ વિશે વધુ વિચાર્યું નહોતું. અમારા વીડિયો વિશ્લેષકે છેલ્લા એક વર્ષમાં સકારાત્મક પ્રદર્શનનું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. તેનાથી અમને આત્મવિશ્વાસ મળ્યો, અને અમે સંપૂર્ણ સ્પષ્ટતા સાથે મેદાનમાં ઉતર્યા.’ તેણે બેટિંગ યુનિટની પ્રશંસા કરતા કહ્યું કે ટોપ ઓર્ડરથી લઇને નંબર 7 સુધીના દરેકે યોગદાન આપ્યું, અને પ્રદર્શન લગભગ સંપૂર્ણ હતું.
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ સ્વીકાર્યું કે મોટી ટીમોને પડકારવા માટે, તેમની ટીમે ત્રણેય વિભાગોમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં સારું પ્રદર્શન કરવું પડશે. તેણે કહ્યું કે, અમારી ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ છે, જેઓ પહેલી વાર વર્લ્ડ કપમાં અને ભારતમાં પહેલી વાર રમી રહ્યા છે. આ કોઇ બહાનું નથી, પરંતુ શીખવાની વાત છે. જો કોઇ એક વિભાગમાં ખામી રહી જાય મેચ હાથમાંથી નીકળી જાય છે.’
ઝિમ્બાબ્વેએ સતત બીજી મેચમાં 250થી વધુ રન આપ્યા, જેણે તેની હારમાં મુખ્ય ભૂમિકા ભજવી. આ હાર સાથે ટીમ સેમીફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઇ. હવે તે 1 માર્ચે દિલ્હીમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની છેલ્લી મેચ રમશે.
ભારતની આગામી મેચ 1 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાશે, જેને ટૂર્નામેન્ટમાં ભારતની વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઇનલ માનવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી મેચમાં ભારત કેવું પ્રદર્શન કરે છે અને તેણે પાછલી 2 મેચમાં ફિલ્ડિંગમાં કરેલી ભૂલો સુધરે છે કે નહીં.

