- National
- લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ
લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ
કેન્દ્ર સરકારે મહિલા અનામત કાયદામાં સુધારો કરતા સંસદમાં 3 મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે. આ બિલો પર આગામી 3 દિવસ ચર્ચા થવાની છે. સરકારનો દાવો છે કે, તે મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવા માટે આ જરૂરી છે. બિલો પસાર થયા પછી, લોકસભામાં સાંસદોની સંખ્યા 543થી વધીને આશરે 850 થઈ જશે. આમાંથી એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આ એટલું બધું સરળ પણ નથી.
બિલ રજૂ થતાંની સાથે જ વિપક્ષે વિરોધ શરૂ કર્યો. તેમનો આરોપ છે કે સરકાર બંધારણને હાઇજેક કરવા માંગે છે. બેઠકોની અંતિમ સંખ્યા નક્કી કરવા માટે સીમાંકન પ્રક્રિયા પણ લાગુ કરવામાં આવશે. તેથી, દક્ષિણ ભારતના પક્ષો પણ તેમના રાજ્યો સાથે ભેદભાવનો આરોપ લગાવી રહ્યા છે. આ 3 બિલ શું છે અને તેનો વિરોધ શા માટે થઈ રહ્યો છે? ચાલો આપણે આ સમજવાનો પ્રયાસ કરીએ.
પહેલું:- બંધારણ (131મો સુધારો) બિલ, 2026. પ્રસ્તાવિત સુધારામાં બંધારણની કલમ 81માં સુધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત, રાજ્યોમાંથી લોકસભામાં ચૂંટાયેલા સભ્યોની મહત્તમ સંખ્યા 815 સુધી હોઈ શકે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વધુમાં વધુ 35 સભ્યો ચૂંટાશે. તેમની પસંદગીની રીત સંસદ દ્વારા કાયદો બનાવીને નક્કી કરવામાં આવશે. તેમાં વસ્તીના આધારે દરેક રાજ્ય વિધાનસભામાં બેઠકોની સંખ્યામાં ફેરફાર કરવાની પણ માંગ કરવામાં આવી છે. વિરોધ પક્ષોએ 850ના આંકડા અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે બેઠકોના વિતરણ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.

આ બિલ બંધારણની કલમ 82માં પણ સુધારાનો પ્રસ્તાવ મૂકે છે, જે હાલમાં દરેક વસ્તી ગણતરી પછી સંસદીય મતવિસ્તારોના સીમાંકનની જોગવાઈ કરે છે. હાલમાં, કલમ 82ની ત્રીજી જોગવાઈ મુજબ, આગામી સીમાંકન 2026 પછીની પ્રથમ વસ્તી ગણતરી પર આધારિત હોવું જોઈએ. જો કે, સરકાર આ સમગ્ર જોગવાઈને દૂર કરવા માટે આ જોગવાઈમાં સુધારો કરી રહી છે.
બીજું:- કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ, 2026. આ બીજો પ્રસ્તાવિત સુધારો કેન્દ્રશાસિત પ્રદેશ અધિનિયમ, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ અને દિલ્હીના GNCT અધિનિયમમાં સુધારો કરવાનો પ્રયાસ કરે છે, જેથી સીમાંકન અને વિધાનસભા બેઠકોની સંખ્યામાં ફેરફાર કરી શકાય.
ત્રીજું:- સીમાંકન બિલ, 2026. ત્રીજું બિલ એક નવા સીમાંકન અધિનિયમનો પ્રસ્તાવ મૂકે છે, જેના હેઠળ ભારતમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એક સીમાંકન પંચની સ્થાપના કરવામાં આવશે. 2023માં પસાર થયેલા 106મા સુધારામાં જોગવાઈ છે કે, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત ફક્ત ત્યારે જ લહુ કરવામાં આવશે જ્યારે નવી વસ્તી ગણતરી પછી સીમાંકન કરવામાં આવશે.
હવે નવું બિલ કલમ 334Aમાં સુધારો રજૂ કરે છે, જે સીમાંકન પછી તરત જ લાગુ કરવા માટે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ (33 ટકા) અનામતની જોગવાઈ કરે છે. આનો અર્થ એ છે કે નવી વસ્તી ગણતરી સાથે કોઈ વિલંબ થશે નહીં. આ માટે, સરકાર સીમાંકન બિલ 2026 રજૂ કરી રહી છે, જે સીમાંકન બિલ 2002ને બદલશે.

અહેવાલો અનુસાર, સીમાંકન બિલ કેન્દ્ર સરકારને સત્તાવાર ગેઝેટમાં સૂચના બહાર પાડવા અને સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વ હેઠળ એક સીમાંકન કમિશન સ્થાપિત કરવાની સત્તા આપશે.
આનાથી બે એવા પ્રશ્નો ઉભા થાય છે કે, જે વણઉકેલાયેલા રહે છે, પ્રથમ:- આ સીમાંકન પ્રક્રિયા કેટલો સમય લેશે, અને બીજું:- કયા વસ્તી ગણતરીના ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. મહિલા સંગઠનો, સાંસદો અને વકીલો દ્વારા એક ખુલ્લી અરજીમાં માંગ કરવામાં આવી છે કે, અનામતને સીમાંકનથી 'અલગ' કરવામાં આવે. વિપક્ષે એવી પણ દલીલ કરી છે કે, નિશ્ચિત 33 ટકા ક્વોટા વસ્તી ફેરફારોથી આધાર રાખતો નથી.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, પ્રસ્તાવિત સુધારામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, જ્યાં સુધી સંસદ તેને લંબાવશે નહીં ત્યાં સુધી મહિલા અનામત 15 વર્ષ સુધી અમલમાં રહેશે.
એક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, જો આ દરખાસ્તો લાગુ કરવામાં આવે છે, તો લોકસભા બેઠકોમાં હિન્દીભાષી રાજ્યો (હિન્દી હાર્ટલેન્ડ)નો હિસ્સો 38.1 ટકાથી વધીને 43.1 ટકા થશે. જોકે, દક્ષિણ રાજ્યોનો હિસ્સો 24.3 ટકાથી ઘટીને 20.7 ટકા થઇ જશે. રિપોર્ટ મુજબ, જો આ દરખાસ્ત લાગુ કરવામાં આવે છે, તો લોકસભામાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 14.73 ટકાથી વધીને 16.24 ટકા થશે, જ્યારે કેરળનો હિસ્સો 3.68 ટકાથી ઘટીને 2.7 ટકા થઇ જશે.

આ જ કારણ છે કે, છેલ્લા 50 વર્ષથી સીમાંકનનો મુદ્દો રાજકીય રીતે સંવેદનશીલ માનવામાં આવે છે. દક્ષિણ ભારતીય રાજ્યો દલીલ કરે છે કે, જો બેઠકો ફક્ત વસ્તીના આધારે ફાળવવામાં આવે છે, તો તેમને નુકસાન થશે, કારણ કે તેઓ વસ્તી નિયંત્રણમાં સફળ રહ્યા છે. જોકે, ઘણા ઉત્તર ભારતીય રાજ્યોએ ઝડપી વસ્તી વૃદ્ધિનો અનુભવ કર્યો છે. આ જ કારણ છે કે 1976 અને 2001માં બંધારણીય સુધારા દ્વારા બેઠકો ફાળવણીમાં ફેરફાર મુલતવી રાખવામાં આવ્યા હતા. આ મોરેટોરિયમ હાલમાં 2026 સુધી અમલમાં છે. હવે સરકાર આ સિસ્ટમ બદલવા માંગે છે.
તમિલનાડુના CM MK સ્ટાલિને ચેતવણી આપી હતી કે, જો રાજ્યોને પ્રતિનિધિત્વ આપવામાં નહીં આવે તો તેઓ વિરોધ કરશે, જ્યારે DMK નેતાઓએ આ પગલાને બંધારણીય ગેરંટીઓનું ઉલ્લંઘન ગણાવ્યું.
વિપક્ષી પક્ષોએ જણાવ્યું છે કે, તેઓ મહિલા અનામતને સમર્થન આપે છે, પરંતુ તેને સીમાંકન સાથે જોડવાનો વિરોધ કરે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વિપક્ષ મહિલા અનામતને સંપૂર્ણ સમર્થન આપે છે, પરંતુ સીમાંકનનો વિરોધ કરશે. કાયદાકીય નિષ્ણાતોએ ચેતવણી પણ આપી છે કે, બેઠક વહેંચણી, સીમાંકન અને અનામતને એક જ માળખામાં જોડવાથી રાજકીય રીતે સંવેદનશીલ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
લોકસભામાં રજૂ કરાયેલા 3 બિલ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ત્રણેય બિલ પર મતદાન 17 એપ્રિલે સાંજે 4 વાગ્યે થશે. સરકારે 12 કલાક ચર્ચા માટેનો સમય નક્કી કર્યો છે.

