- Sports
- શું શમી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની તૈયારીમાં છે? નિવેદનથી ફેન્સમાં ખળભળાટ
શું શમી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની તૈયારીમાં છે? નિવેદનથી ફેન્સમાં ખળભળાટ
ભારતીય ટીમ મેનેજમેન્ટે ફોર્મ અને ફિટનેસ અંગે ચિંતા વ્યક્ત કરતા મોહમ્મદ શમીને ઘણા સમયથી ટીમમાંથી બહાર રાખ્યો છે. ભારત માટે ટેસ્ટ, વન-ડે અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ધૂમ મચાવનાર સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ હવે ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન ગુમાવી દીધું છે. શમીએ પોતાની અંતિમ મેચ 9 માર્ચ, 2025ના રોજ ન્યૂઝીલેન્ડ સામે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ દરમિયાન રમી હતી. તેણે 2 ફેબ્રુઆરી 2025ના રોજ મુંબઈમાં ઇંગ્લેન્ડ સામે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. મોહમ્મદ શમીને છેલ્લી ટેસ્ટ મેચ રમ્યાને હવે 3 વર્ષ થઈ ગયા છે.

શું મોહમ્મદ શમી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઇ રહ્યો છે?
મોહમ્મદ શમીએ જૂન 2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ દરમિયાન તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. અત્યાર સુધી શમીએ ભારત માટે 64 ટેસ્ટ, 108 વન-ડે અને 25 T20I રમી છે, જેમાં તેણે અનુક્રમે 229, 206 અને 27 વિકેટ લીધી છે. કુલ મળીને મોહમ્મદ શમીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 462 વિકેટ લીધી છે. એવામાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે. હવે, મોહમ્મદ શમીએ તેની નિવૃત્તિ અંગે એક મોટું નિવેદન આપ્યું છે.

મોહમ્મદ શમીએ નિવૃત્તિ અંગે આપ્યું વિસ્ફોટક નિવેદન
'ધ શુભમકર મિશ્રા શો' પર બોલતા મોહમ્મદ શમીએ કહ્યું હતું કે, ‘જ્યારે હું થાકી જઈશ, ત્યારે હું રમત છોડી દઈશ; પરંતુ હાલમાં હું નિવૃત્તિ વિશે વિચારતો પણ નથી, કારણ કે આવો વિચાર તમને પાછળ ખેંચે છે. જો આ વિચાર તમારા મનમાં આવે છે, તો તેનો અર્થ છે કે તમે પહેલાથી જ થાકી ગયા છો. અને જો તમે થાકી ગયા છો, તો તેનો અર્થ છે કે તમે કંટાળી ગયા છો અને મેં આ પહેલા પણ કહ્યું છે. જે દિવસે હું સવારે ઉઠીશ અને એ નક્કી કરું છું કે હું કંટાળી ગયો છું, તે જ દિવસે હું ક્રિકેટ છોડી દઈશ. તો હા, જે દિવસે મને આળસ આવશે કે હું કંટાળી જઈશ,, હું ક્રિકેટ છોડી દઈશ.’

મોહમ્મદ શમીએ કહ્યું કે, ‘જોકે, ન તો હું કંટાળ્યો છુ અને ન તો મને આળસ આવી છે. હું રમતનો આનંદ માણી રહ્યો છું. પરિણામો સારા અને સકારાત્મક છે.’ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)માં મુશ્કેલ તબક્કા બાદ મોહમ્મદ શમી હવે IPL 2026 સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે શાનદાર પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. શમીએ કહ્યું કે, ‘એક બોલર તરીકે, હું મારું 100 ટકા આપીશ. હું મારી જવાબદારીઓ નિભાવીશ અને મારા પર મૂકવામાં આવેલી અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે સંપૂર્ણ પ્રયાસ કરીશ. બાકી, હું મારું ભાગ્ય તો નહીં બદલી શકું. હું માત્ર મારા વલણ અને અડગ નિશ્ચય દ્વારા યોગદાન આપી શકું છું.’

