- Sports
- શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો
રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે 2 વિકેટથી મેચ હારી ગઈ. આ હારના પરિણામે, મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઇ. મુંબઈ ઈન્ડિયન્સ બહાર થયા પછી તરત જ, કેપ્ટન હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો. હાર્દિક આ મેચમાં રમી શક્યો નહીં કારણ કે તે સંપૂર્ણપણે ફિટ નહોતો.
હાર બાદ હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દીધી હતી. આ દરમિયાન મુંબઇ ઇન્ડિયન્સનું એકાઉન્ટ હાર્દિકની ફોલોઇંગ લિસ્ટમાં દેખાતું નહોતું. હાર્દિકના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર ફોલોઇંગ લિસ્ટ 151 થી ઘટીને 150 થઈ ગઈ. જેને કારણે, મુંબઈ ઈન્ડિયન્સ અને હાર્દિક વચ્ચે ખટાશની અફવાઓ ઝડપથી ફેલાવા લાગી. સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ વાયરલ થવા લાગ્યા, અને જોત-જોતામાં આ મામલો ટ્રેન્ડ થવા લાગ્યો.
જોકે, આ પરિસ્થિતિ લાંબો સમય ટકી નહીં. થોડીવાર બાદ, હાર્દિક પંડ્યાના ફોલોઅર્સનો આંકડો ફરીથી 151 પર થઇ ગયો અને મુંબઈ ઈન્ડિયન્સનું એકાઉન્ટ પર ફરી દેખાયું. ફેન્સ હવે વિચારી રહ્યા છે કે શું આ ફક્ત ઈન્સ્ટાગ્રામ પર ટેકનિકલ ખામી હતી કે પછી હાર હાર્દિકની હતાશા સામે આવી હતી.
હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી અને ત્યારબાદ કેપ્ટન તરીકે તેની નિમણૂક ખૂબ વિવાદમાં રહી છે. IPL 2024 પહેલા જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને બદલે હાર્દિકને કેપ્ટન બનાવ્યો હતો, ત્યારે ફેન્સનો મોટો વર્ગ આ નિર્ણયથી નારાજ હતો. ત્યારથી ટીમનું દરેક ખરાબ પ્રદર્શન અને હાર્દિક દ્વારા લેવામાં આવેલ દરેક નિર્ણય સોશિયલ મીડિયા પર સતત ચર્ચાનો વિષય રહ્યો છે.
IPL 2026ની સીઝન મુંબઈ ઈન્ડિયન્સ અને હાર્દિક પંડ્યા બંને માટે નિરાશાજનક સાબિત થઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ, જ્યારે હાર્દિકનું વ્યક્તિગત પ્રદર્શન પણ અપેક્ષાઓ મુજબ ન રહ્યું. આ સીઝનમાં અત્યાર સુધી 8 મેચ રમીને, તેણે 146 રન બનાવ્યા છે અને 4 વિકેટ લીધી છે. આ ઉપરાંત, કમરના દુ:ખાવા અને અન્ય ફિટનેસ સમસ્યાઓના કારણે તે ત્રણ મેચમાં ભાગ લઈ શક્યો ન હતો. હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે ટીમનું નેતૃત્વ સંભાળ્યું. તાજેતરમાં પિતા બન્યા હોવા છતા સૂર્યા ટીમ સાથે જોડાઇ રહ્યો અને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સંભાળી.
અત્યાર સુધી ન તો હાર્દિક પંડ્યા કે ન તો મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. એવામાં, હાલમાં, તેને ફક્ત સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો ગણવામાં આવી રહી છે. જો કે, મુંબઈ ઈન્ડિયન્સની નિરાશાજનક સીઝન અને હાર્દિકને લઇને ચાલી રહેલી બહેસને કારણે, આ મુદ્દો ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો છે.

