- Kutchh
- અમરેલીના હીરા ઉદ્યોગ પર પણ યુદ્ધની માઠી અસર, ગુજરાન ચલાવવાના પણ ફાંફાં
અમરેલીના હીરા ઉદ્યોગ પર પણ યુદ્ધની માઠી અસર, ગુજરાન ચલાવવાના પણ ફાંફાં

રશિયા-યુક્રેન યુદ્ધની અસર હીરા ઉદ્યોગ પર પડી છે અને હાલમાં રત્નકલાકારો તથા હીરાના વેપારીઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગ પર પણ આ યુદ્ધની અસર પડી છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો તથા વેપારીઓને હાલમાં ગુજરાન ચલાવવાના પણ ફાંફાં પડી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં હાલ 50 હજારથી વધુ હીરાના કારીગરો છે. હાલમાં આ ઉદ્યોગ મરણપથારીએ પડ્યો છે ત્યારે રત્નકલાકારો અને હીરાના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વિદેશોમાં પોલિશ્ડ હીરાની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
અને તેની સીધી અસર હીરા ઉદ્યોગ પર પડી છે. બીજી તરફ કાચા હીરાના ભાવોમાં ધરખમ વધારો થતા હીરાનું ઉત્પાદન કરતા કારખાનેદારોએ પણ હીરાનું ઉત્પાદન ઘટાડ્યું છે. જ્યારે તૈયાર માલ વેચાતો ન હોવાથી હીરાના વેપારીઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લો ખેતી અને હીરા ઉદ્યોગ પર નભતો જિલ્લો છે. આમ, ખેતીને બાદ કરતા લોકો રોજીરોટી મેળવવા માટે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પરંતુ યુક્રેન-રશિયા યુદ્ધના કારણે હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગી ગયું છે.