- Gujarat
- અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રની લાલ આંખ, 20થી વધુ JCB કામે લાગ્યા
અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રની લાલ આંખ, 20થી વધુ JCB કામે લાગ્યા
છેલ્લા કેટલાક મહિનાઓથી દબાણો સામે તંત્ર લાલ આંખ કરી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં ડિમોલિશનની કાર્યવાહી મોટા પાયે હાથ ધરવામાં આવી રહ્યું છે. પહેલા ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું હવે શહેરના પૂર્વ વિસ્તારના ઈસનપુર તળાવમાં ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આજે સવારથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઈસનપુર તળાવમાં 1000થી વધુ લોકો દબાણ કરીને ગેરકાયદે રહે છે. અહી AMC હવે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે માટે 500 જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી અને મજૂરોને કામે લગાડવામાં આવ્યા છે. દબાણ દૂર કરવા માટે 20 જેટલા JCB મશીન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે.
સરકાર અને AMC દ્વારા હાલમાં તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે તળાવો પર દાયકાઓથી બાંધવામાં આવેલા દબાણોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. ઇસનપુરમાં લગભગ ચાર દાયકાથી તળાવ નજીક બાંધવામાં આવેલા દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે.
પહેલાથી આ વિસ્તારમાં 167 ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. AMCએ જણાવ્યું છે કે ચોમાસા અને દિવાળીના આ સમયે ડિમોલિશન મોડું રાખવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકોને હાનિ ન પહોંચે. બે દિવસ અગાઉથી પોલીસ મોર્ચ દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને મકાનધારકોને ઘર ખાલી કરવા સમજાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
https://twitter.com/AHindinews/status/1992826980983804293?s=20
ડિમોલિશનના સમયે મોટાભાગના મકાનધારકો સ્વેચ્છાએ પોતાના મકાનો ખાલી કર્યા હતા, જેના કારણે કામગીરી સરળ રીતે આગળ વધી રહી છે. AMCનું કહેવું છે કે આ પગલાં તળાવના મૂળ સ્વરૂપને પુનઃસ્થાપિત કરવા અને પાણીના નિકાસ તથા પર્યાવરણ સંરક્ષણ માટે અનિવાર્ય છે. આ ડ્રાઇવ અંતર્ગત ગેરકાયદે બાંધકામોને દૂર કરવાના પગલાં દરમિયાન કોઈ ગંભીર ઘટના ઘટી નથી અને કામગીરી અવિરત જ ચાલી રહી છે.
ડિમોલિશન હાથ ધરાય તેના બે દિવસ પહેલાંથી જ પોલીસે અહીં માર્ચ કરી હતી અને લોકોને ઘર ખાલી કરવા સમજાવાયા હતા. સમગ્ર મામલે 10 રહીશો હાઈકોર્ટમાં ગયા હતા. વોટર બોડી પર મકાનો બન્યા હોવાથી હાઈકોર્ટે ડિમોલિશનનો હુકમ કર્યો હતો. જો કે તે 10 લોકોને સમય આપવા કહ્યું હતું. તો અગાઉ 20 તારીખે ડિમોલિશન હાથ ધરાવાનું હતું, પરંતુ સ્થાનિકો દ્વારા વધુ 4 દિવસનો સમય માગતા આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી.

