- Gujarat
- કોટેશ્વર ગુરુકુળનો સ્વામી મહિલા સાથે હોટલમાં ઝડપાયો
કોટેશ્વર ગુરુકુળનો સ્વામી મહિલા સાથે હોટલમાં ઝડપાયો
સ્વામિનારાયણ સંપ્રદાય અવારનવાર વિવાદોમાં ફસાતો રહે છે. ક્યારેક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિવેદનને કારણે તો ક્યારેક તેમના સંપ્રદાયના પુસ્તકોને કારણે. ત્યારે આ સંપ્રદાયના સંતનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદના કોટેશ્વર ગુરુકુળનો સ્વામી રામકૃષ્ણ મહિલાને મળ્યો હતો. આ સ્વામીનો એક વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્વામી પેન્ટ અને ટીશર્ટ પહેરીને જતો દેખાઈ જોવા મળી રહ્યો છે.
આ વિવાદમાં સ્વામિનારાયણ મંદિર પોતાનો બચાવ કરતું દેખાઈ રહ્યું છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે, આ અંગેની જાણ થતા સ્વામીને કાઢી મુકવામાં આવ્યો છે. સમગ્ર મામલો મંદિર તરફથી દબાવવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
ઝી ન્યૂઝના અહેવાલ મુજબ, સ્વામી રામકૃષ્ણ દાસ કોટેશ્વર ગુરુકુળના મુખ્ય હોદ્દા પર બિરાજમાન હતો. તે એક મહિલા સાથે હોટેલમાં જોવા મળતા વિવાદ ઉભો થયો છે. આ મામલે પુરાવા સામે આવતા જ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા કાલુપુર સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવામાં આવી હતી.
નોંધનીય છે કે, એક તરફ મંદિર પ્રશાસન સફાઇ આપી રહ્યું છે, તો બીજી તરફ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ સમગ્ર મામલાને ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે મીડિયા અને અન્ય લોકોએ આ અંગે વધુ વિગતો જાણવા માટે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મોટાભાગના હોદ્દેદારોના ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યા છે, જે અનેક સવાલો ઉભા કરે છે.
આ સાધુએ ગુરુને શરમાવે તેવું કૃત્ય કરતા હોબાળો મચી ગયો છે અને ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિર પ્રશાસને પણ આ મામલાની ગંભીર નોંધ લીધી હતી અને સાધુના વેશમાં રંગરેલિયા મનાવનાર સ્વામી રામકૃષ્ણદાસજીને કાઢી મુક્યો છે.
મંદિર પક્ષનો એક દાવો એવો પણ છે કે, સ્વામીએ સ્વૈચ્છિક રીતે મંદિર છોડી દીધું છે. આ સમગ્ર મામલો મંદિર તરફથી દબાવવાનો પ્રયાસ કરાયા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. વાયરલ તસવીરમાં સ્વામી રામકૃષ્ણ દાસ પેન્ટ, શર્ટ, ટોપી, ઘડિયાળ સાથે કોઈ સામાન્ય માણસ જેવો જ લાગી રહ્યો છે. હાલ રામકૃષ્ણા સ્વામીએ ભગવા વસ્ત્રો ત્યાગીને સાંસારિક જીવનની શરૂઆત કરી હોવાની વાત સામે આવી રહી છે. પરંતુ પ્રશ્ન એ છે કે ધર્મના નામે આવા ધતિંગ કેટલા અંશે વાજબી અને ક્યાં સુધી ધર્મના નામે આવા ધતિંગ કરાતા રહેશે?

