- Gujarat
- દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ
ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરી છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત હતી. અધિકારીઓએ 71 લાખનો સામાન પણ જપ્ત કર્યો છે.
આ કેસના સંદર્ભમાં એક સગીર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શ્રી સત્ય ડેરી પ્રોડક્ટ્સ નામના એક યુનિટ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં કથિત રીતે પાણી, દૂધ પાવડર, કોસ્ટિક સોડા, રિફાઇન્ડ પામ તેલ, રિફાઇન્ડ સોયાબીન તેલ, ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરનું મિશ્રણ કરીને દૂધ તૈયાર કરવામાં આવી રહ્યું હતું.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'આરોપીઓ 300 લિટર અસલી દૂધનો ઉપયોગ કરી તેમાં વિવિધ રસાયણો સાથે મિશ્રિત કરીને દરરોજ 1,700થી 1,800 લિટર દૂધ ઉત્પન્ન કરતા હતા. આ દૂધ પછી પાઉચમાં પેક કરવામાં આવતું હતું અને ગામડાઓમાં પહોંચાડવામાં આવતું હતું.'
પોલીસે જપ્ત કરેલા ભેળસેળિયા માલમાં 450 કિલો છાશ પાવડર, 625 કિલો સ્કિમ્ડ મિલ્ક પાવડર, 300 કિલો પ્રીમિયમ SMP પાવડર, યુરિયા ખાતર, કોસ્ટિક સોડા, ડિટર્જન્ટ પાવડર, સોયાબીન તેલ અને પામ તેલનો સમાવેશ થાય છે. વધુમાં, વિતરણ માટે બનાવાયેલ 1,962 લિટર બનાવટી દૂધ અને 1,180 લિટર બનાવટી છાશ પણ જપ્ત કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગ્રાહકોને છેતરવા માટે આ બધી બનાવટી વસ્તુનો ઉપયોગ દૂધની જાડાઈ, ફીણ, પ્રોટીનનું પ્રમાણ અને બધું મળીને એકંદરે દૂધનો દેખાવ કૃત્રિમ રીતે સારો દેખાય તે માટે કરવામાં આવતો હતો.

ચોક્કસ માહિતી મળવાના આધારે, સ્થાનિક ગુના શાખા, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. સર્ચ દરમિયાન, અધિકારીઓએ મોટી માત્રામાં જોખમી રસાયણો, બનાવટી વસ્તુઓ અને દૂધના ઉત્પાદન અને પેકેજિંગમાં વપરાતા સાધનો જપ્ત કર્યા હતા. ફેક્ટરીને તાત્કાલિક સીલ કરવામાં આવી હતી.

અહીં તમને જણાવી દઈએ કે AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ બુધવારે રાજ્યસભામાં ખાદ્ય ભેળસેળનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બજારમાં શુદ્ધતાના ખોટા લેબલ હેઠળ ઝેર વેચાઈ રહ્યું છે. દૂધમાં યુરિયા, આઈસ્ક્રીમમાં ડિટર્જન્ટ, શાકભાજીમાં ઓક્સીટોસિન અને ચીઝમાં કોસ્ટિક સોડા ભેળસેળ કરવામાં આવી રહી છે. ઓક્સીટોસિન એક હાનિકારક રસાયણ છે જે ચક્કર, માથાનો દુખાવો, હૃદયરોગનો હુમલો, વંધ્યત્વ અને કેન્સરનું કારણ બની શકે છે.

