- Gujarat
- શું LPG બાદ પેટ્રોલ-ડીઝલની પણ અછત? પેટ્રોલ પંપને મળતા જથ્થામાં 50 ટકાનો કાપ મુકાયો
શું LPG બાદ પેટ્રોલ-ડીઝલની પણ અછત? પેટ્રોલ પંપને મળતા જથ્થામાં 50 ટકાનો કાપ મુકાયો
અમેરિકા-ઈઝરાય અને ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની અસર દેશ-દુનિયામાં દેખાઈ રહી છે. ત્રણ દેશોના સંઘર્ષમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું છે અને ક્રૂડ ઓઇલની સપ્લાય ચેઇનને અસર પડી છે. જેની હવે ગુજરાતના પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર દેખાવા લાગી છે. સુરત અને રાજકોટમાં ડીલરોને કંપની તરફથી પેટ્રોલ-ડીઝલની સપ્લાય મળતી હતી તેમાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે. કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કેટલાક પંપ બંધ જોવા મળી રહ્યા છે. જો કે, પેટ્રોલ અને ડીઝલની અછત હોવાનો ડીલર દ્વારા ઈન્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાં પેટ્રોલ પંપ પર શું સ્થિતિ છે ચાલો જાણીએ.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલની અછત વર્તાઈ રહી છે. ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં અચાનક ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ જે પેટ્રોલ પંપ પર દિવસની ત્રણ ગાડીઓ માલ ભરાતો હતો, ત્યાં હવે માત્ર એક કે દોઢ ગાડી જ માલ આપવામાં આવી રહ્યો છે. આ ઘટાડાને કારણે પંપ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર્સ પહેલા સીધો કંપની પાસેથી માલ ખરીદતા હતા, પરંતુ ભાવમાં અચાનક 12 રૂપિયાનો તોતિંગ વધારો થતા સમીકરણો બદલાયા છે. હવે આ કન્ઝ્યુમર્સ ડાયરેક્ટ કંપનીને બદલે પેટ્રોલ પંપ પરથી માલ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ ફેરફારને કારણે સામાન્ય જનતા માટેના રિટેલ સ્ટોક પર પણ ભારે દબાણ વધી રહ્યું હોવાનું જણાય છે.
અમદાવાદના પકવાન ચાર રસ્તા પર આવેલો ભારત પેટ્રોલિયમ પંપ બંધ થઈ ગયો છે. પેટ્રોલ ભરાવવા માટે આવેલા વાહન ચાલકોને પરત જવું પડી રહ્યું છે. શુક્રવાર પછી પેટ્રોલ એન ડીઝલની આગળથી ગાડી આવી નથી. છેલ્લી ગાડી શુક્રવારે આવી હતી, ત્યારબાદ આવી નથી. એડવાન્સ પૈસા આપ્યા બાદ જ ગાડી મોકલવામાં આવે છે. જેથી આજે પેટ્રોલ પંપ બંધ રાખવામાં આવ્યો છે. માત્ર ગેસ ભરવાનું જ ચાલુ રાખવામાં આવ્યું છે.
વડોદરામાં નાયરાના કેટલાક પેટ્રોલપંપ પર પેટ્રોલનો સ્ટોક ખૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મુજમહુડામાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા આવેલા ગ્રાહકોએ પાછા જવું પડતા રોષ ઠાલવ્યો હતો. ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના ખજાનચી તનસુખભાઈ પરમારે જણાવ્યું હતું કે, ‘શુક્રવારથી પેટ્રોલના સપ્લાયમાં ઘટાડો થયો છે. કંપનીઓ તરફથી પેટ્રોલ ઓછું આપવામાં આવી રહ્યું છે કંપની તરફથી ટેકનિકલ કારણો દર્શાવી અને પેટ્રોલ ઓછું આપવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં પેટ્રોલની 30 ટકા અત્યારે અછત જોવા મળી રહી છે 30 ટકા અસર થઈ છે જેના કારણે થઈને કેટલાક પેટ્રોલ પંપ અત્યારે બંધ કરવા પડ્યા છે આગામી 2-3 દિવસ હજી આ સ્થિતિ યથાવત રહે તેવી શક્યતા જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ 30 ટકા જેટલા પેટ્રોલ પંપ બંધ હોવા જણાવ્યું છે.
સુરત એન્ડ તાપી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલિયમ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી અનિલ દેસાઈના જણાવ્યા મુજબ, ‘કંપનીઓએ એક્સ્ટ્રા કસ્ટમરને માલ આપવાની ના પાડી છે. ઇન્ડસ્ટ્રીમાં જે 2000 થી 5000 લીટર બલ્ક માલ જતો હતો, તેના પર રોક લગાવાઈ છે. આ માલ હવે 20 જેટલી નાની ગાડીઓને વહેંચીને આપવામાં આવશે, જેની સીધી માઠી અસર સ્થાનિક ઉદ્યોગો પર પડશે.’
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના હાલ 7 પંપ બંધ છે. બે દિવસ રજા હોવાના કારણે સપ્લાય ચેઈનને અસર પડી છે. બાકી પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. અમારા દ્વારા એસોસિએશન દ્વારા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, IOC દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં એક સાથે એક ડીલર 20000 લિટર પેટ્રોલ કે ડીઝલનો જથ્થો ન ઉપાડી શકે તો બે ડીલર જથ્થો ઉપાડી શકશે. જોકે સપ્લાય મળતી રહેશે જેથી કોઈને પણ તકલીફ પડવા નહીં દે તેવી ખાતરી આપવામાં આવી છે. અગાઉ જેબ બ્લોકેજ હતા તે દૂર કરવામાં આવ્યા છે હવે કોઈ બ્લોકેજ નથી. ડીલરો પોતાની જરૂરિયાત પ્રમાણે માલ મંગાવી શકશે. જે કંઈ પણ પ્રોબ્લેમ થયો છે તે રજાને કારણે થયું છે અને આગામી 8 દિવસમાં તે ક્લિયર થઈ જશે.
આ સાથે જ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરું પાડવામાં 57%નો હિસ્સો IOCનો છે. રાજકોટ શહેરમાં IOCના 7 જેટલા પેટ્રોલ પંપ બંધ છે જ્યારે અન્ય શહેરમાં 2 જેટલા પેટ્રોલ પંપ બંધ છે. પેટ્રોલમાં હાલ કોઈ પરેશાની નથી. ડીઝલની વાત કરવામાં આવે તો નાયરાના વધારે પેટ્રોલ પંપ બંધ છે અને રિલાયન્સના પણ અમુક પંપ બંધ છે. જે લોકો ડાયરેક્ટ કંપની પાસેથી જથ્થો લેતા હતા તેમાં 22 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેનો લોર્ડ રિટેલ આઉટલેટ પર પડ્યો છે.

