- Tech and Auto
- ઇથેનોલના કારણે વાહનને નુકસાન થયું તો શું થશે, આ સર્વે સરકારનું ટેન્શન વધારશે
ઇથેનોલના કારણે વાહનને નુકસાન થયું તો શું થશે, આ સર્વે સરકારનું ટેન્શન વધારશે
ભારતમાં ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ (E20 ઇંધણ)ને લગતો વિવાદ ચાલુ છે. તાજેતરના એક સર્વે મુજબ, જો પેટ્રોલ વાહન માલિકોને લાગે છે કે E20 પેટ્રોલના કારણે તેમના વાહનોને મોટું નુકસાન થયું છે, તો તેમાંથી લગભગ અડધા લોકો વળતર માંગવા માટે તૈયાર છે. સર્વેમાં ભાગ લીધેલા લોકોમાંથી લગભગ અડધા લોકો ગ્રાહક અદાલતમાં જવા અથવા કાનૂની કાર્યવાહી કરવા સંમત થયા હતા.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, લોકલસર્કલ્સે એક નવો સર્વે બહાર પાડ્યો. સર્વેમાં 316 જિલ્લાઓના 22,000થી વધુ પેટ્રોલ વાહન માલિકોના પ્રતિભાવો એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે, જો તેમને લાગે કે 'ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ' (E20 પેટ્રોલ)ના કારણે તેમના વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે, તો તેઓ વળતર મેળવવા માટે શું પગલાં લેશે. સર્વેના પરિણામો અનુસાર, 31 ટકા લોકોએ કહ્યું કે, તેઓ કન્ઝયૂમર કોર્ટમાં જશે. 14 ટકા લોકોએ કહ્યું કે તેઓ ઉપલબ્ધ તમામ કાનૂની માર્ગોનો ઉપયોગ કરશે.
એકંદરે, 45 ટકા લોકોએ કહ્યું કે, તેઓ કાનૂની ઉપાય અપનાવશે. જ્યારે, 18 ટકા લોકોએ કહ્યું કે તેઓ વાહન ઉત્પાદન કરતી કંપની અને તેલ કંપની બંને પાસેથી વળતર માંગશે. 9 ટકા લોકોએ ફક્ત વાહન ઉત્પાદન કરતી કંપની પાસેથી જ વળતર માંગશે.
આનો અર્થ એ થયો કે, 27 ટકા લોકો પહેલા વાહન ઉત્પાદક અથવા બળતણ કંપની પાસેથી સીધા વળતર માંગશે, જ્યારે 14 ટકા લોકોએ કહ્યું કે તેઓ આ બાબતને આગળ ધપાવશે નહીં, અને 14 ટકા લોકો કંઈ નક્કી નથી કરી શક્યા.
આ લોકલસર્કલ સર્વે રાયપુર ગ્રાહક કમિશનના 14 જુલાઈના નિર્ણય પછી કરવામાં આવ્યો હતો, જેમાં મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાના માલિકે E20 પેટ્રોલનો ઉપયોગ કર્યા પછી વારંવાર એન્જિનમાં ખામી, કામગીરીમાં ઘટાડો, સ્ટોલ અને બળતણ કાર્યક્ષમતામાં ઘટાડો થવાની ફરિયાદ કરી હતી.
કમિશનએ મારુતિ સુઝુકી અને તેના ડીલરને ગ્રાહકને નવી કાર આપવા અથવા લગભગ રૂ. 20.5 લાખ પરત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, માનસિક ત્રાસ માટે રૂ. એક લાખનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. મારુતિ સુઝુકીએ કમિશનના આ આદેશને પડકારવાનો નિર્ણય લીધો છે.
તાજેતરના સર્વે દર્શાવે છે કે, કમિશનના નિર્ણયથી વાહન માલિકોનો વિશ્વાસ વધ્યો છે કે જો તેઓ માને છે કે E20 બળતણથી તેમના વાહનોને નુકસાન થયું છે તો તેઓ કાનૂની ઉપાય અપનાવી શકે છે.
આ સર્વેમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે E20ની સાથે ઓછા ઇથેનોલવાળા પેટ્રોલ મિશ્રણો (જેમ કે E5 અથવા E10) ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી જૂના પેટ્રોલ વાહનોના માલિકો તેમના વાહનની ક્ષમતા માટે યોગ્ય ઇંધણ પસંદ કરી શકે. સરકારે પેટ્રોલ પંપ પર ફક્ત E20 ઇંધણનું વેચાણ ફરજિયાત બનાવ્યું છે, પરંતુ લોકો માંગ કરી રહ્યા છે કે પેટ્રોલ પંપ પર E5 અથવા E10 ઇંધણ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે.

