- Business
- 5 મિનિટમાં રોકાણકારોના 15 લાખ કરોડ ધોવાઈ ગયા, આ 7 કારણે શેરબજારમાં જોવા મળ્યો કડાકો
5 મિનિટમાં રોકાણકારોના 15 લાખ કરોડ ધોવાઈ ગયા, આ 7 કારણે શેરબજારમાં જોવા મળ્યો કડાકો
સોમવારની સવાર ભારતીય શેરબજાર માટે દુઃખદ સપના જેવી રહી. બજાર ખુલતાની સાથે જ રોકાણકારોના લગભગ 14 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. બજાર લાલ થઈ ગયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ વેલ્યૂ ઝડપથી ઘટીને 437 લાખ કરોડ રૂપિયા થઇ ગયું. સેન્સેક્સ લગભગ 2,400 પોઈન્ટ ઘટીને 76,424 થયો, જ્યારે નિફ્ટી 50 પણ 700 પોઈન્ટ ઘટીને 23,750ના સ્તર પર પહોંચી ગયો.
ઘટાડો એટલો જોરદાર હતો કે ઈન્ડિગો જેવી મોટી કંપનીઓના શેર 8 ટકા તૂટી ગયા. ટાટા સ્ટીલ, L&T, SBI અને મારુતિ સુઝુકીના શેરમાં 5 ટકાનો મોટો ઘટાડો નોંધાયો. જાહેર ક્ષેત્રની બેંકો (PSU બેંકો)ના શેરોએ રોકાણકારોને સૌથી વધુ નિરાશ કર્યા, જેમાં ઇન્ડેક્સ 5 ટકાથી વધુનો ઘટાડો થયો. આખરે એવું શું થયું કે, બજાર અચાનક ગંજીપાનાંની જેમ વિખેરાઇ ગયો? ચાલો શેરબજારમાં આ કડાકા પાછળના 7 કારણો વિગતવાર સમજીએ.
1. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો
બજારમાં ગભરાટનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા છે. તેના કારણે, વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) અને બ્રેન્ટ ક્રૂડ બંનેના ભાવ લગભગ 30 ટકા વધીને પ્રતિ બેરલ 118 ડોલરને વટાવી ગયા છે. 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ બાદ આ પહેલી વાર છે જ્યારે તેલ 100 ડોલરનું સ્તર વટાવી ગયું છે. હોર્મૂઝ સ્ટ્રેટમાં ટ્રાફિક, જેમાંથી વિશ્વનું 20 ટકા તેલ પસાર થાય છે, વેપારી જહાજો પર હુમલાના ભયને કારણે અવરજવર ઠપ થઈ ગઇ છે.
2. મધ્ય-પૂર્વમાં ભીષણ યુદ્ધ
કાચા તેલના ભાવમાં વધારાનું મૂળ કારણ મધ્ય-પૂર્વનું યુદ્ધ છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે તેના 10મા દિવસમાં પ્રવેશી ગયું છે. સપ્તાહના અંતે, અમેરિકા અને ઈઝરાયલે અનેક ઈરાની તેલ ડેપો પર મોટા લશ્કરી હુમલાઓ શરૂ કર્યા. આ હુમલાઓમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના મો*ત થયાના અહેવાલ છે, ત્યારબાદ તેમના પુત્ર મોજતબા ખામેનેઇએ કમાન સંભાળી લીધી છે. ઈરાને પલટવાર કરતા ગલ્ફ દેશો સામે ડ્રોન હુમલા કર્યા. અમેરિકન રાષ્ટ્રપતિ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે ઈરાનની સત્તા ખતમ થઈ જશે. આ પરિસ્થિતિએ વિશ્વભરના રોકાણકારોને ડરાવી દીધા છે.
3. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું
ક્રૂડ ઓઈલના વધતા ભાવની સીધી અસર આપણા ચલણ પર પડી છે. ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 0.5 ટકા નબળો પડ્યો, જે 92.19ના રેકોર્ડ નીચા સ્તરે ખુલ્યો. જ્યારે ક્રૂડ ઓઈલ મોંઘુ થાય છે, ત્યારે ભારતે તેને ખરીદવા માટે વધુ ડોલર ખર્ચવા પડે છે. કોમોડિટી નિષ્ણાતોના મતે, જ્યાં સુધી પશ્ચિમ એશિયામાં તણાવ ચાલુ રહેશે અને ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રહેશે, ત્યાં સુધી રૂપિયો દબાણ હેઠળ રહેશે.
4. અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો
અમેરિકામાં સરકારી બોન્ડ (ટ્રેઝરી યીલ્ડ) પર વ્યાજ દર સતત ચોથા દિવસે વધ્યો છે, જેમાં 10-વર્ષના બોન્ડ યીલ્ડ 4.208% સુધી પહોંચી ગયો છે. શેરબજારની દૃષ્ટિએ જ્યારે સરકારી બોન્ડ સારા અને સુરક્ષિત વળતર આપે છે, ત્યારે રોકાણકારો શેરબજારને જોખમમાં નાખવાને બદલે ત્યાં તેમના નાણાંનું રોકાણ કરે છે. આ જ કારણ છે કે શેરબજારમાંથી પૈસા પાછા ખેંચી લેવામાં આવી રહ્યા છે.
5. વિદેશી રોકાણકારો (FII) બહાર નીકળી રહ્યા છે
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારતીય બજારમાંથી સતત તેમના ભંડોળ પાછા ખેંચી રહ્યા છે. બજારના આંકડા અનુસાર, વિદેશી રોકાણકારોએ માર્ચના પહેલા અઠવાડિયામાં જ આશરે 16 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. તો, મહિનાના પહેલા 4 ટ્રેડિંગ દિવસોમાં બજારમાંથી 21,829 કરોડ રૂપિયા કાઢી લીધા હતા. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર વી.કે. વિજયકુમારનું કહેવું છે કે જ્યાં સુધી મધ્ય-પૂર્વમાં પરિસ્થિતિ નહીં સુધરે અને ક્રૂડ તેલ સસ્તું નહીં થાય, ત્યાં સુધી વિદેશી રોકાણકારોના પાછા ફરવાની આશા ઓછી છે.
6. વિશ્વભરના બજારોમાં ગભરાટ
આ ગભરાટ માત્ર ભારત પૂરતો નથી. ક્રૂડ ઓઇલના ઝટકાએ સમગ્ર એશિયાના બજારોને તબાહ કરી દીધા છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 6 ટકા તૂટી ગયો છે, અને દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 8 ટકા તૂટ્યો છે. હોંગકોંગ અને ચીનના બજારોમાં પણ ભારે કડાકો જોવા મળ્યો છે. શુક્રવારે શરૂઆતમાં, અમેરિકા અને યુરોપના બજારો પણ ભારે નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે વૈશ્વિક બજારોમાં ભયનું વાતાવરણ છે, ત્યારે ભારતીય બજારમાં પણ તેની અસર જવા મળી રહી છે.
7. મોંઘવારી વધવાનો ભય
રેટિંગ એજન્સી મૂડીઝના મતે, જો આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો ભારતની સમસ્યાઓ વધશે. મોંઘુ ક્રૂડ તેલ દેશમાં સીધા મોંઘવારીમાં વધારો કરશે. પેટ્રોલ અને ડીઝલ વધુ મોંઘા થશે, જેના કારણે પરિવહન ખર્ચ વધશે અને રોજિંદી વસ્તુઓ વધુ મોંઘી થશે. વધતી મોંઘવારીને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) માટે વ્યાજ દર ઘટાડવા મુશ્કેલ બનશે, એટલે કે સામાન્ય માણસની લોન EMI સસ્તી થવામાં થોડો સમય લાગી શકે છે.
રોકાણકારોએ હવે શું કરવું જોઈએ?
બજારના ભયને માપનાર ભારત VIX 20 ટકા વધીને 23.90 પર પહોંચી ગયો છે. બજાર નિષ્ણાતો સલાહ આપે છે કે, રોકાણકારોએ ગભરાવું ન જોઇએ કારણ કે ઐતિહાસિક રીતે, યુદ્ધ અથવા ભૂ-રાજકીય કટોકટીનો બજાર પર લાંબા ગાળાનો પ્રભાવ પડતો નથી.
નિષ્ણાતોના મતે, બેંકિંગ, ઓટોમોબાઈલ, સિમેન્ટ, સંરક્ષણ અને ફાર્માસ્યૂટિકલ્સ જેવા ક્ષેત્રો આ કટોકટીમાં પણ મજબૂત રહી શકે છે. ટેક્નિકલી રૂપે, નિફ્ટી માટે 22,500 થી ઉપર રહેવું જરૂરી છે. જો આ સ્તર તૂટી જાય, તો બજાર 22,000 થી 21,500 સુધી સરકી શકે છે.

