- World
- ટ્રમ્પે ભારત અને ચીનને 'નરક' ગણાવ્યા; કહ્યું-અમેરિકનોના અધિકારો છીનવી રહ્યા છે USમાં રહેતા પ્રવાસીઓન...
ટ્રમ્પે ભારત અને ચીનને 'નરક' ગણાવ્યા; કહ્યું-અમેરિકનોના અધિકારો છીનવી રહ્યા છે USમાં રહેતા પ્રવાસીઓના પરિવારો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદન માટે હેડલાઇન્સમાં છવાઈ ગયા છે. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરાયેલા એક ઘૃણાસ્પદ અને વિવાદાસ્પદ પત્રમાં, ટ્રમ્પે ભારત, ચીન અને અન્ય દેશોને 'નરકના ખાડા' તરીકે ઓળખાવ્યા. આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે અમેરિકામાં જન્મજાત નાગરિકતા અંગે ચર્ચા તીવ્ર બની છે.
ટ્રમ્પે પોતાના પત્રમાં દાવો કર્યો હતો કે, કેલિફોર્નિયાના ટેક સેક્ટરમાં ભારત અને ચીનના લોકોનું વર્ચસ્વ છે, જે અન્ય લોકો માટે તકો મર્યાદિત કરે છે. જો કે, તેમણે આ દાવાને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા આપ્યા નથી.
તેમણે જન્મજાત નાગરિકતા નીતિની આકરી ટીકા કરતા કહ્યું હતું કે, 'અહીં જન્મેલું બાળક તરત જ નાગરિક બની જાય છે, અને પછી તેઓ તેમના આખા પરિવારને ચીન, ભારત અથવા અવકાશ પરના કોઈપણ અન્ય 'નરક'થી અહીં લાવે છે.'
ટ્રમ્પે દલીલ કરી હતી કે, જન્મજાત નાગરિકતાનો મુદ્દો કોર્ટ અથવા વકીલો દ્વારા નક્કી થવો જોઈએ નહીં, પરંતુ રાષ્ટ્રીય મતદાન દ્વારા નક્કી થવો જોઈએ. તેમણે ન્યાયિક સંસ્થાઓ પર અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો, અને દાવો કર્યો હતો કે સોશિયલ મીડિયા પોલમાં મોટાભાગના લોકો આ નીતિ પર પ્રતિબંધ મૂકવાની તરફેણ કરે છે. ટ્રમ્પ માને છે કે, વર્તમાન બંધારણીય અર્થઘટનનો ઇમિગ્રેશન પેટર્ન પર કોઈ પ્રભાવ નથી.
રાષ્ટ્રપતિએ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU)ને 'અપરાધ'નું સંગઠન ગણાવ્યું અને સૂચન કર્યું કે, તેમની સામે RICO કાયદા (જેનો ઉપયોગ સંગઠિત ગુનાઓ સામે થાય છે) હેઠળ કાર્યવાહી કરવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે, ઇમિગ્રન્ટ્સ આરોગ્યસંભાળ જેવી જાહેર સેવાઓનો દુરુપયોગ કરી રહ્યા છે અને કર ચૂકવતા અમેરિકન નાગરિકો પર બોજ પાડી રહ્યા છે.
ટ્રમ્પે પોતાના પત્રમાં એવો પણ દાવો કર્યો હતો કે, મોટા પાયે ઇમિગ્રેશન અમેરિકાની સાંસ્કૃતિક અને ભાષાકીય ઓળખને અસર કરી રહ્યું છે. તેમણે 'ચેઇન માઇગ્રેશન'ને યુનાઇટેડ સ્ટેટ્સ માટે એક મોટો ખતરો ગણાવ્યો. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે જન્મજાત નાગરિકતા અંગે US સુપ્રીમ કોર્ટમાં કાનૂની ચર્ચા ચાલી રહી છે. ભારત જેવા વ્યૂહાત્મક ભાગીદાર સામે આવી ભાષાનો ઉપયોગ રાજદ્વારી વર્તુળોમાં નારાજગી ફેલાવી શકે છે.

