- Business
- શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ
શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ
છેલ્લા એક મહિનામાં એક્સ-ફેક્ટરી ખાંડના ભાવમાં આશરે 15 ટકાનો વધારો થયો છે, જેના કારણે બજારમાં અછતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન (AISTA)એ જણાવ્યું છે કે દેશમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ખાંડનો પૂરતો સ્ટોક છે.
દેશમાં ખાંડની અછત અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન (AISTA)એ સ્પષ્ટતા કરી છે કે આવી આશંકાઓ પાયાવિહોણી છે. સંગઠને કહ્યું કે, છેલ્લા એક મહિનાથી પણ ઓછા સમયમાં એક્સ-ફેક્ટરી ખાંડના ભાવમાં લગભગ 15 ટકાનો વધારો જરૂર થયો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આ પુરવઠાની અછત છે. તાજેતરના અઠવાડિયામાં ખાંડના ભાવમાં વધારા બાદ બજારમાં પુરવઠા અંગે ચિંતા વધી ગઈ હતી.
AISTAએ તેના 700 સંલગ્ન સભ્યો અને સંગઠનોને મોકલેલા સંદેશમાં કહ્યું કે ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA) અને નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ (NFCSF) એ 17 જુલાઈના રોજ સંયુક્ત રીતે સ્પષ્ટતા કરી હતી કે દેશમાં સ્થાનિક માંગને સંતોષવા માટે પૂરતો ખાંડનો સ્ટોક છે. સાથે જ, ખાંડ ઉદ્યોગ કૃષિ-આબોહવાની પરિસ્થિતિઓને આધારે 2026-27 ક્રશિંગ સીઝનની શરૂઆત અગાઉથી કરવા સંમત થયો છે, જેનાથી બજારમાં તાજી ખાંડની ઉપલબ્ધતામાં વધારો થવાની ધારણા છે.
AISTAના ચેરમેન પ્રફુલ્લ વિઠલાણીએ જણાવ્યું હતું કે એક્સ-ફેક્ટરી ખાંડના ભાવમાં તાજેતરના વધારાથી બજારમાં અછતની બિનજરૂરી ધારણા ઉભી થઈ છે, જ્યારે વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. તેમણે ખાંડ મૂલ્ય શૃંખલાના તમામ પક્ષો, ખાંડની મિલો, ટ્રેડિંગ હાઉસ, જથ્થાબંધ વેપારીઓ, વિતરકો અને સંસ્થાકીય ગ્રાહકોને અપીલ છે કે તેઓ દેશભરમાં ખાંડની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સકારાત્મક પગલાં ઉઠાવે. વિઠલાણીએ COVID-19 મહામારી દરમિયાન ઉલ્લેખ પણ કર્યો, જ્યારે ઉદ્યોગે પુરવઠો અવિરત રહે તે સુનિશ્ચિત કર્યું હતું અને સરકારે પણ આ પ્રયાસની પ્રશંસા કરી હતી. તેમનું કહેવું છે કે ઉદ્યોગે અત્યારે પણ એ જ રીતે જવાબદાર અભિગમ અપનાવવાનું જોઈએ.
સંગઠને તેના સભ્યોને ગભરાટમાં ખરીદી ન કરવા અને સટ્ટાકીય હેતુઓ માટે સ્ટોક જમા ન કરવાની અપીલ કરી છે. સાથે જ તમામ પક્ષોને સરકારી નિયમોનું પાલન કરવા અને કોઈપણ ભ્રામક માહિતી અથવા અફવાઓ પર ધ્યાન ન આપવા કહેવામાં આવ્યું છે. સંબંધિત પક્ષોને મોકલવામાં આવેલા એક અલગ ખુલ્લા પત્રમાં પણ AISTAએ ખાંડની ઉપલબ્ધતા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
સંગઠને જણાવ્યું હતું કે ઉદ્યોગ તરફથી પૂરતા પ્રમાણમાં ખાંડના સ્ટોકની ઉપલબ્ધતા છે અને પિલાણ કામગીરી ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે. સંગઠનને અપેક્ષા છે પાકની કાપણીના શરૂઆતી સમયમાં હવામાન અનુકૂળ રહેશે અને વધારે વરસાદ નહીં પડે, જેથી શેરડીની કાપણી અને અને પિલાણમાં કોઇ વિક્ષેપ વિના ચાલુ રહેશે. AISTAએ ફરી એકવાર ખાંડ મિલો, વેપારીઓ અને સંસ્થાકીય ખરીદદારોને સરકારી ધોરણોનું કડક પાલન કરવા, સુગમ કામગીરી ચલાવવવા અને ઉદ્યોગ સંગઠનો દ્વારા આપવામાં આવેલા આશ્વાસનો પર વિશ્વાસ જાળવવા અપીલ કરી છે.

