- Business
- પેટ્રોલ પંપ પર લખાય કે E20 પેટ્રોલમાં શું ભેળવાયું છે, એની ગાડી પર શું અસર થશે, સુપ્રીમ કોર્ટે અરજી
પેટ્રોલ પંપ પર લખાય કે E20 પેટ્રોલમાં શું ભેળવાયું છે, એની ગાડી પર શું અસર થશે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી
સુપ્રીમ કોર્ટે દેશભરના પેટ્રોલ પંપો પર વેચાતા પેટ્રોલમાં ઈથેનોલની માત્રા કેટલી છે તેની માહિતી ફરજિયાતપણે આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો સોમવારે ઈનકાર કરી દીધો છે. ધી હિન્દુના અહેવાલ મુજબ, વકીલ અને અરજદાર નરેન્દ્ર કુમાર ગોસ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં ઈથેનોલના ઉપયોગને બળજબરીથી અમલમાં મૂકવા સામે ('સાઈલન્ટ કમ્પલ્શન') સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની પીઠે ગોસ્વામીની આ કેસ દાખલ કરવાની ક્ષમતા એટલે કે લોકસ સ્ટેન્ડી પર સવાલ ઉઠાવ્યા હતા. અદાલતે પૂછ્યું કે, તેઓ સંબંધિત હાઈકોર્ટમાં જવાના બદલે સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યા? પીઠે ટિપ્પણી કરતા કહ્યું, તમે કોણ છો? તમે ક્યાં પ્રેક્ટિસ કરો છો? પહેલાં હાઈકોર્ટ જાઓ અને ત્યાં અરજી દાખલ કરો.
અરજદારની મુખ્ય દલીલ એ હતી કે ગ્રાહકોને તેઓ જે બળતણ ખરીદે છે તેમાં શું ભેળવવામાં આવ્યું છે (તેનું કમ્પોઝિશન), તેની ગુણવત્તા, નક્કી કરાયેલા ધોરણો અને તેનાથી વાહનોની ક્ષમતા પર પડતી અસર જાણવાનો પૂરતો અધિકાર છે. અરજીમાં એ વાત પણ ભારપૂર્વક કહેવામાં આવી હતી કે પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ જાહેર કરવું એ માત્ર ‘દિખાવા માટેનો ગ્રાહક સુવિધાનો નારો’ નથી, પરંતુ જ્યારે સરકાર પોતે દેશભરમાં આ પ્રકારનું ફરજિયાત બજાર ઊભું કરી રહી હોય ત્યારે આ એક બંધારણીય જરૂરિયાત બની જાય છે.

અરજદાર ગોસ્વામીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, અમે શું ખરીદી રહ્યા છીએ તે જાણવાનો અમને પૂરો હક છે... જ્યારે અમે બિસ્કિટનું એક પેકેટ ખરીદીએ છીએ ત્યારે પણ આપણને તેની અંદર કઈ વસ્તુઓ વપરાઈ છે તેની ખબર હોય છે. તેમણે વધુમાં ઉમેર્યું, હું સરકારની નીતિને ચૅલેન્જ નથી કરી રહ્યો. હું માત્ર વિગતો જાણવા માગું છું, જે મારો અધિકાર છે. અગાઉના કેસમાં અટોર્ની જનરલે કહ્યું હતું કે આ એક પ્રયોગ છે અને ત્યારબાદ તેમણે ખુલાસો પણ આપ્યો હતો.
આ તમામ દલીલો છતાં સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. અદાલતે પોતાના આદેશમાં નોંધ્યું, અરજી ફગાવવામાં આવે છે... જોકે, અરજદાર યોગ્ય સત્તાધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે સ્વતંત્ર રહેશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની E20 (પેટ્રોલમાં 20% ઈથેનોલ મિશ્રણ) નીતિનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ નીતિના વિરોધમાં સોશિયલ મીડિયા પર ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, RTI અરજીઓ દાખલ કરાઈ છે અને સુપ્રીમ કોર્ટ સુધી ઈંધણ નીતિમાં પારદર્શિતા તથા ઈથેનોલ-મુક્ત પેટ્રોલની ઉપલબ્ધતા જાળવી રાખવા અરજીઓ કરવામાં આવી છે.

ગયા મહિને આ નીતિ લાગુ થયા બાદથી અનેક વાહનચાલકો દ્વારા એન્જિન, ફ્યુઅલ ટેન્ક, કાર્બ્યુરેટર અને ફ્યુઅલ પાઈપલાઈનમાં અસામાન્ય ઘસારો અને ખરાબી આવતી હોવાની ફરિયાદો સામે આવી છે. આલોચકોનું કહેવું છે કે સરકારે આ નીતિ નક્કી કરેલી સમયસીમા કરતાં પાંચ વર્ષ વહેલી અમલમાં મૂકી દીધી છે, જ્યારે વાહન ઉત્પાદક કંપનીઓ હજુ સુધી E-20 ઈંધણ અનુસાર એન્જિન તૈયાર કરી શકી નહોતી. તેના કારણે જે વાહનો માત્ર E-10 કે તેનાથી ઓછા ઈથેનોલ માટે ડિઝાઈન કરાયા હતા, તે વાહનમાલિકોએ પણ ફરજિયાત E-20 પેટ્રોલ વાપરવું પડી રહ્યું છે.
જોકે, આ વ્યાપક વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારનું કહેવું છે કે તેમને વાહન ઉત્પાદકો, ઓટોમોબાઈલ સંગઠનો કે ગ્રાહક મંડળો તરફથી એવી કોઈ ખાસ ફરિયાદો મળી નથી, જેનાથી એ સાબિત થાય કે E-20 ઈંધણના કારણે વાહનોની માઈલેજ ઘટી ગઈ હોય, પિક-અપ ઓછું થયું હોય કે પેટ્રોલની ટાંકીમાં કાટ લાગવાની સમસ્યાઓ ઊભી થઈ હોય.

