- Tech and Auto
- ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી
દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ અંગે સરકારને મોકલેલો એક સપ્તાહ જૂનો પત્ર પાછો ખેંચી લીધો હતો. સંગઠને દાવો કર્યો હતો કે પત્રમાં આપેલા કેટલાક આંકડાઓની વધુ ચકાસણીની જરૂર છે.
જોકે Reuters દ્વારા સમીક્ષા કરવામાં આવેલા ઉદ્યોગ સાહસોના અધિકારીઓ વચ્ચેના ખાનગી સંવાદો દર્શાવે છે કે, પત્ર પાછો ખેંચાયાના અગાઉના દિવસોમાં દેશની અગ્રણી ઓટો કંપનીઓ - મારૂતિ સુઝુકી, ટાટા મોટર્સ અને મહિન્દ્રાએ 20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20) માં બેજવાબદાર મિશ્રણ અને ખામીઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
સરકારે પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઈલની આયાત ઓછી કરવા માટે ગયા વર્ષથી દેશભરમાં E20 નો અમલ શરૂ કર્યો છે. ત્યારબાદ આ ઓટોમોબાઈલ ઉદ્યોગ દ્વારા કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી વ્યાપક ફ્યુઅલ ટેસ્ટિંગ હતું.
1 એપ્રિલથી દેશમાં બીજું કોઈ સાદું પેટ્રોલ ઉપલબ્ધ ન હોવાને કારણે, વાહનોના પરફોર્મન્સ પર તેની શું અસર પડશે તે અંગે ગ્રાહકોની ચિંતાઓ વધી ગઈ છે.
કાર ઉત્પાદકો દ્વારા મોકલવામાં આવેલા ઈમેઈલથી પ્રથમ વખત ખુલાસો થયો છે કે, તેઓ જાહેર ક્ષેત્રે સરકારના E20 ઇંધણના અમલને ટેકો આપતા હોવા છતાં, ખાનગી રીતે E20 માં ક્લોરાઈડ અને ભેજ જેવા તત્વોની હાજરીથી વાહનોને થતા નુકસાન અંગે ભારે ચિંતિત છે.
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) એ બળતણમાં દૂષણ અંગેનો તેનો 28 જુલાઈનો પત્ર સરકાર અને જાહેર ક્ષેત્રે ઊભા થયેલા વિવાદ બાદ પાછો ખેંચી લીધો હતો, અને જણાવ્યું હતું કે કેટલાક આંકડાઓ ના પ્રમાણિકરણની જરૂર છે.
પરંતુ, અગાઉ પ્રકાશમાં ન આવેલા ઉદ્યોગના ડેટા અને ઈમેઈલ દર્શાવે છે કે અનેક ઓટો ઉત્પાદકોએ એક વર્ષ દરમિયાન ભારતના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 21 રાજ્યોના પેટ્રોલ પંપ પરથી 250 થી વધુ ઇંધણના સેમ્પલ ભેગા કરીને વ્યાપક પરીક્ષણ કર્યું હતું. તેમણે 18 રાજ્યોના સેમ્પલમાં ક્લોરાઈડનું ઊંચું પ્રમાણ અને ભેજનું પ્રમાણ વધારે હોવાનું શોધી કાઢ્યું હતું.
અધિકારીઓના ઈમેઈલમાં ડેટાની સત્યતા અંગે કોઈ આશંકા વ્યક્ત કરવામાં આવી નહોતી.
આ ખાનગી ઈમેઈલ્સ અંગે પૂછવામાં આવતાં SIAM એ રોઇટર્સને જણાવ્યું હતું કે, આ ડેટા માત્ર આંતરિક ઉપયોગ, ચર્ચા અને ચકાસણી માટે હતો અને આ સેમ્પલ્સ બહુ ઓછી ઓટો ઉત્પાદક કંપનીઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, આ ઈમેઈલ ચર્ચાનો હિસ્સો બનેલી મારૂતિ, ટાટા અને મહિન્દ્રા ભારતીય કાર માર્કેટમાં 67% હિસ્સો ધરાવે છે.
SIAM એ ઉમેર્યું કે પરીક્ષણનો આધાર અને સેમ્પલ સાઈઝ કોઈ ચોક્કસ તારણ પર પહોંચવા માટે અપૂરતી હતી, જેથી ભૂલથી મોકલાયેલો સંવાદ પાછો ખેંચવામાં આવ્યો હતો. સંગઠને હવે આ અંગે યોગ્ય વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે જણાવ્યું હતું કે SIAM નો પત્ર મળ્યો તેના બે અઠવાડિયા પહેલાં જ દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ પંપ પર ઇંધણની ગુણવત્તા તપાસવા માટે કડક ચકાસણી શરૂ કરી દીધી હતી. તેમણે ઉમેર્યું કે માત્ર 4 કેસમાં જ ખામીઓ મળી આવી હતી. સરકારી ઓઈલ કંપનીઓએ પણ ગયા અઠવાડિયે કહ્યું હતું કે વ્યાપક ચકાસણીમાં ચિંતા કરવાનું કોઈ કારણ મળ્યું નથી.
બીજી તરફ, મહિન્દ્રાએ સ્પષ્ટતા કરી છે કે તેના અધિકારીના ઈમેઈલના આધારે કાઢવામાં આવેલા તારણો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે, અને આ ડેટા મર્યાદિત તથા પ્રાથમિક હતો. કંપનીને E20 થી કોઈ સમસ્યા દેખાતી નથી. મારૂતિ અને ટાટાએ કોઈ ટિપ્પણી કરી નહોતી.
E20 ઇંધણના કારણે વાહનચાલકોમાં પણ અસંતોષ છે. સેંકડો વાહનચાલકોનો આક્ષેપ છે કે આ ઇંધણથી વાહનની માઈલેજ ઘટી ગઈ છે અને એન્જિનમાં ઘસારો વધી ગયો છે. આ મુદ્દો કોર્ટ સુધી પણ પહોંચ્યો છે.
SIAM એ અગાઉ જણાવ્યું હતું કે ક્લોરાઈડનું ઊંચું પ્રમાણ ઓટો પાર્ટ્સને કાટ લગાડે છે, જ્યારે ઇંધણમાં ભેજનું ઊંચું પ્રમાણ વાહનમાં પેટ્રોલ ભરાવ્યા બાદ તેને તરત જ બંધ કરી શકે છે.
મારૂતિ, ટાટા, મહિન્દ્રા અને SIAM વચ્ચે થયેલી ઈમેઈલ વાતચીતમાં મારૂતિના વરિષ્ઠ અધિકારી અનૂપ ભટ્ટે ક્લોરાઈડના ઊંચા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે 26 જુલાઈએ પેટ્રોલિયમ મંત્રાલય સાથે ખાનગીમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જૂથ ઈમેઈલમાં શેર કરાયેલા રાજ્યવાર આંકડા દર્શાવે છે કે:
રાજસ્થાન: ક્લોરાઈડનું પ્રમાણ 6 થી 570 ppm (પાર્ટ્સ પર મિલિયન) નોંધાયું.
નવી દિલ્હી: 1.4 થી 420 ppm નોંધાયું.
મહારાષ્ટ્ર: 10 થી 357 ppm નોંધાયું.
જ્યારે ભારત સરકારના નિયમ મુજબ તેની સ્વીકાર્ય મર્યાદા માત્ર 3 ppm છે.
આ ડેટા ટેબલમાં ભેજનું પ્રમાણ આંધ્ર પ્રદેશમાં 13000 ppm અને ઉત્તર પ્રદેશમાં 12500 ppm સુધી પહોંચેલું જોવા મળ્યું હતું, જ્યારે સરકારી માનક મુજબ તેની મર્યાદા 3000 ppm ની છે.
ઇંધણ દૂષિત થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ SIAM એ તેના પાછા ખેંચાયેલા પત્રમાં નોંધ્યું હતું કે E20 ના અમલ પછી ક્લોરાઈડનું પ્રમાણ વધ્યું છે અને ઓઈલ કંપનીઓને તેનું મુખ્ય કારણ શોધવા સૂચના આપવા સરકારને વિનંતી કરી હતી. ભેજના પ્રમાણ માટે પેટ્રોલ પંપ પરની અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્ક અને પાઈપલાઈનની યોગ્ય જાળવણીનો અભાવ જવાબદાર હોઈ શકે છે.
મારૂતિના અધિકારી અનૂપ ભટ્ટે ૨૬ જુલાઈના ઈમેઈલમાં લખ્યું હતું કે, હાલના ફ્યુઅલ ઈંજેક્ટર્સ (જે એન્જિન સુધી બળતણ પહોંચાડે છે) માત્ર 1 ppm ક્લોરાઈડ જ સહન કરી શકે છે. E20 માં 1 ppm થી ઓછું પ્રમાણ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર છે અને મંત્રાલય સાથેની ચર્ચા મુજબ પણ છે.
મહિન્દ્રાના ફ્લુઈડ ટેકનોલોજીના સિનિયર પ્રિન્સિપલ એન્જિનિયર આર. રામપ્રભુએ ઈમેઈલમાં જણાવ્યું હતું કે, 'ઓર્ગેનિક ક્લોરાઈડ' એવું તત્વ છે જે વાહનોને ખૂબ જ ઝડપથી નુકસાન પહોંચાડી રહ્યું છે અને તે માત્ર 200 કિલોમીટરની અંદર એન્જિન બગાડી શકે છે.
તેમણે લખ્યું હતું કે, પેટ્રોલ ભરાવ્યા બાદ તરત જ સામે આવતા મોટાભાગના કિસ્સાઓ ઓર્ગેનિક ક્લોરાઈડના કારણે છે, અને મહિન્દ્રા પાસે પેટ્રોલ પંપ પરથી લેવાયેલા ઇંધણના સેમ્પલના મજબૂત પુરાવા છે.

