- World
- નેપાળના PMએ પુર માટે ભારત-ચીન-અમેરિકા જેવા દેશોને જવાબદાર ઠેરવ્યા, કહ્યું- દાન નથી જોઈતું વળતર આપો
નેપાળના PMએ પુર માટે ભારત-ચીન-અમેરિકા જેવા દેશોને જવાબદાર ઠેરવ્યા, કહ્યું- દાન નથી જોઈતું વળતર આપો
નેપાળે ભોટેકોશી નદીમાં આવેલી ભયાનક પૂરની હોનારત માટે ભારત, ચીન અને અમેરિકા જેવા વિશ્વના સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરતા દેશોને જવાબદાર ઠેરવીને આબોહવા વળતર (ક્લાઈમેટ કમ્પેન્સેશન)ની માંગ કરી છે. નેપાળ-ચીન સરહદ નજીક વિશાળ ખડક અને બરફનું ભૂસ્ખલન થવાને કારણે બાગમતી પ્રાંતના અનેક જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે. આ હિમાલયન સુનામીમાં 1,127 થી વધુ લોકોના મોત થયા છે અને અંદાજે 4800 જેટલા લોકો હજુ પણ ગુમ છે. આ મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર અવાજ ઉઠાવવા માટે નેપાળ સરકારના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ પોતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) જવા તૈયાર થઈ રહ્યા છે.

નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે ‘કાંતિપુર ટીવી’ને આપેલી મુલાકાતમાં સ્પષ્ટ કર્યું કે, અમે અમારી રાજદ્વારી નીતિ મદદમાંથી બદલીને ન્યાય અને વળતર તરફ લઈ જઈ રહ્યા છીએ. જે દેશોએ વૈશ્વિક પ્રદૂષણમાં નહિવત યોગદાન આપ્યું છે, તેઓ આબોહવા પરિવર્તનની ગંભીર અસરો ભોગવી રહ્યા છે. આ દાનનો વિષય નથી, પરંતુ મોટા ઔદ્યોગિક દેશોની કાનૂની અને નૈતિક જવાબદારી છે.
નેપાળે UN સમર્થિત 'ફંડ ફોર રિસ્પોન્ડિંગ ટુ લોસ એન્ડ ડેમેજ' પાસે તાત્કાલિક નાણાકીય સહાય માટે સત્તાવાર વિનંતી કરી છે. નેપાળના નાણા મંત્રી સ્વર્ણિમ વાગ્લે અને વન તથા કૃષિ મંત્રી ગીતા ચૌધરીએ સંયુક્ત હસ્તાક્ષર કરીને લખેલા પત્રમાં બોર્ડની આગામી બેઠકની રાહ જોયા વિના તાત્કાલિક ભંડોળ ફાળવવાની માંગ કરી છે. વાગ્લેના જણાવ્યા મુજબ, પૂરથી થયેલા વિનાશમાંથી બહાર આવવા અને પુનઃનિર્માણ માટે નેપાળને $4 થી $5 અબજ ડોલર (અંદાજે ₹33,000 થી ₹41,000 કરોડ)ની જરૂર પડશે, જે દેશની કુલ અર્થવ્યવસ્થાના અંદાજે 10% જેટલી રકમ છે.
'ધ કાઠમંડુ પોસ્ટ'ના અહેવાલ મુજબ, 8 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી 81મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં અગાઉ વિદેશ મંત્રી જવાના હતા, પરંતુ હવે પ્રધાનમંત્રી બાલન શાહ પોતે ન્યૂયોર્ક જઈને નેપાળની સ્થિતિ રજૂ કરે અને ગ્લોબલ સાઉથ માટે ક્લાઈમેટ જસ્ટિસની માંગ કરે તે અંગે વિચારણા ચાલી રહી છે.

યુરોપિયન કમિશનના EDGAR 2024 ડેટા અનુસાર, કુલ ઉત્સર્જનની દ્રષ્ટિએ ચીન, અમેરિકા અને ભારત વિશ્વના ટોચના ત્રણ દેશો છે. જોકે, માથાદીઠ ઉત્સર્જનની દ્રષ્ટિએ ભારતનું વાર્ષિક ઉત્સર્જન માત્ર 3 ટન CO2 સમકક્ષ છે, જે ચીનના 11 ટન અને અમેરિકાના 17 ટન કરતાં ખૂબ જ ઓછું છે. ભારત હંમેશાંથી આંતરરાષ્ટ્રીય મંચો પર દલીલ કરતું આવ્યું છે કે આબોહવાની જવાબદારી નક્કી કરતી વખતે ઐતિહાસિક ઉત્સર્જન અને વિકસિત દેશો દ્વારા વર્ષોથી કરાયેલા પ્રદૂષણને ધ્યાને લેવું જોઈએ.
26 ઓગસ્ટે ભોટેકોશી નદીના બેસિનમાં આવેલા આ પૂરે નેપાળના રસુવા, નુવાકોટ અને ધાડિંગ જિલ્લામાં ભારે તારાજી સર્જી છે. ઘરો, રસ્તા, પુલો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ નષ્ટ થઈ ગયા છે. સંવેદનશીલ હિમાલયન ક્ષેત્ર અને ભૂકંપ સંભવિત ઝોનમાં આવેલી આ હોનારતને કારણે ત્યાં ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સુરક્ષા અને પર્યાવરણીય અસર સામે પણ નિષ્ણાતોએ ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે.
શરૂઆતમાં નેપાળે શોધ અને બચાવ કામગીરી માટે વિદેશી મદદ લેવાની ના પાડી હતી, પરંતુ બાદમાં પરિસ્થિતિ વણસતા તેણે ભારત, ચીન અને અન્ય દેશો પાસેથી ટનલ-રેસ્ક્યૂ ટીમ, ફોરેન્સિક નિષ્ણાતો અને બેઈલી બ્રિજ જેવા સાધનોની સહાય માંગી છે. વિદેશ મંત્રી ખનાલે ચેતવણી આપી છે કે હિમાલયના ગ્લેશિયર સમગ્ર દક્ષિણ એશિયાના અબજો લોકોની નદીઓનું ઉદ્ગમ સ્થાન છે, તેથી જો પ્રદૂષણ કરનારા દેશો પોતાની જવાબદારી નહીં સ્વીકારે તો પરિણામ આખા ક્ષેત્રે ભોગવવું પડશે.

