- Sports
- T20I સીરિઝ માટે 4 ખેલાડીઓ સંપૂર્ણ ફિટ ન હોવા છતા ભારતીય ટીમમાં કેમ પસંદ કરાયા?
T20I સીરિઝ માટે 4 ખેલાડીઓ સંપૂર્ણ ફિટ ન હોવા છતા ભારતીય ટીમમાં કેમ પસંદ કરાયા?
અફઘાનિસ્તાન સામે નવી દિલ્હીમાં રમાનારી ઐતિહાસિક T20I સીરિઝ માટે ભારતીય પસંદગી સમિતિએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં મોટા સ્ટાર્સ પાછા ફર્યા છે, પરંતુ ફિટનેસના અભાવે હાર્દિક પંડ્યા ટીમમાંથી બહાર રહ્યો છે. આ ટીમ પસંદગીમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે ચાર ખેલાડીઓના નામના આગળ ‘ફિટનેસ ક્લિયરન્સને આધીન’ દર્શાવતી ફુદડી મૂકવામાં આવી છે. આ યાદીમાં ઝડપી બોલિંગ જોડી જસપ્રીત બુમરાહ અને હર્ષિત રાણા તેમજ ઓલરાઉન્ડર નિતિશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે. દ્વિપક્ષીય સીરિઝ માટે પસંદગીકારોએ એવા ખેલાડીઓની પસંદગી કરી હોય કે જેઓ હજુ પૂર્ણપણે ફિટ નથી, તે બાબતે અનેક સવાલો ઊભા થયા છે.

તાજેતરમાં ખેલાડીઓને ઉતાવળમાં ટીમમાં પરત લાવવાને કારણે તેઓ ફરી ઈજાગ્રસ્ત થયા હોવાના ઘણા કિસ્સાઓ બન્યા છે. આ અનુભવમાંથી પાઠ લઈને BCCIએ કોઈ પણ ખેલાડીને ટીમમાં રમવાની મંજૂરી આપતા પહેલાં અત્યંત સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. હર્ષિત રાણા ઘૂંટણની ઈજાના કારણે પાંચ મહિના સુધી બહાર રહ્યા બાદ આ વર્ષની શરૂઆતમાં આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી ચૂક્યો છે. તેણે ઈંગ્લેન્ડ પ્રવાસની પાંચેય T20I મેચો રમી હતી, પરંતુ ફિટનેસની સમસ્યાને કારણે તે ત્રણ મેચની વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો અને તેના સ્થાને પ્રિન્સ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
એ જ રીતે, બુમરાહ ઈંગ્લેન્ડ સામેની ત્રણમાંથી બે વન-ડે મેચ રમ્યો હતો અને શ્રીલંકામાં તાજેતરમાં રમાયેલી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરવાનો હતો. જોકે, પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ તેને પાછા ખેંચી લેવાયો હતો અને તેના સ્થાને આકિબ નબીને તક અપાઈ હતી.

બુમરાહની જેમ જ મોખરાના બેટ્સમેન સાઈ સુદર્શન પણ શ્રીલંકા પ્રવાસમાં રમવાનો હતો, પરંતુ તે સમયસર સાજો ન થઈ શકતા તેની જગ્યાએ સરફરાઝ ખાનનો સમાવેશ કરાયો હતો. આ ઉપરાંત, ઝિમ્બાબ્વે T20I સીરિઝ દરમિયાન નિતિશ રેડ્ડીના સ્થાને સૂર્યાંશ શેડગે અને વરુણ ચક્રવર્તીના સ્થાને રવિ બિશ્નોઈએ ટીમમાં સ્થાન મેળવ્યું હતું.
ખેલાડીઓની સતત ઈજાઓ અને છેલ્લી ઘડીએ નામ પાછા ખેંચવાના કારણે BCCIના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' (CoE) પર પણ સવાલો ઊભા થયા છે, જ્યાં ભારતીય ખેલાડીઓ ઈજામાંથી બહાર આવવા રિહેબિલિટેશનમાંથી પસાર થાય છે.
આ જ કારણસર હવે ટીમ મેનેજમેન્ટ ખેલાડીને મેદાનમાં ઉતારવા માટે ફિટનેસ ક્લિયરન્સ આપવા અંગે અત્યંત કડક બન્યું છે. 'ક્રિકબઝ'ના અહેવાલ મુજબ એક સૂત્રએ જણાવ્યું હતું કે, મેનેજમેન્ટ ખેલાડીની મેદાન પરની ઉપલબ્ધતા વિશે 100 ટકા નહીં, પણ 200 ટકા ખાતરી કરવા માગે છે. CoE આ બાબતે કોઈ જોખમ લેવા તૈયાર નથી.

BCCIના સેક્રેટરી દેવજીત સાઈકિયાએ શરતી પસંદગી પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે, અમે સામાન્ય રીતે ટીમ રવાના થવાના ઓછામાં ઓછા ત્રણથી ચાર અઠવાડિયા પહેલા પસંદગી સમિતિની બેઠક યોજીએ છીએ. તેથી મેચના ત્રણ-ચાર સપ્તાહ પહેલાં ખેલાડીની ફિટનેસનું ચોક્કસ સ્ટેટસ આપણી પાસે હોતું નથી. તે સમયે ખેલાડી રિહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થઈ રહ્યો હોવાથી તેના નામ આગળ 'ફિટનેસ ક્લિયરન્સને આધીન' લખવામાં આવે છે. જો તે ખેલાડી આગામી 21 કે 28 દિવસમાં ફિટ થઈ જાય, તો તેને ટીમમાં સામેલ કરી શકાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું, અમે પસંદગીના દિવસે ખેલાડીને સીધો નકારી શકતા નથી, કારણ કે મેચ રમવાના દિવસે કે પ્રવાસ વખતે તે સંપૂર્ણપણે ફિટ થઈ શકે તેવી શક્યતા હોય છે. તેથી જ આ શરતી પસંદગીનો રસ્તો અપનાવવામાં આવે છે જેથી ખેલાડી તકથી વંચિત પણ ન રહે અને તેને ફિટ થવાનો પૂરતો સમય મળી રહે.

