- National
- DMK સરકારમાં આંદોલનકારી ખેડૂતો અને શિક્ષકો સામે થયેલા કેસ પરત ખેંચાશે: CM વિજયની જાહેરાત
DMK સરકારમાં આંદોલનકારી ખેડૂતો અને શિક્ષકો સામે થયેલા કેસ પરત ખેંચાશે: CM વિજયની જાહેરાત
તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે બુધવારે રાજ્ય વિધાનસભામાં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, અગાઉની DMK સરકારના શાસન દરમિયાન આંદોલન કરનારા ખેડૂતો અને શિક્ષકો સામે નોંધાયેલા તમામ કેસો પરત ખેંચવામાં આવશે. આ સાથે જ તેમણે પૂર્વ મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળની સરકાર પર લોકશાહી ઢબે વિરોધ કરી રહેલા લોકો સાથે અમાનવીય વર્તન કરવાનો આક્ષેપ કર્યો હતો. વિધાનસભાને સંબોધતા મુખ્યમંત્રી વિજયે જણાવ્યું હતું કે, મે 2021થી 2026 વચ્ચે પોતાના હકો માટે આંદોલન કરનારા અનેક ખેડૂતો અને શિક્ષકો સામે કેસ નોંધવામાં આવ્યા હતા. આ કેસો હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે આ લોકો આજે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

મુખ્યમંત્રીએ ગૃહમાં ભારપૂર્વક કહ્યું, આ સરકાર ખેડૂતો અને શિક્ષકો તથા તેમની વ્યાજબી માંગણીઓ સાથે મજબૂતીથી ઊભી રહેશે. આ નિર્ણયથી રાજ્યમાં લોકશાહી અધિકારો વધુ મજબૂત બનશે અને સામાન્ય જનતા તથા સરકાર વચ્ચેનો વિશ્વાસ વધુ દ્રઢ થશે. વિજયે ખેડૂતોને રાજ્યનો કરોડરજ્જુ ગણાવતા ઉમેર્યું કે, SIPCOT ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સ અને પરંદુર ખાતે પ્રસ્તાવિત નવા એરપોર્ટ સામે વિરોધ પ્રદર્શન કરનારા ખેડૂતો સામે પોલીસ ફરિયાદો નોંધવામાં આવી હતી, જે કેસો હજુ પણ વિલંબિત છે.
તેમણે વધુમાં કહ્યું, શિક્ષકોએ પણ પૂર્ણપણે લોકશાહી ઢબે વિરોધ નોંધાવ્યો હોવા છતાં તેમની સામે કેસો દાખલ કરાયા હતા જે હજુ પેન્ડિંગ છે. આ તમામ બાબતો ધ્યાને રાખીને તમિલનાડુ સરકારે આ તમામ કેસો સંપૂર્ણપણે પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રી વિજયની આ જાહેરાત બાદ રાજ્યના અન્ય રાજકીય પક્ષો તરફથી પણ આવી જ માંગણીઓ સામે આવી છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)એ વિજયના નેતૃત્વવાળી TVK સરકારને અપીલ કરી છે કે NEET પરીક્ષાના વિરોધમાં આંદોલન કરનારા વિદ્યાર્થીઓ અને નાગરિકો સામેના કેસ પણ પાછા ખેંચવામાં આવે.

બીજી તરફ PMK પક્ષે પણ નેયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન (NLC) પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામે નોંધાયેલા કેસ રદ કરવાની માંગ કરી છે. આ માંગણીઓ અંગે રાજ્યના કાયદા મંત્રી નિર્મલ કુમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરકાર આ તમામ રજૂઆતો પર સકારાત્મક વિચારણા કરશે.

