- Sports
- IPL મેચ સમાપ્ત થયા પછી આખી રાત ખેલાડીઓ ક્યાં ગાયબ રહેતા હતા? ખુલાસો
IPL મેચ સમાપ્ત થયા પછી આખી રાત ખેલાડીઓ ક્યાં ગાયબ રહેતા હતા? ખુલાસો
IPLએ રાતોરાત ઘણા ખેલાડીઓનું નસીબ બદલી નાખ્યું છે. ભારતના જ નહીં, પરંતુ વિશ્વભરના ઘણા ખેલાડીઓને IPL સાચી ઓળખ આપી છે. IPLमां મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારનારા ખેલાડી મેચ પછી ખૂબ પાર્ટી પણ કરતા હતા. મેદાન પર ઉપરાંત મેચ પછી બહારની ગ્લેમર સાથે મોડી રાતની પાર્ટીઓ અને ફ્રેન્ચાઇઝ માલિકો સાથે ખેલાડીઓની બોન્ડિંગ પણ IPLને ખાસ બનાવે છે. તાજેતરમાં, બે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજો ચેતેશ્વર પૂજારા અને ઇરફાન પઠાણે IPLના શરૂઆતના દિવસો અને મોડી રાતની પાર્ટીઓ વિશે કેટલીક મનોરંજક વાતો શેર કરી.
2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે IPL ટાઇટલ જીતનાર ચેતેશ્વર પૂજારા મેદાન પર ખૂબ જ શાંત દેખાય છે. રમત ઉપરાંત પણ, તે હંમેશાં તેની પર્સનલ લાઇફમાં પણ ખૂબ પંક્ચુઅલ રહ્યો છે. પૂજારાએ જણાવ્યું કે તેના પિતાએ બાળપણમાં તેનામાં વહેલા ઉઠવાની આદત નાખી હતી. જોકે, IPLમાં આવ્યો તો વાતાવરણ ખૂબ અલગ હતું.
પુજારાના મતે, મેચ પછીની પાર્ટીઓ સામાન્ય રીતે રાત્રે 1:30 કે 2:00 વાગ્યાની આસપાસ શરૂ થતી હતી. સમયનું પાલન કરનાર પૂજારા સૌથી પહેલા પહોંચતો હતો, જ્યારે અન્ય ખેલાડીઓ 3:00 વાગ્યા સુધીમાં આવતા હતા. પૂજારા થોડા સમય માટે તેના રૂમમાં સૂવા જતા પહેલા રોકાતો હતો, પરંતુ હંમેશાંની જેમ સવારે 7:30 વાગ્યે નાસ્તો કરવા માટે ડાઇનિંગ એરિયામાં પહોંચી જતો હતો.
શરૂઆતમાં, જ્યારે પૂજારા સવારે વહેલા નાસ્તાના ટેબલ પર અન્ય ખેલાડીઓને જોતો હતો, ત્યારે તેને લાગ્યું હતું કે તેઓ પણ વહેલા ઉઠવા ટેવાયેલા. જોકે, બાદમાં તેમને વાસ્તવિકતા સમજાઈ ગઈ. હકીકતમાં, તે ખેલાડીઓ સવારે જાગ્યા નહોતા; તેઓ આખી રાત પાર્ટી કર્યા પછી ઊંઘ્યા વિના સીધા નાસ્તો કરવા આવ્યા હતા અને જમ્યા પછી જ સૂવાનું આયોજન કરી રહ્યા હતા.
આ જ વાતચીત દરમિયાન પૂજારાએ એ પણ સ્વીકાર્યું કે શાહરૂખ ખાનને મળવું તેમના માટે એક મોટી ક્ષણ હતી, જ્યારે તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમનો ભાગ બન્યો. બીજી તરફ, ઇરફાન પઠાણે 2009ની IPL સીઝનનો એક રમુજી કિસ્સો શેર કર્યો. તે સમયે, પઠાણ કિંગ્સ XI પંજાબ (હવે પંજાબ કિંગ્સ) માટે રમી રહ્યો હતો. ટીમ સતત કેટલીક મેચ હારી ગઈ હતી, અને વાતાવરણ થોડું તંગ હતું. ખેલાડીઓનું મનોબળ વધારવા માટે ટીમની સહ-માલિક અને બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ એક અનોખી ઓફર કરી,
પ્રીતિએ ટીમને કહ્યું કે જો તેઓ તેમની આગામી મેચ જીતશે, તો તે વ્યક્તિગત રીતે બધા માટે આલૂ પરાઠા બનાવશે. આ મનોરંજક વચનની અસર એ થઇ કે ટીમે આગામી મેચ જીતી લીધી, અને પ્રીતિ ઝિન્ટાએ વ્યક્તિગત રીતે પરાઠા બનાવીને આખી ટીમને ટ્રીટ આપી પ્રીતિ ઝિન્ટાની પ્રશંસા કરતા, પઠાણે કહ્યું કે શ્રેણીબદ્ધ હાર છતા તેણે ક્યારેય પોતાનો સંયમ ગુમાવ્યો નહીં અને હંમેશાં ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું.

