- Gujarat
- અંબાલાલ પટેલે જણાવ્યું અષાઢી બીજે વીજળી ન થવાને કારણે ક્યાં સુધી વરસાદની રાહ જોવી પડશે
અંબાલાલ પટેલે જણાવ્યું અષાઢી બીજે વીજળી ન થવાને કારણે ક્યાં સુધી વરસાદની રાહ જોવી પડશે
આ વર્ષે ચોમાસુ નબળું જણાઈ રહ્યું છે. થોડા દિવસ અગાઉ જ્યારે વરસાદે બારે મેઘ ખાંગા કરી દીધા હતા ત્યારે એવું લાગતું હતું કે હવે ચોમાસુ સારી રીતે બેસી ગયું છે અને વરસાદ આવ્યા જ કરશે, પરંતુ તેમ થયું નહીં અને મેઘરાજાએ વધારાનો વિરામ લઈ લીધો. આમ તો સંપૂર્ણપણે વિરામ લીધો નથી. છૂટોછવાયો વરસાદ પડતો રહે છે, પરંતુ જોઈએ તેવો વરસાદ આ વખતે જોવા મળ્યો નથી. ત્યારે હવે ગુજરાતનાં આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્ત્વનું અનુમાન લગાવ્યું છે.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જ્યાં સુધી આકાશમાં વીજળીના ન થાય ત્યાં સુધી સારો વરસાદ પડતો નથી, કારણ કે વીજળી જ વાદળોને ખેંચી લાવવાનું મુખ્ય કામ કરે છે. ચાલુ વર્ષે અષાઢી બીજના દિવસે વીજળી ન થઈ હોવાથી હવે અષાઢ સુદ પાંચમ સુધી રાહ જોવી પડશે અને જો ત્યારે પણ વીજળી ન થાય તો અષાઢ સુદ નોમ સુધી આશા રાખવી રહી.
આગાહીકારના મતે આગામી 21 જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક નવું સિસ્ટમ સક્રિય થવા જઈ રહ્યું છે, જેને કારણે 21-25 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ દરમિયાન અમદાવાદ, વડોદરા અને મહીસાગર જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં પણ સારા વરસાદની સંભાવના છે, જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ, જુલાઈ મહિનાના અંતમાં વરસાદનું જોર વધશે.
26-30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે, જેમાં કચ્છના કેટલાક વિસ્તારો તેમજ પોરબંદર અને દ્વારકામાં સારો વરસાદ થઈ શકે છે, જ્યારે જામનગરમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, જો 20 જુલાઈએ વરસાદ પડે તો તે પાણી કૃષિ માટે ખૂબ જ ઉત્તમ ગણાશે અને આ દિવસે વાવણી કરવી ખેડૂતો માટે ફાયદાકારક રહેશે. જો કે, 3 ઓગસ્ટ પછી પડનારો વરસાદ ખેતી માટે બહુ સાનુકૂળ નથી, કારણ કે આ વરસાદથી જમીનમાંથી ભેજ જતો નથી જેથી તેમાં કરેલું વાવેતર સારું થતું નથી.
ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ આવી શકે છે અને સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન સારો વરસાદ રહેવાનું અનુમાન છે, જેમાં કેટલાક ભાગોમાં 2-4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા તેમણે ઉમેર્યું હતું કે, 17 ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે ફાયદાકારક રહેશે.
જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે છે. આ દરમિયાન તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.હવામાનની સિસ્ટમની વાત કરીએ તો, દેશમાં હાલ કુલ 6 સિસ્ટમ સક્રિય છે, જોકે સીધી રીતે ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે એવી એકપણ સિસ્ટમ સક્રિય નથી. હળવી મદદરૂપ થઈ શકે એવી બે સિસ્ટમ છે. ઉત્તર ગુજરાતનું સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેલમાર્ક લોપ્રેશરના પ્રભાવથી હળવી વરસાદી ગતિવિધિઓ રહી શકે છે.
ગઈકાલે બંગાળની ખાડીમાં જે લૉપ્રેશર હતું તે હવે મજબૂત બનીને ઓડિશામાં વેલમાર્ક લૉ-પ્રેશર બન્યું છે. ચોમાસાની ધરી હજુ પણ ઉત્તર ભારત તરફ છે, પણ ગુજરાત માટે અનુકૂળ નથી. જ્યારે હરિયાણામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ઉત્તરપ્રદેશમાં પણ સાયક્લોનિક સર્ક્યૂલેશન છે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યીલેશન સક્રિય છે.
રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે. છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. એકંદરે ગુજરાતના 25 ટકા વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે. ઓડિશામાં સર્જાયેલા વેલમાર્ક લૉ-પ્રેશર અને ઉત્તર ગુજરાતના સાયક્લોનિક સર્ક્યૂલેશનના કારણે અરબ સાગરમાંથી ભેજવાળા પવનો વધારે ખેંચાશે. વેલમાર્ક લૉ-પ્રેશર સુધી ગતિ કરતા ભેજવાળા પવનોને ગુજરાતમાં જ્યાં અનુકૂળ વાતાવરણ મળે ત્યાં વાદળ બંધાશે અને વરસાદ નોંધાઈ શકે છે.

