- Gujarat
- ‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવ...
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી
જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે તેઓ અને તેમના બાળકો અમારો સહારો બને. પરંતુ શું થાય જ્યારે એ જ પુત્ર વધુ અને તેમના બાળકો દાદા-દાદીની સંપત્તિ હડપવા માટે તેમને પરેશાન કરવા લાગે. પરેશાન પણ એટલા કરવાના કે ગાળો ભાંડે અને પતાવી દેવા સુધીની ધમકી આપી નાખે? રાજકોટમાં પણ કઈક એવો જ મામલો સામે આવ્યો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પુત્રનું કેન્સરથી મોત થતા ઘરડા સાસુ-સસરાનું ધ્યાન રાખવાની જગ્યાએ પુત્રવધૂ અને બે પૌત્રીએ પરેશાન કરવામાં હદ વટાવી હોવાનો વૃદ્ધ દંપતીનો આક્ષેપ છે. વૃદ્ધ દંપતીને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. મોટા પુત્ર સંજયનું 2024માં અવસાન થયું હતું. બે માળના મકાનમાં નીચે દંપતી રહે છે. ઉપરના માળે પુત્રવધૂ કિન્નરીબેન બંને પુત્રી સાથે રહે છે તો બીજા રૂમમાં નાનો પુત્ર રવિ પરિવાર સાથે રહે છે.
ન્યૂ કોલેજવાડી મેઈન રોડ પર રહેતા 74 વર્ષીય પુષ્પાબેન પ્રવિણચંદ્ર જોષીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પુત્રવધૂ કિન્નરીબેન અને બે પૌત્રી મિલકત પોતાના નામે કરાવવા માટે અવારનવાર ઝઘડા કરી, ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપે છે.
20 જુલાઈએ સવારે ઘરે હતા ત્યારે કિન્નરીબેન અને તેની બંને પુત્રીઓએ કહ્યું કે, મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર કોઈ રીતે ઘરમાં અકસ્માત કરીને મારી નાખીશું. જે વાત સાંભળી તેને શાંતિ રાખવાની સલાહ આપી હતી. આમ છતા તેમને અને પતિને નહીં બોલવા જેવું બોલવા લાગ્યા હતા. સમજાવટના પ્રયાસ છતા ઝઘડો ચાલુ રાખ્યો હતો એટલું જ નહીં તેમને અને પતિને ગાળો આપી હતી અને ધમકી આપતા કહ્યું કે, તમે અમારા નામે મિલકત નહીં કરો તો અમે ત્રણેય જણાં તમને મારી નાંખીશું.
પુષ્પાબેને એવો પણ આક્ષેપ કર્યો છે કે, પુત્રવધૂ કિન્નરીબેનની બંને પૌત્રીઓ તેમના અને પતિની ગેરહાજરીમાં તેમના બેડરૂમમાં આવી શોધખોળ કરે છે. ઘણીવાર બંને હાજર હોય ત્યારે પણ મિલકત પોતાના નામે કરાવવા દબાણ કરી ઝઘડા કરે છે. તેઓ ઘરની બહાર જાય ત્યારે મુખ્ય દરવાજા ખુલ્લા રાખે છે, જેને કારણે અજાણ્યા માણસો ઘરમાં ઘૂસી જાય છે.
આ ઉપરાંત એવો પણ આક્ષેપ કર્યો છે કે પતિ હિંચકે બેઠા હોય ત્યારે પૌત્રી તેમની બાજુમાં બેસી હિંચકાની સ્પીડ અચાનક વધારી તેમને હિંચકા પરથી પાડી નાખવાનો પ્રયાસ કરે છે. રસોડામાં ઘણીવાર પાણી અથવા તેલ ઢોળી દે છે, જેથી તેમના અને પતિના પગ લપસી જાય અને અકસ્માત સર્જાય. છેલ્લા 2 વર્ષમાં લોક અદાલત તેમજ પ્રોટેક્શન માટે ક્લેક્ટરમાં પણ રજૂઆત કરી છે. અમારી એક જ માગ છે કે તેઓને હાલ આ ઘરમાંથી બીજે મોકલી દેવામાં આવે. અમે આગળ જતા ભવિષ્યમાં ભાગ આપીશું, ભાગ આપવાની ના નથી પણ અમને આ રીતે હેરાન કરવામાં આવતા અમે કંટાળી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

