- Gujarat
- ધંધુકામાં ધર્મેશ ગમારા સાથે એવું શું થયું કે આખા શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, SITની રચના કરાઈ,
ધંધુકામાં ધર્મેશ ગમારા સાથે એવું શું થયું કે આખા શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, SITની રચના કરાઈ, જાણો અત્યારે કેવી છે પરિસ્થિતિ
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની નસીબ સોસાયટીમાં અંગત અદાવતને પગલે એક હિન્દુ યુવકના છરીના ઘા ઝીંકીને રામ રમાડી દેવામાં આવ્યા હતા, જેને કારણે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી. અગાઉ બનેલી કિશન ભરવાડની હત્યાના કિસ્સા બાદ આ બીજી એવી ઘટના છે જેના કારણે સ્થાનિક હિન્દુ સંગઠનો અને રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ધંધુકામાં 2 બાઈકચાલકો વચ્ચે ઓવરટેક કરવાની સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી, જે ઉગ્ર બની હતી. આ દરમિયાન રિઝવાન નામના યુવકે ધર્મેશ ગમારા નામના યુવકનો જીવ લઈ લીધો હતો.
આ ઘટનાના સમાચાર વહેતા થતા જ સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં આગચંપી તેમજ તોડફોડ કરી હતી. આ હિંસક પ્રવૃત્તિને કારણે સમગ્ર શહેરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી. મૃતકના પોસ્ટમોર્ટમની તજવીજ શરૂ કરી છે. જ્યારે આગેવાનો સાથે પોલીસે મીટિંગ કર્યા બાદ કોમ્બિંગ શરૂ કર્યું છે.
ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ તાત્કાલિક ધંધુકા દોડી આવ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શહેરમાં વધારાની પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. SOG, LCB સહિત વિવિધ પોલીસ મથકના અધિકારીઓ અને પોલીસ કાફલો ખડકી દેવાયો છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દુકાનોમાં આગચંપી અને તોડફોડ કરનારા તત્વોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ ધંધુકામાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. પોલીસે હત્યાના મૂળ કારણોની તપાસ શરૂ કરી છે અને અફવાઓ પર ધ્યાન ન આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તજવીજ તેજ કરવામાં આવી છે.
પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા હત્યાના ગુનામાં સંડોવાયેલા 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત, તોડફોડ અને આગજની કરનારા તત્વોને પણ ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.
અમદાવાદ એસપી (SP) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરી છે જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને. મામલાની ગંભીરતાને જોતા SP હોસ્પિટલ પહોંચ્યા હતા, મૃતકના પરિવાર અને સંબંધીઓ તેમજ આગેવાનો સાથે ચર્ચા કરી કહ્યું હતું કે, 'બાઈકની ઓવરટેક બાબતે બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો. યુવકને પગમાં છરી વાગી હતી જેથી તેનું મો*ત થયું છે. આગેવાનોના તમામ મુદ્દાઓ અમે સાંભળ્યા છે. અમે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ઘરમાં ઘૂસીને જવાબદારોને પકડવાની અમારી કોમ્બિંગ ચાલુ રહેશે. આની પાછળ જે પણ કોઈ લોકો છે તેના સુધી પહોંચી કડક એક્શન લેવામાં આવશે. હાલ સમગ્ર શહેરમાં શાંતિનો માહોલ છે, અને શાંતિ જળવાઈ રહે તે માટે અમે અપીલ પણ કરીએ છીએ.આરોપીને પકડી લેવામાં આવ્યો છે આગળની કાયદાકીય પ્રક્રિયા હાલ ચાલુ છે.'
ધારાસભ્ય કાળુ ડાભીએ જણાવ્યુ હતુ કે, ‘બહારગામ હતો અને ઘટનાની જાણ થતા જ RMS હોસ્પિટલ ગયો, ત્યાં જોયું તો એક યુવાનનું મૃ*ત્યુ થયેલું હતું. ત્યારબાદ અમે શાંતિની અપીલ કરી, તેમના સમાજના આગેવાનો સાથે બેઠક થઈ, જિલ્લાના એસપી પણ પોલીસ કાફલા સાથે પહોંચી ગયા હતા. બધા સાથે બેઠક બાદ હાલ ધંધુકામાં શાંતિનો માહોલ છે.’

