- Gujarat
- ‘આટલો મરદ માણસ થઈને આવી ઢીલી વાત કેમ કરે છે...’ બાપુનગર પોલીસે એક કોલથી પરિવારનો માળો વિખેરાતા બચાવ્...
‘આટલો મરદ માણસ થઈને આવી ઢીલી વાત કેમ કરે છે...’ બાપુનગર પોલીસે એક કોલથી પરિવારનો માળો વિખેરાતા બચાવ્યો
જીવન ટૂંકાવવાના અનેક કારણો હોય છે. લોકો જીવનમાં જ્યારે હતાશ થઈ જાય, જ્યારે કોઈ જ આગળનો કોઈ જ માર્ગ ન દેખાય, અથવા તો ઘરમાં હંમેશાં કકળાટ થયા કરતો હોય અને જરાય શાંતિ ન રહેતી હોય ત્યારે લોકો મોટું પગલું ભરીને જીવન ટૂંકાવવાનું પગલું ભરતા હોય છે.તાજેતરમાં જ એક યુવક પોતાનું જીવન ટૂંકાવાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને તેનો જીવ બચાવી લીધો.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ બાપુનગર વિસ્તારમાં રહેતો યુવક ઘરકંકાસથી કંટાળી ગયો હતો, જેથી તે સુસાઈડ નોટ લખીને જીવન ટૂંકાવવા કરવા ઘરેથી નીકળી ગયો હતો. યુવકની પત્નીએ આ અંગે બાપુનગર પોલીસને જાણ કરી હતી. મહિલાની વાતને પોલીસે ગંભીરતાથી લઈને યુવકની તાત્કાલિક શોધખોળ ચાલું કરી હતી. પોલીસે કોઈપણ વિલંબ વગર યુવકના મોબાઈલનું લોકેશન ટ્રેસ કર્યું હતું.
આ દરમિયાન યુવક બાપુનગરથી ગાંધીનગરના જવા રસ્તા પર હોવાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને રિક્ષા ચાલક યુવકને રસ્તા વચ્ચે અટકાવ્યો હતો. ત્યારબાદ બાપુનગર પોલીસની ટીમે રિક્ષા ચાલક યુવકને સમજાવ્યો હતો.
પોલીસ અધિકારીએ યુવકને કહ્યું હતું કે, 'બાપુનગર ક્યાં આવ્યું, ત્યાંથી તને શોધતા-શોધતા આવ્યા છીએ. તું ક્યાં જતો હતો?' ત્યારે યુવક રડતા-રડતા જવાબ આપ્યો કે, 'હું કેનાલમાં પડવા જતો હતો.' આ સાંભળીને પોલીસ અધિકારીએ કહ્યું કે, 'અરે તારા ઘરના અને તારો પરિવાર તારી રાહ જુએ છે. આટલો મરદ માણસ થઈને આવી ઢીલી વાત કેમ કરે છે, ચાલ તું મારી સાથે ચાલ. તું જમ્યો કે નહીં? ચાલ તને જમાડું.’
ત્યારબાદ પોલીસ અધિકારીએ યુવકને આશ્વાસન આપતા કહ્યું કે, 'ચિંતા ન કરીશ, તારું બધું સમાધાન લાવી દઈશ. આમ તો તારા બધા પ્રશ્નોનું નિરાકરણ લાવી આપું.' બાપુનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની હવે ચારેય તરફ પ્રશંસા થઇ રહી છે. આનાથી બાપુનગર પોલીસે ન માત્ર એક યુવાનનો જીવ બચાવ્યો છે, પરંતુ એક પરિવારનો માળો વિખેરાતો બચાવ્યો છે. આ કામગીરીને કારણે સમાજમાં પોલીસ વિભાગ પ્રત્યે વિશ્વાસ વધારશે. આવી કામગીરી અન્ય પોલીસકર્મીઓ માટે પણ પ્રેરણારૂપ છે.
સંદેશના અહેવાલ મુજબ, બાપુનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ટીમ દ્વારા યુવકનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.તેને જીવનનું મહત્ત્વ સમજાવીને શાંત પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમજાવટ અંતે તેને સુરક્ષિત તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને કારણે એક હસતો-રમતો પરિવાર ઉજડતા બચી ગયો છે, જેની સ્થાનિકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે.

