- Gujarat
- નિર્લિપ્ત રાયની પોસ્ટિંગ અંગે જયરાજ સિંહ જાડેજાએ કહ્યું- મેં જ ગૃહમંત્રીને કડક અધિકારીની નિમણૂક કરવ...
નિર્લિપ્ત રાયની પોસ્ટિંગ અંગે જયરાજ સિંહ જાડેજાએ કહ્યું- મેં જ ગૃહમંત્રીને કડક અધિકારીની નિમણૂક કરવા રજૂઆત કરેલી...
ગુજરાત કેડરના IPS અધિકારી નિર્લિપ્ત રાય ભૂમાફિયાઓ તેમજ ગુંડાતત્વો સામેની કડક કાર્યવાહી માટે જાણીતા છે. અમરેલીના SP તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ગુનાખોરી નાબૂદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે રાજકોટ રેન્જમાં તેમની નિમણૂકથી ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
રાજકોટ રેન્જના IG તરીકે IPS નિર્લિપ્ત રાયની નિમણૂક બાદ સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો હતો. આ સાથે જ વિવિધ અટકળો પણ લગાવવામાં આવી રહી હતી. વિવાદ અને અટકળો પર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, જયરાજ સિંહ જાડેજાએ સ્વીકાર્યું કે ‘મેં જ ગૃહમંત્રીને કડક અધિકારીની નિમણૂક કરવા માટે રજૂઆત કરી હતી.'
જયરાજસિંહ જાડેજાએ મૌન તોડતા જણાવ્યું હતું કે, ' મેં જ વ્યક્તિગત રીતે રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક કરવામાં આવે તેવી ભલામણ ગૃહમંત્રી સમક્ષ કરી હતી. મારો હેતુ સ્પષ્ટ હતો કે ગોંડલ અને સમગ્ર રાજકોટ રેન્જમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રહે.'
તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે નિર્લિપ્ત રાય જેવા સક્ષમ અને ઈમાનદાર અધિકારીની જરૂર હતી. આગામી સમયમાં કોઈ ખોટા આક્ષેપો કે અનાવશ્યક વિવાદો ઊભા ન થાય તે માટે પણ કડક અધિકારીનું હોવું અનિવાર્ય હતું. આ નિમણૂક પાછળ કોઈ રાજકીય દબાણ નથી, માત્ર પ્રજાની સુરક્ષા અને શાંતિનો હેતુ છે.'
તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જેલમાં સજા ભોગવી રહેલા નિખિલ દોંગાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘સૌરાષ્ટ્રના એક તાકતવાર નેતાએ નિર્લિપ્ત રાયની બદલી અટકાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.’ આ પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા. જેના પર જયરાજ સિંહ જાડેજા દ્વારા પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક સાથે 37 IPS અધિકારીની બદલી કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ ચર્ચા એક માત્ર રાજકોટ રેન્જના IG તરીકે નિમાયેલ નિર્લિપ્ત રાયની ચાલી રહી છે, કારણ કે રાજકોટ રેન્જ અંતર્ગત આવતા રાજકોટ જિલ્લાના ગોંડલ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃતિઓ અને ગુંડારાજના આક્ષેપો વચ્ચે કડક અધિકારી નિમણૂકની માંગ અને ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી.
ગુજરાતમાં માત્ર ગુનેગારો જ નહીં, પરંતુ પોલીસ પણ જેના નામથી ફફડે છે તેવા બાહોશ અધિકારી નિર્લિપ્ત રાય આજે રાજકોટ રેન્જ IG તરીકે ચાર્જ સંભાળી રેન્જના તમામ પોલીસ વડા સાથે બેઠક કરી સીધા જ સાંજે ગોંડલની મુલાકાત લેશે. ચર્ચા છે કે નિર્લિપ્ત રાયની નિમણૂક કરી બાહુબલીઓને સીધો મેસેજ અપાયો છે કે હવે ગુંડાગીરી નહીં ચાલે. ત્યારે હવે આગામી સમયમાં રાજકોટ રેન્જ IGની કામગીરી પર સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની નજર રહેશે.

