- Gujarat
- જૂનાગઢ મહાશિવરાત્રિ મેળામાં VVIPઓને 6 કિમી લઈ જવાના 20 લાખ ચૂકવી દેવાયા, જેમાં રીક્ષાવાળાને જ 7 લાખ
જૂનાગઢ મહાશિવરાત્રિ મેળામાં VVIPઓને 6 કિમી લઈ જવાના 20 લાખ ચૂકવી દેવાયા, જેમાં રીક્ષાવાળાને જ 7 લાખ અપાયા
થોડા દિવસો અગાઉ જૂનાગઢના ભવનાથ ખાતે યોજાતા મહાશિવરાત્રી મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમોના ખર્ચને લઈને હવે સવાલો ઉઠ્યા હતા. RTIથી મળેલી વિગતોના આધારે 2025માં કલાકારો પાછળ આશરે ₹7 લાખ, જ્યારે 2026માં આ ખર્ચ ₹1 કરોડને પાર પહોંચ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એક જ વર્ષમાં કલાકારોના મહેનતાણામાં થયેલા મોટા વધારાને લઈને પારદર્શિતા સામે સવાલો ઉભા થયા હતા. મહેતાણાના વિવાદ બાદ હવે મેળામાં VVIP લોકોને સ્થળ સુધી લઈ જવા માટે વાહનો પાછળ 20 લાખ રૂપિયાનો તોતિંગ ખર્ચ કરાયો હોવાની વિગતો સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, કયા VIPએ કયા વાહનમાં મુસાફરી કરી તેની કોઈ લોગબુક જ તૈયાર કરવામાં ન આવી. ખર્ચની જે રીતે ચૂકવણી કરવામાં આવી છે તે પણ શંકાસ્પદ લાગી રહી છે ત્યારે વિપક્ષે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા દ્વારા જૂનાગઢ RTO કચેરી પાસે RTI હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જૂનાગઢની RTO કચેરી દ્વારા શિવરાત્રી મેળા 2026 દરમિયાન VVIP લોકો તેમજ સામાન્ય નાગરિકો માટે લક્ઝુરિયસ વાહન સેવાઓ ભાડે રાખવામાં આવી હતી, જેનો કુલ ખર્ચ 35,58,044 રૂપિયા થયો છે.
જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આક્ષેપો કરતા કહ્યું કે, જ્યારે મેળા અંગે માહિતી માંગવામાં આવી ત્યારે તંત્ર દ્વારા અલગ-અલગ અને શંકાસ્પદ જવાબો આપવામાં આવ્યા. RTO કચેરી દ્વારા કરવામાં આવેલા કુલ 35,58,044 રૂપિયાના વાહન ખર્ચમાંથી માત્ર VVIP લોકો માટે જ અર્બનિયા અને અન્ય લક્ઝરી ગાડીઓ પાછળ 20,00,000 રૂપિયાથી વધુનો માતબર ખર્ચ વેડફી નાખવામાં આવ્યો છે. લલિત પરસાણાએ સવાલ કરતા કહ્યું કે, શિવરાત્રીના મેળામાં જે નેતાઓ અને VVIP લોકો આવ્યા હતા તે જો પગપાળા પહોંચ્યા હતા, તો પછી વાહનોમાં આટલો મોટો ખર્ચ કઈ રીતે થયો?
એક બાજુ રાજ્ય સરકાર એવા મોટા દાવો કરતી હતી કે, મેળામાં VVIP કલ્ચર નાબૂદ કરવામાં આવશે અને મેળો સામાન્ય જનતા માટે યોજાશે. પરંતુ વાસ્તવિકતામાં VVIP લોકો માટે અર્બનિયા ગાડીઓ ભાડે રાખીને 20,00,000 રૂપિયાથી વધુનો ખર્ચ કરાયો, જ્યારે બીજી તરફ કડકડતી ઠંડીમાં દૂર-દૂરથી આવેલા સામાન્ય શ્રદ્ધાળુઓ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે યોગ્ય વાહન સુવિધા ન હોવાથી તેઓ ચાલીને જવા મજબૂર બન્યા હતા અને રઝળી પડીને ભારે હેરાન-પરેશાન થયા હતા. નાના અન્નક્ષેત્રો અને જનસુવિધા પાછળ જે ખર્ચ થવો જોઈતો હતો તે કરવામાં આવ્યો નથી અને VIP લોકોની સરભરા પાછળ સરકારી નાણાંનો વેડફાટ કરાયો છે.
વાહનોના બિલોમાં જ મોટું કૌભાંડ છતું થાય છે. એક અર્બનિયા ગાડીના એક દિવસના અને પાંચ દિવસના ભાડાના બિલોમાં ગરબડ અને મોટો તફાવત દર્શાવવામાં આવ્યો છે. કોઈ પણ સરકારી કે ભાડાના વાહનો માટે લોગબુક અને રજિસ્ટર નિભાવવું કાયદાકીય રીતે ફરજિયાત હોય છે, તેમ છતા કચેરી દ્વારા લોગબુક નિભાવવામાં આવી નથી.
VVIP લોકો માટે લકઝુરિયસ સુવિધા માટે કરેલો ખર્ચ
સરસ્વતી અશ્વ ફાર્મને જાગી ગયો સેવા બદલ પ્રતિ બગિના 20 હજાર અને કુલ ખર્ચ 8,00,000 લાખ ચૂકવાયો, જ્યારે સાંઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને ટેમ્પો ટ્રાવેલર્સ સેવા માટે 3,37,894 રૂપિયા, આશુતોષ ટ્રાવેલ્સને 15 અર્બેનિયા/17 ટેમ્પો ટ્રાવેલર માટે 17,17,650 રૂપિયા, કેશુભાઈ ભારાઈને 50 રિક્ષાના 7,12,500 રૂપિયા આમ કુલ RTO ઓફિસ દ્વારા 35,68,044 રૂપિયાનો ખર્ચ લક્ઝુરિયસ સુવિધા માટે કરવામાં આવ્યો હતો
જૂનાગઢમાં મહાશિવરાત્રિના પર્વ પર યોજાતા શિવરાત્રિ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ સરકારે કરેલા લખલૂંટ ખર્ચને લઈ વિવાદ વકર્યો છે. આ ખર્ચમાં કેટલાક કલાકારોના મહેનતાણામાં એક જ વર્ષમાં અનેક ગણો વધારો થયાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ABP અસ્મિતાના અહેવાલ મુજબ, 2025 અને 2026 બંને વર્ષમાં કાર્યક્રમોમાં ભાગ લેનારા 6 કલાકારોને અગાઉની સરખામણીએ 2026માં 3થી 20 ગણું વધુ મહેનતાણું ચૂકવવામાં આવ્યું હોવાનું RTIની વિગતોમાં સામે આવ્યું છે. કેટલાક કલાકારોને અગાઉ 5 હજાર રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી હતી, જે એક વર્ષ બાદ વધીને 1 લાખ રૂપિયા સુધી પહોંચી હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત 2025માં અઘોરી ગ્રુપને આશરે 1.50 લાખ રૂપિયા ચૂકવાયા હતા, જ્યારે 2026માં આ રકમ 10 લાખ રૂપિયા થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મોટા કલાકારોમાંથી એક કલાકારને 24 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હોવાનો પણ અહેવાલમાં ઉલ્લેખ છે.
આ વધારાને લઈ જ્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારીને સવાલ કર્યો તો કમિટીએ અને વડી કચેરીએ નક્કી કર્યાનો જવાબ આપી જવાબદારી ખંખેરવાનો પ્રયાસ કર્યો. આ જ મેળામાં ભાજપના ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુરને 24 લાખ રૂપિયા જેવી માતબર રકમ ચૂકવવામાં આવી હતી.
આ સમગ્ર મામલે જૂનાગઢ ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાએ સરકાર પાસે શ્વેતપત્ર જાહેર કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે ભવનાથ અને ગિરનાર પૈસા કમાવવાનું સાધન નહીં પરંતુ શ્રદ્ધા અને સમર્પણનું પવિત્ર ધામ છે. અગાઉના વર્ષોની સરખામણીમાં કલાકારોને ચૂકવવામાં આવેલી રકમમાં આટલો મોટો તફાવત કેમ આવ્યો તે અંગે સરકાર સ્પષ્ટતા કરે તેવી તેમણે માગ કરી છે.
ભાવેશ વેકરિયાએ સમગ્ર મામલાની તપાસ કરીને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની પણ માગ કરી છે.
બીજી તરફ, જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળાના જણાવ્યા મુજબ 2026ના મિની કુંભ અને મહાશિવરાત્રી મેળા દરમિયાન સ્થાનિક કલાકારોની પસંદગી સ્થાનિક સાંસ્કૃતિક કમિટી દ્વારા નિયમ મુજબ કરવામાં આવી હતી અને કમિટીએ નક્કી કરેલી રકમ પ્રમાણે જ ચૂકવણી કરવામાં આવી છે.
મોટા કલાકારોની પસંદગી અને તેમને કરવામાં આવેલી લાખોની ચૂકવણી અંગે અધિકારીએ જણાવ્યું કે આ પ્રક્રિયા વડી કચેરી સ્તરેથી કરવામાં આવી હતી અને તેમાં સ્થાનિક કચેરીની કોઈ ભૂમિકા નહોતી. તેમના જણાવ્યા મુજબ GeM પોર્ટલ મારફતે બે એજન્સીઓની પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બહારથી આવતા અધિકારીઓ, મહેમાનો અને અન્ય વ્યવસ્થાઓ માટે પણ ખર્ચ થયો હોવાનું તેમણે જણાવ્યું છે.
હવે સવાલ એ છે કે એક જ વર્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના ખર્ચમાં આટલો મોટો વધારો શા માટે થયો? કલાકારોના મહેનતાણામાં થયેલા મોટા ફેરફાર પાછળનું કારણ શું છે? અને RTIમાં સામે આવેલી વિગતો અંગે સરકાર સત્તાવાર રીતે શું સ્પષ્ટતા કરે છે, તેના પર સૌની નજર રહેશે.

