- Gujarat
- માહેશ્વરી મહાકુંભ 2026 : ભાવિકા માહેશ્વરીને સમાજ ગૌરવની ઉપાધિ, રાજ્યપાલ દ્વારા સન્માન
માહેશ્વરી મહાકુંભ 2026 : ભાવિકા માહેશ્વરીને સમાજ ગૌરવની ઉપાધિ, રાજ્યપાલ દ્વારા સન્માન
જોધપુર : આંતરરાષ્ટ્રીય માહેશ્વરી મહાધિવેશન-MGC 2026ના ગૌરવમય મંચ પર ભાવિકા માહેશ્વરીને પ્રતિષ્ઠિત સમાજ ગૌરવ અલંકારથી વિભૂષિત કરવામાં આવ્યા. રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દિનેશ માહેશ્વરી તથા જસ્ટિસ જે.કે. માહેશ્વરીએ તેમને એટલી નાની ઉંમરે 500 થી વધુ સ્ક્રીન એડિક્શન અંગે અવેરનેસ કાર્યક્રમો માટે ગ્લોબલ સન્માન અર્પણ કર્યું.
જ્યુરીમાં આનંદ પ્રકાશ માહેશ્વરી (IPS), શ્રીકાંત બાલડા (IAS), ન્યાયમૂર્તિ ઉમેશચંદ્ર માહેશ્વરી, દિનેશ પટવારી (IRS), વિપિન માહેશ્વરી (IPS), મોનિકા મોહતા (IFS) તથા ન્યાયમૂર્તિ દિનેશ સોમાણીની સાત સભ્યોની ટીમ દ્વારા અંતિમ પસંદગી કરવામાં આવી.
ત્રણ દિવસીય માહેશ્વરી મહાકુંભમાં દેશ-વિદેશમાંથી લગભગ 50,000 લોકો જોડાયા. ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ રાઠોડ સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા.
બે દિવસીય ત્રિસર્ગ સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં પણ સમાજના સભ્યોને કરોડો રૂપિયાની ફંડિંગ માટે આશ્વાસન મળ્યું.
રવિવારે મહાધિવેશનમાં રાજ્યપાલ હરિભાઉ બાગડે, સભાપતિ સંદીપ કાબરા, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ જે.કે. માહેશ્વરી દ્વારા પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા.
16 વર્ષની ભાવિકા ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સૌથી નાની ઉંમરની ભારતીય આધ્યાત્મિક વક્તા છે. તેમણે રામકથા દ્વારા 52 લાખની સમર્પણ નિધિ એકત્ર કરી છે, તેમજ રાષ્ટ્રપતિ મુર્મૂ પાસેથી પણ પ્રોત્સાહન પ્રાપ્ત કર્યું છે. તેઓ 7 પુસ્તકોની લેખિકા, TED Talk સ્પીકર, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર સાથે સંકળાયેલ છે અને “બેટી બચાવો બેટી પઢાઓ”ની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. છેલ્લા 7 વર્ષમાં 1 લાખ કિલોમીટરનો પ્રવાસ કરીને 500 થી વધુ કાર્યક્રમો દ્વારા 10 લાખ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે.
સન્માન સમારોહમાં સમાજના 15 વર્ષના બાળકો થી લઈને 68 વર્ષના વડીલો સુધી સમાજસેવા, રાષ્ટ્રસેવા, માનવસેવા, પર્યાવરણ સેવા, જીવદયા અને રાષ્ટ્રહિતમાં કાર્ય કરનાર પ્રતિભાઓને ત્રણ કેટેગરી — સમાજ રત્ન, સમાજ ભૂષણ અને સમાજ ગૌરવ — હેઠળ સન્માનિત કરવામાં આવ્યા.

