- Gujarat
- ગુજરાતના 28 IAS અધિકારીની બદલી, સુરતને મળ્યા નવા ડેપ્યુટી કમિશનર
ગુજરાતના 28 IAS અધિકારીની બદલી, સુરતને મળ્યા નવા ડેપ્યુટી કમિશનર
ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરતા 28 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના આદેશો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 21 જુલાઈ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ વિવિધ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) તેમજ રાજ્ય સરકારના વિવિધ નિગમો અને વીજ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર (MD) સહિતના મહત્ત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે. આ ઉપરાંત GAS કેડરના 13 વર્ગ-1 અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાને નવા ડેપ્યુટી કમિશનર મળ્યા છે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા IAS અધિકારીઓના બદલીના આદેશમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા સ્મિત સંતોષ લોઢાની સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. આ નિમણૂકથી છેલ્લા કેટલાક સમયથી ડેપ્યુટી કમિશનર માટે ખાલી પડેલી જગ્યા આંશિક રીતે ભરાશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, 11 હજાર કરોડથી વધુના બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકામાં ઉચ્ચ અધિકારીઓની અછત લાંબા સમયથી વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય રહી છે. મંજૂર મહેકમ મુજબ ડેપ્યુટી કમિશનર તેમજ એડિશનલ સિટી એન્જિનિયર (સિવિલ) સહિતની અનેક મહત્ત્વની જગ્યાઓ હજુ પણ ખાલી હોવાથી હાલના અધિકારીઓને વધારાની જવાબદારીઓ સાથે કામ કરવું પડી રહ્યું છે.
આ સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની હતી જ્યારે રાજ્ય સરકારે ડેપ્યુટેશન પર આવેલા 2 ડેપ્યુટી કમિશનરોની ટૂંકા ગાળામાં બદલી કરી હતી. પ્રથમ વખત 13 મેના રોજ ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવની અમદાવાદ મહાનગરપાલિકામાં બદલી કરવામાં આવી હતી. તેમની પાસે એક ઝોન ઉપરાંત અનેક મહત્ત્વના વિભાગોની જવાબદારી હતી. ત્યારબાદ 2 જૂનના રોજ વરાછા-A ઝોનના ઝોનલ ચીફ તેમજ વિજિલન્સ, ઇન્ક્વાયરી અને લીગલ વિભાગનો કાર્યભાર સંભાળતા રાજેશ ભોગાયતાની પણ બદલી થતા પાલિકાના વહીવટી તંત્ર પર વધારાનો ભાર આવ્યો હતો.
બંને અધિકારીઓની બદલી બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક કોઈ નવી નિમણૂક કરવામાં આવી નહોતી, જેથી વિવિધ વિભાગો અને ઝોનનો કાર્યભાર અન્ય અધિકારીઓ વચ્ચે વહેંચવામાં આવ્યો હતો. કેટલાક અધિકારીઓ પાસે એક સાથે અનેક વિભાગોની જવાબદારી હોવાથી ફાઇલોના નિકાલ, વિકાસકાર્યોની મંજૂરી અને દૈનિક વહીવટી કામગીરી પર અસર થવાની ચર્ચા પણ ચાલી રહી હતી.
વહીવટી વર્તુળોનું માનવું છે IAS અધિકારી સ્મિત સંતોષ લોઢાની નિમણૂક થતા ડેપ્યુટી કમિશનર સ્તરે સર્જાયેલો ખાલીપો કેટલાક અંશે દૂર થશે. જોકે પાલિકાના મંજૂર મહેકમમાં હજુ પણ અનેક ઉચ્ચ અધિકારીઓની જગ્યાઓ ખાલી હોવાથી માત્ર એક નિમણૂકથી સમગ્ર સમસ્યાનો ઉકેલ આવશે નહીં. ખાસ કરીને એડિશનલ સિટી એન્જિનિયર અને અન્ય અધિકારીઓની ખાલી જગ્યાઓ ભરાય તે જરૂરી છે.
એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નવા અધિકારીની નિમણૂકથી વહીવટી તંત્રને રાહત મળશે, પરંતુ શહેરના ઝડપી વિકાસ અને વધતા વહીવટી કામકાજ ને ધ્યાનમાં લેતાં ખાલી પડેલી અન્ય ઉચ્ચ અધિકારીઓની જગ્યાઓ પણ વહેલી તકે ભરાય તે જરૂરી છે.
IAS અધિકારીઓ સિવાય ગુજરાત સરકાર દ્વારા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 13 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો કરવામાં આવી છે. વી. કે. પટેલને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, એ. કે. પ્રજાપતિને અરવલ્લી-મોડાસા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર, ડી. એન. સાતાણીને ગાંધીનગરના સિવિલ સપ્લાય્સ વિભાગના જોઈન્ટ ડિરેક્ટર, જી. વી. મિયાણીને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સેક્રેટરી અને વાય. એસ. ચૌધરીને ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે.
ઉપરાંત એ. કે. કલસારિયાને ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ નિયામક કચેરીમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી, એમ. આર. પ્રજાપતિને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી અને કે. એસ. ડાભીને વલસાડના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. ડી. એમ. ગોહિલને સુરતની વિશલેષણ કમિટીના જોઈન્ટ કમિશનર, એ. એ. ડોડિયાને અમરેલીના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર, જ્યારે પી. સી. દવે અને બી. આર. અહીરને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કે. બી. પટેલને કમિશનર ઓફ જિયોલોજી એન્ડ માઇનિંગના એડિશનલ ડિરેક્ટર તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.

