- Gujarat
- ગુજરાતની આ યુનિવર્સિટીમાં 'મોદી તત્વ' (મોદી સિદ્ધાંત) ભણાવવા અંગે ચર્ચા કેમ શરૂ થઈ છે?
ગુજરાતની આ યુનિવર્સિટીમાં 'મોદી તત્વ' (મોદી સિદ્ધાંત) ભણાવવા અંગે ચર્ચા કેમ શરૂ થઈ છે?
ગુજરાતની સૌથી જૂની અંગ્રેજી-માધ્યમ સરકારી યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSUB)એ તેના સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કર્યો છે. તેમાં હવે PM નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પરના અભ્યાસ પર આધારિત 'મોદી તત્વ' નામનું મોડ્યુલ શામેલ કરવામાં આવશે. નવો અભ્યાસક્રમ આગામી શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે.
1881માં બરોડા કોલેજ તરીકે શરૂ થયેલી આ યુનિવર્સિટી 30 એપ્રિલ, 1949ના રોજ પૂર્ણ યુનિવર્સિટી બની હતી. આજે, તેના 6 કેમ્પસમાં 89 વિભાગો ફેલાયેલા છે. નોબેલ પુરસ્કાર વિજેતા વેંકટરામન રામકૃષ્ણન પણ આ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તે ગુજરાતની એકમાત્ર સરકારી અંગ્રેજી-માધ્યમ યુનિવર્સિટી માનવામાં આવે છે, જે ફાઈન આર્ટ્સ, પ્રદર્શન કલા, દવા, વિજ્ઞાન, ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો પ્રદાન કરે છે.
લાંબા સમયથી, આ યુનિવર્સિટીને પશ્ચિમ ભારતમાં સૌથી ખુલ્લા અને વૈવિધ્યસભર કેમ્પસમાંની એક માનવામાં આવે છે.
આગામી સત્રથી, BA (સમાજશાસ્ત્ર)ના ચોથા વર્ષ અને MA (સમાજશાસ્ત્ર)ના પ્રથમ વર્ષમાં 3 નવા 4-ક્રેડિટ મોડ્યુલ ઉમેરવામાં આવશે. એના નામ છે, ભારતનું સમાજશાસ્ત્ર, હિન્દુ સમાજશાસ્ત્ર અને દેશભક્તિનું સમાજશાસ્ત્ર. આ છેલ્લું મોડ્યુલ સૌથી વધુ ચર્ચામાં છે. તેમાં 4 પેપર હશે, જેમાં દરેક પેપર માટે 15 કલાકનો અભ્યાસ નક્કી કરવામાં આવ્યો છે. 'મોદી તત્વ' આ મોડ્યુલનો ભાગ હશે, જેમાં મીડિયા અને ડિજિટલ રાષ્ટ્રવાદ, નાગરિકતા અને વિરોધ, વૈશ્વિકરણ અને ઓળખાણનું રાજકારણ જેવા વિષયો પણ ભણાવવામાં આવશે.
આ મોડ્યુલ સમાજશાસ્ત્રી મેક્સ વેબરના 'કરિશ્માયુક્ત નેતૃત્વ'ના સિદ્ધાંતનો ઉપયોગ કરીને PM નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલી, ચૂંટણી પ્રદર્શન, જાહેર જનતામાં તેમની ઓળખ અને નીતિઓ વિશે ભણાવવામાં આવશે. આનો અર્થ એ છે કે PM મોદીને ઐતિહાસિક વ્યક્તિ તરીકે નહીં પરંતુ વર્તમાન કેસ સ્ટડી તરીકે શીખવવામાં આવશે. વિદ્યાર્થીઓને RSSના ઇતિહાસ અને તેના પાયાના કામકાજ પર ફિલ્ડવર્ક કરવાનું પણ કહેવામાં આવશે.
MSUBના સમાજશાસ્ત્ર વિભાગના વડા અને બોર્ડ ઓફ સ્ટડીઝના અધ્યક્ષ ડૉ. વીરેન્દ્ર સિંહે આ પ્રસ્તાવનો બચાવ કરતા કહ્યું કે, 'મોદી તત્વ'માં 'તત્વ' નો અર્થ 'એલિમેન્ટ' થાય છે. એક એવું તત્વ જેને અવગણી શકાય નહીં. અમને લાગ્યું કે વિદ્યાર્થીઓ માટે હાલમાં આપણી પાસે જે નેતૃત્વ છે તેનો અભ્યાસ કરવો સરળ અને વધુ સમજી શકાય તેવું રહેશે.'
તેમણે એમ પણ કહ્યું કે, RSS પર એક મોડ્યુલ ઉમેરવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે MAના વિદ્યાર્થીઓ NITI આયોગના પબ્લિક પોલિસી મોનિટરિંગ પ્રોગ્રામના ભાગ રૂપે ગામડાઓમાં સર્વે કરી રહ્યા હતા. ત્યાં, તેમણે RSS-સંલગ્ન સંગઠનોને પાયાના સ્તરે સક્રિય રીતે કામ કરતા હતા. આના કારણે તેના પર સમાજશાસ્ત્રીય અભ્યાસ જરૂરી બન્યો.
પરંતુ અહીંથી વિવાદ પણ શરૂ થાય છે. ટીકાકારો કહે છે કે, ડૉ. વીરેન્દ્ર સિંહ પોતે NITI આયોગ અને 'વડોદરા 2047' જિલ્લા યોજના સાથે સંકળાયેલા છે. તેથી, જો સરકારી સંસ્થાઓ સાથે જોડાણ ધરાવતો કોઈ વ્યક્તિ વર્તમાન PM પર અભ્યાસક્રમ વિકસાવી રહ્યો હોય, તો તે હિતોનો સંઘર્ષ હોઈ શકે છે. યુનિવર્સિટીએ હજુ સુધી આ પ્રશ્નનો સીધો જવાબ નથી આપ્યો.
રાજકીય વિરોધ પણ તીવ્ર બન્યો. કોંગ્રેસના નેતા તારિક અનવરે તેને 'દુર્ભાગ્યપૂર્ણ' ગણાવ્યું અને કહ્યું કે, અભ્યાસક્રમમાં જે સંગઠનોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોઈ યોગદાન નથી.
આ ફેરફાર એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે યુનિવર્સિટી પહેલેથી જ તણાવપૂર્ણ વાતાવરણનો અનુભવ કરી રહી છે. 2007માં, કટ્ટરપંથી હિન્દુ સંગઠનોએ ફાઇન આર્ટ્સના વિદ્યાર્થી શ્રીલમન્થુલા ચંદ્રમોહનની કેટલીક કલાકૃતિઓ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કેમ્પસમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા. શૈક્ષણિક સ્વતંત્રતાને ટેકો આપવાને બદલે, યુનિવર્સિટી વહીવટીતંત્રે ફાઇન આર્ટ્સના ડીન શિવાજી પાનિકરને સસ્પેન્ડ કર્યા હતા, કારણ કે તેમણે પ્રદર્શનકારીઓની માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
ત્યારે ચંદ્રમોહનની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કેમ્પસમાં ઘૂસીને હંગામો મચાવનારાઓ સામે કોઈ FIR દાખલ કરવામાં આવી ન હતી. તત્કાલીન વાઇસ ચાન્સેલર મનોજ સોની, પાછળથી મોદી સરકાર હેઠળ UPSCના અધ્યક્ષ બન્યા. તેમના અનુગામી, વિજય કુમાર શ્રીવાસ્તવે પણ 2025ની શરૂઆતમાં તેમનો કાર્યકાળ પૂરો થવાના એક મહિના પહેલા રાજીનામું આપ્યું હતું. તેમની નિમણૂક અંગે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી પેન્ડિંગ હતી.
ટીકાકારો કહે છે કે, સ્વતંત્રતા પછી ભારતના ઇતિહાસમાં કદાચ આ પહેલી વાર છે, જ્યારે કોઈ વર્તમાન PMની વિચારધારા અને નેતૃત્વ શૈલીને સરકારી યુનિવર્સિટીમાં પરીક્ષા વિષય તરીકે શીખવવામાં આવશે. હવે અસલી સવાલ એ છે કે, શું આ અભ્યાસક્રમ સાચો સમાજશાસ્ત્રીય અભ્યાસ હશે કે ફક્ત રાજકીય વિચારધારાને પ્રોત્સાહન આપવાનું એક સાધન હશે. આનો જવાબ મોટે ભાગે યુનિવર્સિટીના પાઠ્યપુસ્તકો અને પરીક્ષા પદ્ધતિ પર આધારિત હશે.

