- National
- મમતા બેનર્જીની હારથી બાંગ્લાદેશ પણ ખુશ, બાંગ્લાદેશ સરકારને BJP પાસેથી શું આશા છે?
મમતા બેનર્જીની હારથી બાંગ્લાદેશ પણ ખુશ, બાંગ્લાદેશ સરકારને BJP પાસેથી શું આશા છે?
શું પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની હાર બાંગ્લાદેશ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે? પડોશી દેશ બાંગ્લાદેશ તો એ જ માની રહ્યું છે. તેના શાસક પક્ષ, બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP)એ બંગાળ ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયા આપી. BNPએ મમતા બેનર્જીની ટીકા કરી અને બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને તેની જીત પર અભિનંદન આપ્યા. BNPએ આશા વ્યક્ત કરી કે જૂના તીસ્તા રિવર પ્રોજેક્ટ પર કામ ફરી શરૂ થશે, જેને મમતા બેનર્જીએ અટકાવી દીધો હતો.
એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, BNPના માહિતી સચિવ અઝીઝુલ બારી હિલાલે સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં BJPને જીત પર અભિનંદન આપ્યા. તેમણે કહ્યું, 'હું સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં BJPની સાથે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના વધુ સારા સંબંધો ઇચ્છું છું. મને આશા છે કે સમય જતાં આપણા સંબંધો વધુ મજબૂત બનશે.'
તેમની આ આશા લાંબા સમયથી ચાલી રહેલા તીસ્તા નદીના પાણી વહેંચણી મુદ્દા સાથે સંબંધિત છે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારે તીસ્તા બેરેજ કરારમાં અવરોધ ઉભો કર્યો હતો. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું, 'BJPએ સુવેન્દુના નેતૃત્વમાં ચૂંટણી જીતી. તેથી, તિસ્તા બેરેજ કરાર, જેની ભારત સરકાર અને બાંગ્લાદેશ સરકાર બંને ઈચ્છે છે, તે સુવેન્દુની મદદથી પૂર્ણ થશે. મારું માનવું છે કે, તૃણમૂલ કોંગ્રેસની જગ્યાએ BJP સત્તામાં આવ્યા પછી, તિસ્તા બેરેજ પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે.'
અહીં એક રસપ્રદ વાત એ છે કે, જ્યારે બાંગ્લાદેશમાં BNP સરકાર બની ત્યારે મમતા બેનર્જીએ BNP અધ્યક્ષ તારિક રહેમાનને અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે, 'બાંગ્લાદેશના મારા બધા ભાઈઓ અને બહેનો અને ત્યાં રહેતા લોકોને મારા હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ. સૌને અગાઉથી રમઝાન મુબારક.' પરંતુ હવે જ્યારે મમતા બેનર્જીની TMC ચૂંટણી હારી ગઈ છે અને BJP જીતી ગઈ છે, ત્યારે એ જ BNPએ મમતા બેનર્જીની ટીકા કરી છે.
https://twitter.com/MamataOfficial/status/2022204135572222151
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તિસ્તા નદી પર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ નદી ભારતમાં સિક્કિમ અને પશ્ચિમ બંગાળથી થઈને બાંગ્લાદેશમાં વહે છે. 2011માં, બાંગ્લાદેશની તેમની મુલાકાત દરમિયાન, PM મનમોહન સિંહે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે બાંગ્લાદેશને તિસ્તા નદીના પાણીનો 37.5 ટકા ભાગ આપશે, જ્યારે ભારતને 42.5 ટકા ભાગ. જોકે, પશ્ચિમ બંગાળ સરકારના વિરોધ પછી આ યોજના પસાર થઈ શકી નહીં, જેનો દાવો હતો કે, તેનાથી રાજ્યના કૃષિ હિતોને નુકસાન થશે.
1983માં પણ તીસ્તા નદી પર એક કામચલાઉ કરાર થયો હતો, જે હેઠળ બાંગ્લાદેશને 36 ટકા અને ભારતને 39 ટકા પાણી મળવાનું હતું, બાકીનું 25 ટકા પાણી પછીથી વહેંચવાનું હતું. જોકે, આ વ્યવસ્થા ક્યારેય પુરી રીતે અમલમાં મુકાઈ ન હતી. આ ઉપરાંત, 1996માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી ગંગા જળ સંધિ, જે આ વર્ષે 2026માં સમાપ્ત થઈ રહી છે, તેનાથી બાંગ્લાદેશની ચિંતામાં વધુ વધારો થયો છે.
https://twitter.com/ANI/status/2051836848058794323
2015માં PM નરેન્દ્ર મોદીની ઢાકાની મુલાકાતે એવી આશા જગાવી હતી કે, અગાઉના મતભેદો વાજબી પાણી વહેંચણી કરાર દ્વારા ઉકેલી શકાય છે. અઝીઝુલ હિલાલે બતાવ્યું હતું કે, BNP અને BJP વચ્ચે વૈચારિક મતભેદો રહ્યા છે. પરંતુ તીસ્તા નદીના મુદ્દા સહિત કેટલાક મુદ્દાઓ પર બંને પાર્ટી એક જ પાના પર છે.

