- National
- નાગરિકોને સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે, વિરોધ કરવા પર નોંધાઇ રહ્યા છે કેસ... હાઈ કોર્ટના જજન...
નાગરિકોને સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે, વિરોધ કરવા પર નોંધાઇ રહ્યા છે કેસ... હાઈ કોર્ટના જજની કડક ટિપ્પણી
બોમ્બે હાઈકોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન સરકાર અને પોલીસની કાર્યવાહી અંગે તીખી ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે સરકારી નિર્ણયોનો વિરોધ કરવા અથવા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા બદલ નાગરિકને કોઈ વિસ્તારમાંથી હાંકી કાઢી શકાય નહીં. કોર્ટે પૂછ્યું કે, અરજદારે ફક્ત 'ભાજપ સરકાર મુર્દાબાદ' જેવા નારા લગાવ્યા છે; નાગરિકો આવા નારા કેમ નહીં લગાવી શકે? આવા નારા લગાવવા બદલ હકાલપટ્ટીના આદેશો કેમ આપવામાં આવે છે?
ગુરુવારે આ કેસની સુનાવણી કરતા સિંગલ જજની બેન્ચના ન્યાયાધીશ માધવ જામદારે ટિપ્પણી કરી હતી કે, કેન્દ્ર સરકારના કેટલાક નિર્ણયોનો વિરોધ કરવો એ નાગરિકને હાંકી કાઢવાનું કારણ બની શકે નહીં. આ કેસ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના જનરલ સેક્રેટરી સૈયદ અહેમદ અબ્દુલ વાહિદ ચૌધરી સાથે જોડાયેલો છે. અરજી અનુસાર, તેઓ નાગરિકતા સુધારો કાયદો અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ સહિત કેન્દ્ર સરકારના વિવિધ નિર્ણયો સામે વિરોધ પ્રદર્શન અને ધરણાનું આયોજન કરી રહ્યા હતા.
મુંબઈ પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ જાહેર કરાયેલા હકાલપટ્ટીના આદેશ પર સુનાવણી કરતા કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ન્યાયાધીશ જામદારે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સૈયદને એક વર્ષ માટે હાંકી કાઢવાનો આદેશ કયા આધારે આપવામાં આવ્યો, જ્યારે તેમની વિરુદ્ધ નોંધાયેલી પાંચ FIRમાંથી મોટાભાગની ભારત સરકાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત હતી.

સુનાવણી દરમિયાન ન્યાયાધીશ જામદારે મૌખિક રીતે ટિપ્પણી કરી કે, આ શું થઈ રહ્યું છે? શું બધા નાગરિકોને ભારત સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે? શું તેઓ વિરોધ કે આંદોલન નહીં કરી શકે? જો લોકો વિરોધ કરે છે, તો તેમની સામે કેસ દાખલ કરવામાં આવે છે. વિરોધ કરવો એ નાગરિકોનો અધિકાર છે. અરજદારે ફક્ત 'ભાજપ સરકાર મુર્દાબાદ' જેવા નારા લગાવ્યા છે. નાગરિકો આવા નારા કેમ ન લગાવી શકે? આવા નારા માટે હકાલપટ્ટીનો આદેશ કેમ?
જસ્ટિસ જામદારે પોલીસ અંગે પણ કહ્યું કે, પોલીસ મુખ્યમંત્રી કે વડાપ્રધાનના સેવકો નથી; બલ્કે, લોક સેવકો છે. હું તમારા અધિકારીઓ પર ભારે દંડ ફટકારવા જઈ રહ્યો છું. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે મહારાષ્ટ્રની પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ પર પણ ટિપ્પણી કરી. તેમણે SDPI સાથેના જોડાણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, હમણાં જ, એક 10 વર્ષીય બાળકે અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો અને વિધાનસભામાં ચર્ચા એ વાતને લઇને થઇ રહી હતી કે પીઠાસીન અધિકારીની ચૂંટાણી કેવી રીતે થાય છે અને એક પક્ષમાંથી બીજા પક્ષમાં કેવી રીતે જતા રહે છે. તમે પણ પક્ષ બદલી લો; સમગ્ર મહારાષ્ટ્રમાં હોર્સ-ટ્રેડિંગ ચાલી રહ્યું છે. તમારી વિરુદ્ધ કેટલીક FIR છે... પક્ષ બદલવા પર વિચાર કરો; અહીં તો 'વોશિંગ મશીન' લગાવવામાં આવ્યું છે.
આદેશમાં ન્યાયાધીશ જામદારે સ્પષ્ટ કર્યું કે ફક્ત સરકારી નિર્ણયોનો વિરોધ કરવાથી કોઇ વ્યક્તિને મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ હેઠળ હકાલપટ્ટીનો આધાર બની શકતો નથી. આવી કાર્યવાહી બંધારણ હેઠળ નાગરિકોના મૂળભૂત અધિકારો. ખાસ કરીને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર અને ગૌરવ સાથે જીવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અરજદારે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો સામે મોરચા અને ધરણાઓનું આયોજન કર્યું છે. મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ હેઠળ વ્યક્તિની હાંકલપટ્ટી કરવાનો આ આધાર હોઈ શકે નહીં. આ કાર્યવાહી દુર્ભાવનાપૂર્ણ છે. એટલે હાંકલપટ્ટીનો આદેશ રદ કરવામાં આવે છે. બંધારણના અનુચ્છેદ 19 અને 21 હેઠળ, નાગરિકોને પોતાના મંતવ્યો વ્યક્ત કરવાનો અને ગૌરવ સાથે જીવવાનો અધિકાર છે. ભારત સરકારના કેટલાક નિર્ણયોનો વિરોધ કરવા બદલ અરજદાર સામે કરવામાં આવેલી કાર્યવાહી તેના મૂળભૂત અધિકારોને પ્રભાવિત કરે છે.

