- National
- પ્રસિદ્ધિ મારું લક્ષ્ય નથી, જાહેર આરોગ્ય સૌથી મહત્ત્વપૂર્ણ: તુકારામ મુંઢેએ જણાવ્યો ભવિષ્યનો પ્લાન
પ્રસિદ્ધિ મારું લક્ષ્ય નથી, જાહેર આરોગ્ય સૌથી મહત્ત્વપૂર્ણ: તુકારામ મુંઢેએ જણાવ્યો ભવિષ્યનો પ્લાન
રાજ્યમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચલાવવામાં આવી રહેલા સઘન અભિયાનના કારણે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે હાલ ભારે ચર્ચામાં છે. તાજેતરમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમના માટે અંગત લોકપ્રિયતા કોઈ માઈને નથી રાખતી, પરંતુ સામાન્ય જનતાનું સ્વાસ્થ્ય જ સૌથી વધુ મહત્વનું છે.

સમગ્ર રાજ્યમાં ખાદ્ય સુરક્ષાના કાયદાઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે લેવાયેલા મોટા પાયાના પગલાં બાદ તુકારામ મુંઢે સોશિયલ મીડિયા અને જનતા વચ્ચે સેલિબ્રિટી બની ગયા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ વધી રહેલી લોકપ્રિયતા તેમના કામમાં ધ્યાન ભંગ કરે છે? ત્યારે આનો જવાબ આપતા મુંઢેએ જણાવ્યું હતું કે, આ કોઈ ધ્યાન ભંગ કરનારી બાબત નથી. લોકપ્રિયતા મેળવવી ક્યારેય મારો લક્ષ્ય રહ્યો જ નથી. મારા માટે જાહેર આરોગ્ય જેવા મુદ્દાઓ સૌથી વધુ અગત્યના છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ બધું તુકારામ મુંઢે નામના વ્યક્તિ વિશે નથી, પરંતુ ભારત અને દેશના જનસ્વાસ્થ્યને વધુ બહેતર બનાવવાના લક્ષ્યાંક વિશે છે.
પોતાના પર આવતા રાજકીય કે વહીવટી દબાણ અંગે વાત કરતા તુકારામ મુંઢેએ જણાવ્યું કે, હું છેલ્લા બે દાયકાની મારી સરકારી સેવામાં આ જ કરતો આવ્યો છું. જો આપણું માનવ સંસાધન સ્વસ્થ નહીં હોય, તો આપણે મહાસત્તા બની શકીએ નહીં. દેશના નાગરિકોએ પોતે જનસ્વાસ્થ્યને સૌથી પ્રાથમિક અને મહત્વનો મુદ્દો બનાવવો પડશે.

તુકારામ મુંઢેએ મે 2026માં FDA કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. પોતાના કાર્યકાળના આંકડા આપતા તેમણે જણાવ્યું કે ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમણે 12,083 ખાદ્ય અને ઔષધ પ્રતિષ્ઠાનો સામે આકરાં પગલાં લીધાં છે. તેમાંથી 5,269 સંસ્થાઓને સુધારા માટેની નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે નિયમોનું પાલન ન કરનારી 603 સંસ્થાઓના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ સપાટાબંધ કાર્યવાહી દરમિયાન મુંઢેએ Swiggy અને Zomato જેવા ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સની જવાબદારી અંગે પણ ખુલ્લેઆમ પોતાનો પક્ષ મૂક્યો હતો. તેમણે કહ્યું, કાયદા અનુસાર આ કંપનીઓ પણ 'ફૂડ બિઝનેસ ઓપરેટર'ની વ્યાખ્યામાં આવે છે, પરંતુ તેઓ પોતાની જાતને એવી માનતી નથી. તેમની પાસે પોતાના ગોડાઉન છે અને અમે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ ઉપરાંત, પ્રતિબંધિત પાન મસાલાની સરોગેટ જાહેરાતો (ઈલાયચીના નામે અપ્રત્યક્ષ જાહેરાત) કરવાના મામલે બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફને પાઠવવામાં આવેલી નોટિસ અંગે તેમણે માહિતી આપી હતી. મુંઢેએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ત્રણમાંથી બે એક્ટર્સના જવાબ FDAને મળી ચૂક્યા છે અને નોટિસનો જવાબ આપવા માટે આપવામાં આવેલા 30 દિવસના સમયગાળામાંથી હજુ પણ થોડા દિવસો બાકી છે.

