- National
- ભારત પાસે ફક્ત 5 દિવસનો ક્રૂડ ઓઇલનો ભંડાર, રિપોર્ટમાં થયો ખુલાસો; શું રશિયા આ સંકટમાં મદદ કરશે?
ભારત પાસે ફક્ત 5 દિવસનો ક્રૂડ ઓઇલનો ભંડાર, રિપોર્ટમાં થયો ખુલાસો; શું રશિયા આ સંકટમાં મદદ કરશે?
તાજેતરમાં, ભારતની ઉર્જા સુરક્ષા અંગે અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અગ્રણી વૈશ્વિક કન્સલ્ટન્સી ફર્મ, 'અર્ન્સ્ટ એન્ડ યંગ'ના તાજેતરના અભ્યાસ મુજબ, ભારતના વ્યૂહાત્મક તેલ ભંડાર હાલમાં ઘણા જ ઓછા છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, વિશ્વમાં કોઈ મોટું યુદ્ધ થઇ જાય અથવા તેલ પુરવઠાની ચેન સંપૂર્ણ બંધ થઇ જવાની સ્થિતિ હોય તો, ભારત પાસે સુરક્ષિત રાખેલા તેલ ભંડારમાં ફક્ત 4.9 દિવસનો તેલ ભંડાર છે, અથવા કહો કે લગભગ 5 દિવસ વાપરી શકાય એટલો.

વૈશ્વિક કટોકટીની સ્થિતિમાં તેલ ભંડારની બાબતમાં ભારત તેના પડોશીઓથી પણ પાછળ છે. ભારતની તુલનામાં, ચીન પાસે તેના કુલ તેલ વપરાશ માટે આશરે 92 દિવસનો અનામત છે. આ ઉપરાંત, જાપાન પાસે 77 દિવસનો અનામત છે, જ્યારે દક્ષિણ કોરિયા પાસે આશરે 31 દિવસનો તેલ ભંડાર છે.
રિપોર્ટ અનુસાર, ભારતની આયાતી ક્રૂડ તેલ પર નિર્ભરતા સમય જતાં વધી રહી છે. 2000માં, ભારતને દરરોજ ફક્ત 2.5 મિલિયન બેરલ તેલની જરૂર હતી, અને તે તેની તેલ જરૂરિયાતોના 70 ટકા આયાત કરતો હતો. આજે, ભારતની તેલની માંગ બમણીથી વધુ થઈ ગઈ છે, જે 5.4 મિલિયન બેરલ પ્રતિ દિવસ થઇ ચુકી છે. જોકે ભારત આ આયાતી ક્રૂડ ઓઈલનો લગભગ એક ચતુર્થાંશ ભાગ પોતાની રિફાઈનરીઓમાં રિફાઈન કરે છે અને તેને અન્ય દેશોમાં નિકાસ કરે છે, પરંતુ તેની માંગ સંપૂર્ણપણે વિદેશી તેલ દ્વારા જ પૂરી થાય છે.

આ દરમિયાન, રશિયા ભારતનો તારણહાર બની શકે છે. આ મહિને, ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાતનો નવો રેકોર્ડ બનાવ્યો. રશિયન રિફાઈનરીઓ પર યુક્રેનના ડ્રોન હુમલાથી ક્રૂડ ઓઈલની ખરીદીમાં અનેકગણો વધારો થયો છે. અહેવાલો અનુસાર, ભારતે જૂનમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ચાલુ મહિનામાં, ભારતે તેની કુલ તેલની જરૂરિયાતના 50 ટકાથી વધુ ફક્ત રશિયા પાસેથી જ આયાત કરી છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ભારત હાલમાં રશિયા પાસેથી દરરોજ આશરે 2.5 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી રહ્યું છે. મીડિયા સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે, રશિયન ક્રૂડ ઓઈલથી ભરેલા 8 મોટા ટેન્કર હાલમાં પશ્ચિમ કિનારા પર વાડીનારથી પૂર્વ કિનારા સુધીના બંદરો પર ડોક કરવામાં આવ્યા છે અથવા પ્રવેશ કરવાના છે. NGP એનર્જી કેપિટલ મેનેજમેન્ટના અર્થશાસ્ત્રી અનસ અલહજ્જીએ જણાવ્યું હતું કે, 'મેં અત્યાર સુધી ભારતીય બંદરો પર આટલા બધા રશિયન ઓઇલ ટેન્કરો એકસાથે જોયા નથી જેટલા અત્યારના સમયમાં જોઈ રહ્યા છીએ.'

અહીં તમને બતાવી દઈએ કે, 2022માં યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પહેલા, ભારતની કુલ તેલ આયાતમાં રશિયાનો હિસ્સો 1 ટકાથી પણ ઓછો હતો. જોકે, આજે રશિયા ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર બની ગયો છે. ઉર્જા નિષ્ણાતો માને છે કે, રશિયા-યુક્રેન યુદ્ધમાં તાજેતરના વિકાસથી ભારતને સીધો આર્થિક ફાયદો થયો છે. હકીકતમાં, યુક્રેને તાજેતરના દિવસોમાં ડ્રોન હુમલાઓ દ્વારા રશિયાની અંદર ઘણી મોટી તેલ રિફાઇનરીઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ રિફાઇનરીઓ બંધ થવાને કારણે, રશિયા હવે સ્થાનિક રીતે તેલ રિફાઇન કરી શકતું નથી. આ સ્થિતિમાં, મોસ્કો પાસે સમુદ્ર દ્વારા સીધા અન્ય દેશોમાં ક્રૂડ ઓઇલ નિકાસ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ દરમિયાન, સુસ્ત અર્થતંત્રને કારણે ચીનની આયાતમાં થોડો ઘટાડો થયો છે. તાજેતરના અઠવાડિયામાં, ચીનની તેલ આયાત 1.5 કરોડ બેરલ પ્રતિ દિવસથી ઘટીને લગભગ 1 કરોડ બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ છે.

