- National
- ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી
ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધવિરામ હોવા છતાં, રાજદ્વારી યુદ્ધ હજુ પણ ચાલુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચેના યુદ્ધવિરામનું સ્વાગત કર્યું અને 'હજારો વર્ષ જૂના' કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી કરવાની પણ ઓફર કરી. પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે અમેરિકાની ઓફરનું સ્વાગત કર્યું, જ્યારે ભારતે આવી કોઈપણ મધ્યસ્થી દરખાસ્તને નકારી કાઢી.
વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે, કાશ્મીર મુદ્દા પર અમારું વલણ સ્પષ્ટ છે અને કોઈપણ ત્રીજા પક્ષની દખલગીરી સ્વીકાર્ય નથી. જો પાકિસ્તાન આતંકવાદીઓને સોંપવા માંગે છે, તો વાતચીતના દરવાજા ચોક્કસપણે ખુલ્લા છે. જ્યારે, ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પરત કરવાના મુદ્દા પર જ ચર્ચા થઈ શકે છે. આ સિવાય, અન્ય કોઈ મુદ્દા પર ચર્ચાનો કોઈ અવકાશ નથી અને ન તો અમે કોઈની મધ્યસ્થી ઇચ્છીએ છીએ.
અગાઉ, US રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ કાશ્મીર વિવાદનો ઉકેલ શોધવા માટે બંને દેશો સાથે કામ કરવા આતુર છે, જેને તેમણે 'હજાર વર્ષો'થી ચાલી આવતો મુદ્દો ગણાવ્યો હતો. ટ્રમ્પની આ ટિપ્પણી તેમના એ નિવેદનના એક દિવસ પછી આવી છે જેમાં તેમણે દાવો કર્યો હતો કે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર કરાવ્યો હતો.
ટ્રમ્પની ઓફર પર, પાકિસ્તાન સરકારે એક નિવેદનમાં કહ્યું, 'અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પની જમ્મુ અને કાશ્મીર વિવાદ, જે લાંબા સમયથી ચાલતો મુદ્દો છે અને દક્ષિણ એશિયા અને તેનાથી આગળ શાંતિ અને સુરક્ષા પર ઊંડી અસર કરે છે, તેને ઉકેલવાના પ્રયાસોને સમર્થન આપવાની તૈયારીની પણ પ્રશંસા કરીએ છીએ.' ઇસ્લામાબાદે વધુમાં આગળ કહ્યું કે, 'સરકાર પુનરોચ્ચાર કરે છે કે જમ્મુ અને કાશ્મીર વિવાદનો કોઈપણ ન્યાયી અને કાયમી ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો અનુસાર હોવો જોઈએ અને કાશ્મીરી લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવું જોઈએ.'
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવા માટે થયેલા કરાર પછીની તેમની પહેલી પ્રતિક્રિયામાં, PM શાહબાઝ શરીફે કહ્યું કે, તેઓ માને છે કે બંને દેશો વચ્ચેના વ્યાપક મુદ્દાઓ, જેમાં કાશ્મીર, પાણીની વહેંચણી અને અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓનો સમાવેશ થાય છે, એનો પણ ઉકેલ આવી જવો જોઈએ.
ભારતે શરૂઆતથી જ કાશ્મીર મુદ્દા પર કોઈપણ મધ્યસ્થીનો ઇનકાર કર્યો છે અને ભારત માને છે કે, તે બંને દેશો વચ્ચેનો મામલો છે. પરંતુ હવે, કડક વલણ અપનાવતા, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, કાશ્મીર વાતચીતનો મુદ્દો નથી. હવે વાતચીત પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK) પરત કરવા પર થશે અથવા જો પાકિસ્તાન આતંકવાદીઓને સોંપી દે છે, તો વાતચીત થઈ શકે છે.
Related Posts
Top News
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Opinion
