- National
- 32 કરોડનું દેવું થઇ ગયું હોવાથી કંપનીના ભાગીદારે MDને પતાવી દેવા 40 લાખની સોપારી આપી પણ...
32 કરોડનું દેવું થઇ ગયું હોવાથી કંપનીના ભાગીદારે MDને પતાવી દેવા 40 લાખની સોપારી આપી પણ...
32 કરોડ રૂપિયાના ચુકવણાથી બચવા માટે, એક વ્યક્તિએ પોતાના જ ભાગીદારની હત્યા કરવાનું ભયાનક કાવતરું ઘડ્યું. તેણે વિચાર્યું કે કોઈ ભાગીદાર જ નહીં રહે, અને ન તેણે નુકસાનની ભરપાઈ કરવી પડે. તેની ગેરહાજરીમાં, તે કંપની પર પોતાનો કબજો હશે. આ વિચારને ધ્યાનમાં રાખીને, તેણે 40 લાખ રૂપિયામાં તેના ભાગીદારને મારવા માટે સોપારી આપી દીધી. આરોપી તેના કાવતરામાં લગભગ સફળ પણ રહ્યો. તેણે તેના ભાગીદાર પર ગોળી પણ મરાવી દીધી. તે ભાગીદાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ તે આરોપી પોલીસ ધરપકડથી બચી શક્યો નહીં.
આ કેસ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈમાં સ્થિત GSM ફોઇલ્સ લિમિટેડના MD મોહન સિંહ પરમાર પર થયેલા ગોળીબાર સાથે સંબંધિત છે. પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, 32 કરોડ રૂપિયાના દેવા અને કંપની પર પોતાનો કબ્જો લેવાને કારણે પરમારને તેના જ ભાગીદાર સાગર ભાનુશાલીએ ગોળી મારી હતી. સાગર ભાનુશાલી કંપનીમાં પરમારનો ભાગીદાર છે. પોલીસે સાગર ભાનુશાળી સહિત 7 લોકોની ધરપકડ કરી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે, સાગરે નાણાકીય લાભ માટે પરમારની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને પરમારને મારવા માટે રૂ. 40 લાખની સોપારી આપી દીધી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આરોપીઓએ નાણાકીય મુશ્કેલીઓ, શેરબજારમાં થયેલા નુકસાન અને કરોડો રૂપિયાના મોટા દેવાથી બચવા માટે આ કાવતરું ઘડ્યું હતું.
26 જુલાઈના રોજ, વસઈના નાયકપાડા વિસ્તારમાં બે બાઇક સવાર હુમલાખોરોએ મોહન સિંહ પરમાર પર ગોળીબાર કર્યો હતો. તેમના ખભામાં ગોળી વાગવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલાખોરો બીજી ગોળી પણ ચલાવવાના હતા, પરંતુ પિસ્તોલ જામ થઈ ગઈ હતી. હુમલાખોરો તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પરમાર હાલત હાલમાં સ્થિર સ્થિતિમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે GSM ફોઇલ્સ કંપનીના સહ-અધ્યક્ષ સાગર ભાનુશાળીને US શેરબજાર ક્રેશને કારણે ખુબ મોટું નાણાકીય નુકસાન થયું હતું. તે આશરે રૂ. 32 કરોડના દેવામાં ડૂબી ગયો હતો અને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યો હતો. તેમણે મોહન સિંહ પરમારને કંપનીમાં તેમનો હિસ્સો આશરે રૂ. 32 કરોડમાં ખરીદવા દબાણ કર્યું હતું. પછી તેણે વિચાર્યું કે, જો તે પરમારને જ ખતમ કરી દે, તો તેણે પૈસા પણ પાછા આપવાની જરૂર નહીં પડે અને કંપની પર તેનું સંપૂર્ણ નિયંત્રણ આવી જશે. આ ઇરાદાથી, તેણે તેને મારવા માટે રૂ. 40 લાખમાં સોપારી આપી દીધી. પોલીસે અહેવાલ આપ્યો કે, તેણે આ માટે રૂ. 5 લાખ એડવાન્સ પણ આપ્યા હતા.
જેમ જેમ પોલીસે કેસની તપાસ શરૂ કરી, તેમ તેમ કડીઓ ખુલવા લાગી. સાગરનું આખું કાવતરું એક જ ઝાટકે ખુલી ગયું. એક વિશેષ પોલીસ ટીમે મુખ્ય કાવતરાખોર, સાગર ભાનુશાળીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી, જ્યારે અન્ય 6 આરોપીઓની વિવિધ સ્થળોએથી અટકાયત કરવામાં આવી. આ કેસની તપાસ વૈજ્ઞાનિક, તકનીકી, ડિજિટલ અને નાણાકીય પુરાવાના આધારે કરવામાં આવી રહી છે. કાવતરામાં અન્ય વ્યક્તિઓની સંડોવણીની પણ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.

