- National
- ભારત US ટ્રેડ ડીલ: દેશના ખેડૂતો અને ડેરી ઉદ્યોગને કોઈ જોખમ નથી. નવી તકો અને આર્થિક વૃદ્ધિનો માર્ગ ખુ...
ભારત US ટ્રેડ ડીલ: દેશના ખેડૂતો અને ડેરી ઉદ્યોગને કોઈ જોખમ નથી. નવી તકો અને આર્થિક વૃદ્ધિનો માર્ગ ખુલશે
(ઉત્કર્ષ પટેલ)
હમણા જ ભારત અને અમેરિકા વચ્ચે એક મહત્વપૂર્ણ વેપાર કરારની જાહેરાત થઈ છે જે બંને દેશોના આર્થિક સંબંધોને નવી દિશા આપશે. આ કરારની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ફોન પરની વાતચીત પછી થઈ. વાણિજ્યમંત્રી પીયુષ ગોયલે આ કરારને ભારત માટે અત્યાર સુધીનો સૌથી ફાયદાકારક કરાર ગણાવ્યો છે.
આ કરારનું મુખ્ય ઉદ્દેશ અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પરના ટેરિફમાં નોંધનિય ઘટાડો છે. અગાઉ 50% સુધીના ટેરિફ હતા જે હવે 18% સુધી ઘટાડવામાં આવ્યા છે. આ ઘટાડાથી ભારતીય નિર્યાતકારોને મોટી રાહત મળી છે. ખાસ કરીને ટેક્સટાઈલ, લેધર, મરીન પ્રોડક્ટ્સ, જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ અને અન્ય ઉત્પાદન ક્ષેત્રોને નોંધપાત્ર લાભ થશે. આ ક્ષેત્રોમાં મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે જેનાથી ગામડાંઓમાં રહેતા ગરીબો, ખેડૂતો, મત્સ્યોદ્યોગીઓ, યુવાનો અને મહિલાઓને ફાયદો થશે.
પીયુષ ગોયલે સ્પષ્ટ કર્યું છે કે આ કરારમાં ભારતના સંવેદનશીલ ક્ષેત્રો જેવા કે ખેતી અને ડેરીને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ભારતે પોતાની 'રેડ લાઈન્સ' પર કોઈ સમાધાન કર્યું નથી. આનાથી દેશના ખેડૂતો અને ડેરી ઉદ્યોગને કોઈ જોખમ નથી. આ કરાર બંને દેશો માટે વિન-વિન સ્થિતિ ઊભી કરે છે જેમાં અમેરિકાને ઊર્જા, કોલસા, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં વધુ ખરીદીની તક મળશે.

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની મિત્રતા અને નિકટ સંબંધોને કારણે આ કરાર શક્ય બન્યો છે. ગોયલે કહ્યું કે આ કરાર ભારતના પડોશી અને સ્પર્ધાત્મક દેશો કરતાં વધુ સારો છે. આનાથી ભારતીય ઉદ્યોગોને અમેરિકા ના બજારમાં વધુ અવકાશ મળશે અને નિર્યાતમાં વધારો થશે.
આ કરાર ભારતની આર્થિક વૃદ્ધિને નવી ગતિ આપશે. MSME, ઉદ્યોગસાહસિકો અને કુશળ કારીગરો માટે અભૂતપૂર્વ તકો ખુલશે. સ્ટોક માર્કેટ અને રૂપિયામાં પણ સકારાત્મક અસર જોવા મળી રહી છે. વિરોધ પક્ષોની ટીકાઓ વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપવામાં આવી છે.
આ કરાર ભારતને વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે વધુ મજબૂત બનાવશે અને 'મેક ઇન ઇન્ડિયા'ને નવું બળ આપશે. આ ઐતિહાસિક પગલું બંને દેશોના સંબંધોને વધુ ગાઢ બનાવશે અને સમૃદ્ધિનો નવો અધ્યાય શરૂ કરશે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

