- National
- UPના 12 ગામોમાં એવું શું થયું કે માતા-પિતા પોતાના જ બાળકોને સાંકળોથી બાંધીને રાખે છે
UPના 12 ગામોમાં એવું શું થયું કે માતા-પિતા પોતાના જ બાળકોને સાંકળોથી બાંધીને રાખે છે
ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં એક ભયાનક સ્વાસ્થ્ય દુર્ઘટના સામે આવી છે, જેણે માનવ સંવેદનાઓને હચમચાવી નાખી છે. જિલ્લાના લગભગ 12 જેટલા ગામોમાં બાળકો ‘અનોખા અને રહસ્યમય’ બીમારીથી પીડાઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે જે બાળકો જન્મ સમયે સંપૂર્ણપણે સ્વસ્થ હોય છે, તેઓ થોડા મહિના બાદ ખૂબ જ તાવની ઝપેટમાં આવી જાય છે અને જીવનભર માનસિક અને શારીરિક રીતે દિવ્યાંગ થઈ જાય છે.
ગાઝીપુરના ફતેહુલ્લાહપુર, બહાદુરપુર, હરિહરપુર, હાલા અને છોટી જંગીપુર સહિત લગભગ 12 ગામોમાં આ ઘટના સામાન્ય બની ગઈ છે. આ ગામોમાં પણ આવી જ કહાની છે. બાળક સ્વસ્થ તો જનમ્યું, પરંતુ 4-6 મહિના પછી, અચાનક ખૂબ જ તાવ આવ્યો અને પછી શરીરે સાથ છોડી દીધો. ઘણા પરિવારોમાં 2-2 બાળકો આ બીમારીનો શિકાર થઈ ગયા છે.
ઉદાહરણ તરીકે, હરિહરપુર ગામની 2 દીકરીઓ જન્મના સમયે સ્વસ્થ હતી, પરંતુ થોડા મહિનાના અંતરે, તેમને તાવ આવ્યો અને હવે તેઓ પૂરી રીતે માનસિક રીતે અક્ષમ છે. તેમના પિતા ગુજરાતમાં મજૂરી કરે છે અને ઘરે એટલે નથી આવતા, જેથી મુસાફરીના પૈસા બચાવીને દીકરીઓની સારવારમાં લગાવી શકે છે. વિડંબના એ છે કે લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ, ડૉક્ટરો એ જણાવી શકતા નથી કે, આખરે આ કયો વાયરસ છે, જેણે બાળકોની આવી પરિસ્થિતી કરી દીધી.

આ બીમારીની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘણા ગામડાઓમાં, માતા-પિતાને તેમના બાળકોને દોરડા અથવા લોખંડની સાંકળોથી બાંધી રાખવા મજબૂર છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે માનસિક સંતુલન બગડવાને કારણે, બાળકો ભાગી જાય છે અથવા પોતાને અથવા અન્યને નુકસાન પહોંચાડી શકે છે. તેમની દૈનિક ક્રિયાઓ અને ખોરાક સુધીની જવાબદારી હવે તેમના વૃદ્ધ માતા-પિતાના ખભા પર છે. શિકારપુર, ધારી કલા, અગસ્તા, ભોરહા, ભીક્કેપુર અને રાઠુલી જેવા ગામડાઓમાં, દર બીજા કે ત્રીજા ઘરમાં 8-10 બાળકો આ રહસ્યમય બીમારી સામે લડી રહ્યા છે.
આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને, ‘રાષ્ટ્રીય યુવા પુરસ્કાર’થી સન્માનીત સિદ્ધાર્થ રાયે આ બાળકો માટે અવાજ ઉઠાવ્યો છે. શરૂઆતમાં તેમણે તેને સામાન્ય બીમારી ગણાવીને જિલ્લા મેજિસ્ટ્રેટ અને આરોગ્ય વિભાગને પત્ર લખ્યો હતો, ત્યારબાદ આરોગ્ય વિભાગે માત્ર ઔપચારિકતા પૂરી કરવા માટે એક શિબિર યોજી હતી, પરંતુ જ્યારે સમસ્યાની ઊંડાઈ સ્પષ્ટ થઈ, ત્યારે સિદ્ધાર્થ રાયે સીધા રાજ્યપાલ આનંદીબેન પટેલનો સંપર્ક કર્યો. તેમણે રાજ્યપાલને જણાવ્યું કે આ કોઈ સામાન્ય દિવ્યાંગતા નથી, પરંતુ એક રહસ્યમય વાયરસ અથવા બીમારી છે જેણે એક વિશાળ વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધો છે.

રાજ્યપાલની નોંધ બાદ, તેમના ખાસ અધિકારી (અધિક મુખ્ય સચિવ સ્તર), ડૉ. સુધીર એમ. બોબડેએ ગાઝીપુર જિલ્લા મેજિસ્ટ્રેટને એક કડક પત્ર લખ્યો છે. પત્રમાં બીમારી ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરતા તેમને જરૂરી પગલાં લેવા અને સચિવાલયને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
તાજેતરમાં, જિલ્લા મેજિસ્ટ્રેટે આ બાબતની વિગતવાર પૂછપરછ કરવા માટે સિદ્ધાર્થ રાયને તેમની ઓફિસમાં બોલાવ્યા. વહીવટીતંત્રએ ખાતરી આપી છે કે આ ગામોમાં વ્યાપક સંશોધન અને સારવાર કરવા માટે આરોગ્ય નિષ્ણાતોની એક ટીમ બનાવવામાં આવશે.
શું આ એક નવો વાયરસ છે?
નિષ્ણાતો ગાઝીપુરના આ ગામડાઓની પરિસ્થિતિને જાપાનીઝ એન્સેફાલીટીસ (મગજનો તાવ) અથવા કોઈ નવા ન્યુરોલોજીકલ ડિસઓર્ડર સાથે જોડી રહ્યા છે. જોકે, જ્યાં સુધી ઉચ્ચ સ્તરીય તબીબી તપાસ ન થાય ત્યાં સુધી આ માસૂમ બાળકોનું ભવિષ્ય અંધારામાં છે.

