- National
- શું મમતા બેનર્જી અભિષેકને TMCમાંથી કાઢશે? સર્વે બહાર આવ્યો, જાણો બળવાખોરોની નવી શરતો શું છે
શું મમતા બેનર્જી અભિષેકને TMCમાંથી કાઢશે? સર્વે બહાર આવ્યો, જાણો બળવાખોરોની નવી શરતો શું છે
પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ CM અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રમુખ મમતા બેનર્જી તેમના રાજકીય કારકિર્દીના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે. તેમની સામે ફક્ત તેમના પોતાના પક્ષ, TMCને જ નહીં, પરંતુ તેમના પરિવારને પણ બચાવવાનો પડકાર છે, કારણ કે બળવાખોરોએ જણાવ્યું છે કે, જો મમતા બેનર્જી તેમના ભત્રીજા અને TMCના મહાસચિવ અભિષેક બેનર્જીને પાર્ટીમાંથી હાંકી કાઢે છે, તો તેઓ મમતા જૂથમાં પાછા આવી શકે છે.

તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઉત્તર બંગાળ વિકાસ વિભાગના ભૂતપૂર્વ મંત્રી, રવિન્દ્રનાથ ઘોષે દાવો કર્યો છે કે, જો મમતા બેનર્જી તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને સક્રિય રાજકારણમાંથી દૂર કરવામાં સફળ થાય છે, તો ઋતાબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથના મોટાભાગના અસંતુષ્ટ નેતાઓ TMCમાં પાછા ફરશે. રવિન્દ્રનાથ ઘોષ વિપક્ષના નેતા ઋતાબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર જૂથમાં જોડાનારા છેલ્લા સભ્ય છે, જેમણે મમતા બેનર્જીના જૂથ સાથે સંબંધો તોડી નાખ્યા છે. આના કારણે કૂચ બિહારમાં મોટો રાજકીય પરિવર્તન આવ્યો છે અને મુશ્કેલીમાં મુકાયેલી પાર્ટીમાં મતભેદ વધારે ઊંડા બન્યા છે.
આ દરમિયાન, ABP આનંદે અભિષેક બેનર્જી પર એક ઓપિનિયન પોલ હાથ ધર્યો હતો. અભિષેક બેનર્જીને તૃણમૂલ કોંગ્રેસમાંથી દૂર કરવાની માંગ પર હાથ ધરવામાં આવેલા આ પોલમાં પૂછવામાં આવ્યું હતું કે, શું મમતા બેનર્જી પાર્ટીને બચાવવા માટે તેમના ભત્રીજા સામે કોઈ કડક પગલાં લેશે. તો મોટાભાગના લોકોએ જવાબ આપ્યો હતો કે ના, મમતા બેનર્જી આવું પગલું નહીં ભરે. 78 ટકા લોકોએ કહ્યું કે, 'મમતા દીદી તેમના ભત્રીજા સામે કડક પગલાં નહીં લે', જ્યારે 19 ટકા લોકોએ કહ્યું કે, 'હા, મમતા પાર્ટીને બચાવવા માટે આવું કરી શકે છે.' ફક્ત 3 ટકા લોકોએ કહ્યું કે તેઓ જાણતા નથી અથવા તેઓ કહી નથી શકતા કે મમતા બેનર્જી આગળ શું કરશે.

આ ઘટનાક્રમ ત્યારે આવ્યો છે જ્યારે બળવાખોર જૂથે પાર્ટી પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો વધુ ઝડપી બનાવી દીધા છે અને સમાંતર રાજ્ય અને જિલ્લા સમિતિઓની રચના કરી છે. આ પગલાથી મમતા બેનર્જીના ઘણા લાંબા સમયથી વફાદાર લોકો, જેમાં બીરભૂમના શક્તિશાળી નેતા અનુબ્રત મંડલનો પણ સમાવેશ થાય છે, તેમના પક્ષમાં આવી ગયા છે, જે રાજકીય બળવાથી સંગઠનાત્મક રચના તરફ નિર્ણાયક પરિવર્તન દર્શાવે છે. બળવાખોર જૂથ ઘોષને પાર્ટીના કૂચ બિહાર જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરે તેવી શક્યતા છે. તેમણે અભિષેક બેનર્જી અને રાજકીય સલાહકાર કંપની I-PACની આકરી ટીકા કરતા કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો પરાજય મોટાભાગે તેમના પ્રભાવને કારણે થયો હતો.
ઘોષે પત્રકારોને કહ્યું, 'કેટલાક પક્ષના નેતાઓ સાથે વાત કર્યા પછી, હું સમજું છું કે મમતા બેનર્જીએ અભિષેકને સક્રિય રાજકારણમાંથી દૂર કરવા પડશે, ઓછામાં ઓછા થોડા સમય માટે. મારું માનવું છે કે આનાથી નારાજ નેતાઓ અને કાર્યકરો તેમની પાસે પાછા આવશે.' તેમણે ઉમેર્યું, 'એ વાતને નકારી શકાય નહીં કે અભિષેકની મનમાની... 80થી વધુ વર્તમાન ધારાસભ્યો અને મંત્રીઓની ટિકિટ રદ કરવા અને સંગઠનાત્મક હોદ્દા પરથી ઘણા અન્ય નેતાઓને દૂર કરવાથી પાર્ટી પર ગંભીર અસર પડી છે.'

બે દાયકાથી વધુ સમય સુધી તૃણમૂલ જિલ્લા પ્રમુખ તરીકે સેવા આપનારા અને લાંબા સમયથી મમતા બેનર્જીના સહયોગી રહેલા ઘોષે પ્રશ્ન કર્યો કે, શું પાર્ટીના વડાએ પક્ષ પર અસરકારક નિયંત્રણ જાળવી રાખ્યું છે. તેમણે દાવો કર્યો, 'શું દીદી પાસે ખરેખર કોઈ તાકાત બચેલી છે? સત્તા અન્યત્ર કેન્દ્રિત થઈ ગઈ છે, અને મુખ્ય જવાબદારીઓ અયોગ્ય લોકોને સોંપવામાં આવી છે. મમતા બેનર્જી ઇચ્છે તો પણ, તે કંઈ કરી શકશે નહીં.'
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું પાર્ટીનું વિભાજન અને ચૂંટણીમાં હાર અભિષેક બેનર્જીના નેતૃત્વનું પરિણામ છે, ત્યારે તેમણે કહ્યું, 'તેમની પાસે રાજકીય અનુભવનો અભાવ છે. તેઓ કોઈ રાજકીય ચળવળમાંથી નથી આવ્યા. અને I-PAC શું હતું? તે યુવાનોનો એક જૂથ છે જે અમને શું કરવું તે કહે છે.' ઘોષે કહ્યું, 'અમે લોકો રાજકીય સંઘર્ષો અને વર્ષોની મહેનત દ્વારા આગળ વધ્યા છીએ. 2011 કે 2016માં I-PAC અસ્તિત્વમાં નહોતું. અચાનક, તે અનિવાર્ય બની ગયું. આખરે, તેણે પાર્ટીનો નાશ કર્યો અને છોડીને ચાલ્યા ગયા.'

મમતા બેનર્જી સાથે સીધી રીતે પોતાની ચિંતાઓ વ્યક્ત કરવાને બદલે પક્ષ બદલવા વિશે પૂછવામાં આવતા, ઘોષે કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ એક છે અને તેની અંદર કોઈ જૂથ નથી. તેમણે કહ્યું કે, 'અમારે ત્યાં રહેવું જોઈએ કે જ્યાં બહુમતી છે. ઉત્તર બંગાળના બધા ધારાસભ્યો અને નેતાઓ એક જગ્યાએ ભેગા થયા છે. મેં પાર્ટીના કાર્યકરોને સમર્થન આપવા માટે આ નિર્ણય લીધો છે.'

