- Politics
- સંસદમાં રાહુલ ગાંધી એવું શું બોલ્ચા કે અમિત શાહ-રાજનાથ સિંહ ગુસ્સે થઈ ગયા
સંસદમાં રાહુલ ગાંધી એવું શું બોલ્ચા કે અમિત શાહ-રાજનાથ સિંહ ગુસ્સે થઈ ગયા
લોકસભામાં સોમવારે રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધી જ્યારે બોલવા માટે ઊભા થયા ત્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના પરિણામે સદનની કાર્યવાહી મંગળવાર સવારના 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
ભૂતપૂર્વ આર્મી ચીફના પુસ્તક પર વિવાદ
રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત ડોકલામ મુદ્દે પૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેના કથિત પુસ્તકનો ઉલ્લેખ કરીને કરી હતી. આ બાબતે રક્ષામંત્રી રાજનાથ સિંહે આકરી પ્રતિક્રિયા આપતા પુસ્તકની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે, "આ પુસ્તક હજુ પ્રકાશિત જ થયું નથી, તો રાહુલ ગાંધી તેનો ઉલ્લેખ કઈ રીતે કરી શકે? તેઓ સદનને ગેરમાર્ગે દોરી રહ્યા છે."
સ્પીકર ઓમ બિરલાએ પણ રાહુલ ગાંધીને માત્ર અધિકૃત દસ્તાવેજો જ ટાંકવાની સલાહ આપી હતી. જોકે, રાહુલે દાવો કર્યો હતો કે આ માહિતી 100% સાચી છે અને સરકાર આ પુસ્તકને પ્રકાશિત થવા દેતી નથી.

જ્યારે રાહુલ ગાંધીએ ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધો પર બોલવાનો પ્રયત્ન કર્યો, ત્યારે સ્પીકરે ટોકતા કહ્યું કે રાષ્ટ્રપતિના ભાષણમાં ચીનનો કોઈ ઉલ્લેખ નથી. આ દરમિયાન સપા નેતા અખિલેશ યાદવે વિપક્ષના નેતાનો બચાવ કરતા કહ્યું કે જો દેશહિતમાં કોઈ સૂચન હોય તો તે વાંચવા દેવું જોઈએ. તેમણે ડૉ. લોહિયા અને મુલાયમ સિંહ યાદવને ટાંકીને ચીન સામે સાવધ રહેવાની સલાહ આપી હતી.
સામે પક્ષે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પોતે જ સ્વીકારી રહ્યા છે કે પુસ્તક પ્રકાશિત થયું નથી, તેથી વિવાદ ત્યાં જ પૂરો થઈ જાય છે.
સ્પીકર અને રાહુલ ગાંધી વચ્ચેની ખેંચતાણ
વારંવાર ટોકવામાં આવતા સ્પીકરને રાહુલ ગાંધીએ પૂછ્યું, "તમે જ કહો મારે શું બોલવું?" જેની સામે સ્પીકર ઓમ બિરલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "હું તમારો સલાહકાર નથી, તમારે સદનની મર્યાદા જાળવવી પડશે."
જ્યારે રાહુલ ગાંધીએ વડાપ્રધાનના સંદર્ભમાં ટિપ્પણી કરવાનું શરૂ કર્યું, ત્યારે સ્પીકરે નિયમોનું પાલન ન થતું જોઈને આગામી વક્તા તરીકે અખિલેશ યાદવનું નામ જાહેર કરી દીધું હતું. સદનમાં હંગામો સતત વધતા આખરે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

શું છે પુસ્તકમાં...
આ પુસ્તકમાં જનરલ નરવણેએ ગલવાન સંઘર્ષથી લઈને અગ્નિવીર સુધીના મુદ્દાઓ વિશે લખ્યું છે. આ જ વાત પર વિવાદ છે. જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં આ અપ્રકાશિત પુસ્તકના અંશો વાંચવાનું શરૂ કર્યું, ત્યારે શાસક પક્ષે તરત જ વાંધો ઉઠાવ્યો. આનાથી ગૃહમાં હોબાળો થયો. સ્પીકરે રાહુલ ગાંધીને અપ્રકાશિત પુસ્તક પર બોલવાની મંજૂરી આપી નહીં, કારણ કે તે નિયમોની વિરુદ્ધ છે. આ પુસ્તકમાં નીચેના મુદ્દાઓ વિવાદાસ્પદ છે:
- 2020 માં ગલવાન, ડેપસાંગ અને પેંગોંગના સરહદી વિસ્તારોની ચર્ચા કરે છે. તેમાં લખાયું છે કે જ્યારે ચીની ટેન્કો ગલવાનમાં દેખાયા, ત્યારે રાજકીય નેતૃત્વ તરફથી સ્પષ્ટ આદેશો મળ્યા ન હતા. ચીની ટેન્કો ભારતીય ક્ષેત્રમાં પ્રવેશી હતી, પરંતુ "ટોચના સ્તરથી ગોળીબાર કરવાની પરવાનગી મળી ન હતી."
- અગ્નિપથ યોજના પર મોટો ખુલાસો - નરવણેના મતે, તેમનો મૂળ પ્રસ્તાવ અલગ હતો, પરંતુ પીએમઓએ તેને સંપૂર્ણપણે બદલી નાખ્યો.
- આ પુસ્તક ચીન સંકટ પર સરકારના નેટિવ વલણ પર પ્રશ્નો ઉભા કરે છે.
- આ સંવેદનશીલ ખુલાસાઓને કારણે, સંરક્ષણ મંત્રાલય અને આર્મી હેડક્વાર્ટરે પુસ્તકની પ્રકાશન પૂર્વે સમીક્ષા હાથ ધરી હતી. હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. ઓક્ટોબર 2025 માં જનરલ નરવણેએ પોતે કહ્યું, "મારું કામ પુસ્તક લખવાનું હતું. હવે બોલ પ્રકાશક અને સંરક્ષણ મંત્રાલયના કોર્ટમાં છે."

