- Business
- ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?
ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?
અમેરિકાએ કહ્યું કે, ‘તે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપે છે.’ કોંગ્રેસ સહિત વિપક્ષે અમેરિકાના નિવેદન પર મોદી સરકાર પર પ્રહારો કર્યા. ભારત સરકારે એક સ્પષ્ટતા જાહેર કરીને કહ્યું કે ભારત ત્યાંથી જ તેલ ખરીદશે, જ્યાં તેને સસ્તું મળશે. જોકે, ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કર્યું નથી, તેણે માત્ર જથ્થો ઘટાડ્યો હતો. રશિયન તેલ અન્ય દેશો કરતા સસ્તું પણ પડી રહ્યું હતું. હવે, ભલે અમેરિકા ગ્રીન સિગ્નલ આપી રહ્યું હોય, એક સમસ્યા આડે આવી રહી છે.
રશિયન તેલમાં પહેલા જેવી વાત નથી રહી. ભારતે રશિયા પાસેથી તેલ ખરીદ્યું કારણ કે તે અન્ય દેશો કરતા સસ્તું હતું. પરંતુ, હવે આ તેલ ભારતને પહેલા કરતા વધુ મોંઘું પડી શકે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતને રશિયન યુરાલ (રશિયન તેલનો એક પ્રકાર), બ્રેન્ટ કરતા 4-5 ડોલર પ્રતિ બેરલ (1 બેરલ 158.987 લીટર છે) વધુ ભાવે મળી રહ્યો છે.
આ તેલ માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં ભારતીય બંદરો પર પહોંચશે. આ અગાઉ ઓર્ડર કરાયેલા કાર્ગો માટે પ્રતિ બેરલ 13 ડોલર ડિસ્કાઉન્ટથી તદ્દન વિપરીત છે. 28 ફેબ્રુઆરીના રોજ યુદ્ધ શરૂ થયું તે અગાઉ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)એ રશિયન તેલના 2 કાર્ગો 13 ડોલરના ડિસ્કાઉન્ટ પર ખરીદ્યા હતા.
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે તેલ પુરવઠાની અછત સર્જાઈ છે. આ દરમિયાન, ભારતીય રિફાઇનરીઓ રશિયા પાસેથી લાખો બેરલ ક્રૂડ તેલ ખરીદી રહી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL), અને મેંગલોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL) જેવી સરકારી રિફાઇનર રશિયન કાર્ગોની ઝડપી ડિલિવરી માટે વેપારીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. ભારતના સરકારી રિફાઇનારોએ અત્યાર સુધીમાં, વેપારીઓ પાસેથી લગભગ 20 મિલિયન બેરલ રશિયન તેલ ખરીદ્યું છે.
ભારતમાં રશિયન તેલ વેચતા એક વેપારીએ કહ્યું કે, ‘ભારતીય રિફાઇનર્સ બજારમાં પાછા ફર્યા છે. પરંતુ કિંમતો કરતા વધુ મોલિક્યૂલ્સ ઉપલબ્ધતાનો એક મુદ્દો છે. ક્રૂડ ઓઇલમાં મોલિક્યૂલ્સની ઉપલબ્ધતાનો અર્થ છે કે કોઈ ખાસ તેલ સ્ત્રોતમાં હાજર વિવિધ હાઇડ્રોકાર્બન અને અન્ય રાસાયણિક સંયોજનો (જેમ કે સલ્ફર, નાઇટ્રોજન, ઓક્સિજન અને ધાતુઓ)ની ખાસ રચના, સાંદ્રતા અને સરળતા મળવાની ક્ષમતા. આ કોન્સેપ્ટ તેલની ગુણવત્તા અને ઉપયોગિતા બતાવે છે, કારણ કે વિવિધ મોલિક્યૂલ્સ એ નક્કી કરે છે કે ક્રૂડ ઓઇલને પેટ્રોલ કે ડીઝલ જેવા ઉત્પાદનોમાં રિફાઇન કરવું સરળ છે કે નહીં.
આ દરમિયાન, રશિયન દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઊર્જા પુરવઠામાં વિક્ષેપની સ્થિતિમાં રશિયા ભારતની ઊર્જા માંગણીઓને પૂર્ણ કરવા માટે તૈયાર છીએ. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય રિફાઇનરોએ મધ્ય-પૂર્વ ક્રૂડ ઓઇલના નુકસાનની ભરપાઈ કરવા માટે દેશના દરિયાકાંઠે આવેલા જહાજોમાંથી રશિયન તેલ કાઢવાનું શરૂ કરી દીધું છે.
2022માં રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ, ભારત રશિયન ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ખરીદદાર હતો. જો કે, જાન્યુઆરી 2025માં, કથિત રીતે અમેરિકાના દબાણ હેઠળ તેણે ખરીદી ઘટાડી દીધી. આને કારણે ભારત-અમેરિકા વચગાળાના કરાર હેઠળ ભારત પર લગાવવામાં આવેલો 50 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો હતો.

