- World
- શું ઈરાનને નબળું પાડવાને બદલે તેને વધુ મજબૂત બનાવી રહ્યું છે આ યુદ્ધ?
શું ઈરાનને નબળું પાડવાને બદલે તેને વધુ મજબૂત બનાવી રહ્યું છે આ યુદ્ધ?
નિષ્ણાતો કહે છે કે, ઈરાન યુદ્ધનો દાવ US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઉલટો પડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, ઈરાનને નબળું પાડવાના ઈરાદાથી શરૂ થયેલ યુદ્ધ ઈરાનને વધુ મજબૂત બનાવશે. કોઈ સમજૂતીના કરાર વિના જો આ યુદ્ધ સમાપ્ત થઇ ગયું તો, ઈરાન વધુ મજબૂત બનીને બહાર આવી શકે છે, જ્યારે ગલ્ફ દેશો પર તેનો બોજ વધારી શકે છે. આનાથી મધ્ય પૂર્વમાં ઉર્જા પુરવઠા અને તેલ અને ગેસ બજાર પર ઈરાનનું વર્ચસ્વ પણ વધી શકે છે.
યુદ્ધ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો બંધ કરવાની ઈરાનની ક્ષમતાએ વૈશ્વિક ઉર્જા બજારને પહેલાથી જ હચમચાવી નાખ્યું છે. હવે, યુદ્ધ શરૂ થયાના એક મહિનાથી વધુ સમય થઇ ગયો છે, વિશ્લેષકો માને છે કે, અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સતત હુમલાઓ છતાં ઈરાને તેની સ્થિતિ જાળવી રાખી છે, અને આ સ્થિતિ આગળ પણ આવી જ ચાલુ રહેવાની શક્યતા છે. પરિણામે, ઈરાનની શક્તિ વધુ વધી શકે છે.
દુબઈમાં બેહુથ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર મોહમ્મદ બહારૂન કહે છે કે, સૌથી મોટી ચિંતા એ છે કે કોઈ નક્કર પરિણામ વિના યુદ્ધનો અંત આવી રહ્યો છે. તેઓએ વધુમાં લહ્યું કે, અમેરિકા યુદ્ધ બંધ કરી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ઈરાન પણ તેવું જ કરશે. જ્યાં સુધી ગલ્ફમાં US લશ્કરી થાણાઓ અસ્તિત્વમાં છે ત્યાં સુધી ઈરાનનો ખતરો રહેશે. નિષ્ણાતો માને છે કે, જો ઈરાન આ યુદ્ધમાંથી હાર્યા વગર બહાર આવે છે, તો તે શિપિંગ રૂટ્સ, ઉર્જા પુરવઠા અને પ્રાદેશિક સ્થિરતાને પ્રભાવિત કરવા માટે વધુ શક્તિ મેળવી શકે છે. આનાથી ગલ્ફ દેશોને આર્થિક અને વ્યૂહાત્મક નુકસાન થઈ શકે છે.
વિશ્લેષકોના મતે, ઈરાન પ્રત્યેના તેમના પ્રતિભાવમાં અમેરિકા અને ઈઝરાયલે નોંધપાત્ર ભૂલ કરી હતી. યુદ્ધની શરૂઆતમાં ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યાને નિર્ણાયક પગલું માનવામાં આવતું હતું, પરંતુ તેના બદલે યુદ્ધ એકદમ આગળ વધી ગયું. તેમનું સ્થાન તેમના પુત્ર, મોજતબા ખામેનીએ લઇ લીધું હતું, અને આ ઘટનાએ ઈરાનમાં પ્રતિકાર અને બદલાની ભાવનાને વધુ મજબૂત બનાવી.
મધ્ય પૂર્વના નિષ્ણાત ફવાઝ ગેર્ગેસના મતે, આ પગલાએ રાજકીય સંઘર્ષને ધાર્મિક અને સભ્યતાના સંઘર્ષમાં પરિવર્તિત કર્યો, જેનાથી ઈરાનના નેતૃત્વ માટે આંતરિક સમર્થન વધુ મજબૂત બન્યું. નિષ્ણાતો કહે છે કે, ઈરાનની સિસ્ટમ અનેક સ્તરે કાર્ય કરે છે અને લાંબા સમય સુધી દબાણને સહન કરવા છતાં આ યુદ્ધમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે.
આ યુદ્ધમાં તેની વ્યૂહરચનાના ભાગ રૂપે, ઈરાને સીધા મુકાબલાને બદલે આર્થિક દબાણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉર્જા માળખાને નિશાન બનાવીને અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી શિપિંગને અવરોધિત કરીને, તેણે તેલના ભાવમાં વધારો કર્યો છે, જેના કારણે વૈશ્વિક ફુગાવામાં વધારો થયો છે. નિષ્ણાતો કહે છે કે, ઈરાનનો ધ્યેય યુદ્ધ જીતવાનો નથી, પરંતુ વિરોધીઓને આર્થિક રીતે થકવી દેવાનો છે. જો યુદ્ધ આર્થિક રીતે અસહ્ય બની જાય, તો ફક્ત બચી રહેવું એ જ વિજય માનવામાં આવશે.
જો અમેરિકા કોઈ સુરક્ષા ગેરંટી વિના પાછળ હટી જાય છે, તો ઈરાન ભવિષ્યમાં વધુ આક્રમક બની શકે છે. તેની પાસે એક વિશ્વવ્યાપી નેટવર્ક છે, જેના દ્વારા તે અમેરિકા, ઈઝરાયલ અને તેમના સાથીઓને નિશાન બનાવી શકે છે. નિષ્ણાત મેગ્નસ રેન્સ્ટોર્પના મતે, ઈરાન પાસે હજુ પણ ઘણી બધી ક્ષમતાઓ છે અને તેણે હજુ સુધી તેની સંપૂર્ણ ક્ષમતા દર્શાવી નથી. તેથી, આવી સ્થિતિમાં જો અમેરિકા પીછેહઠ કરે છે, તો ઈરાન તેને પોતાનો વિજય ગણશે અને આ વિસ્તારમાં વધુ ખતરનાક બનીને બહાર આવશે.

