- Politics
- કોંગ્રેસ પાસે સત્તા, કાર્યકર્તા અને પૂર્ણ સમર્થન નથી પરંતુ બહોળો અનુભવ તો છે
કોંગ્રેસ પાસે સત્તા, કાર્યકર્તા અને પૂર્ણ સમર્થન નથી પરંતુ બહોળો અનુભવ તો છે
એક સમયે કોંગ્રેસ માત્ર રાજકીય મંચ નહીં, પરંતુ ભારતીય વિચારધારાનું કેન્દ્ર હતું. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનુભાવો અહીં કાર્યરત હતા. 1960 માં ગુજરાતની સ્થાપના પછી કોંગ્રેસે લગભગ 1995 સુધી સતત સત્તા જાળવી રાખી. મોરારજી દેસાઈ, કે.એમ. મુનશી જેવા નેતાઓએ રાજ્ય સરકારોમાં મહત્વની ભૂમિકા ભજવી. કોંગ્રેસે સામાજિક સુધારા, કૃષિ અને ઉદ્યોગોના વિકાસમાં કાર્યરત રહી હતી. અમદાવાદમાં એ.આઈ.સી.સી. અધિવેશનો યોજાતા હતા જેમણે રાષ્ટ્રીય રાજકારણને દિશાઓ આપી હતી.

1995માં ભાજપે સત્તા મેળવી અને ત્યારથી કોંગ્રેસની પડતી શરૂ થઈ. 1998 પછી ભાજપે અવિરત સત્તા જાળવી રાખી. કોંગ્રેસના આંતરિક વિવાદો, સામાજિક ન્યાયના અધૂરા વાયદાઓ અને હિંદુત્વ તથા વિકાસના નારાથઈ દૂર રહેવું જેવા વિષયોએ કોંગ્રેસને નબળી પાડી દીધી. PM નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાર્યકાળ (2001-2014)માં ‘ગુજરાત મોડલ’એ ભાજપને દેશભરમાં મજબૂત કર્યું. કોંગ્રેસમાંથી અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. 2017માં કોંગ્રેસે કેટલીક સીટો વધારી પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેની સીટો 17 પર સમેટાઈ ગઈ (ભાજપ 156). 2024ની લોકસભામાં કોંગ્રેસને માત્ર એક બનાસકાંઠા સીટ મળી. આ પડતી પાછળ આંતરિક ફૂટ, કાર્યકર્તાઓનું નિરાશ થવું અને જનસમર્થનની ખોટ મુખ્ય કારણો છે.

2025માં અમદાવાદમાં એ.આઈ.સી.સી. અધિવેશન યોજાયું, 64 વર્ષ પછી! આ કોંગ્રેસના પુનરુત્થાનનો પ્રયાસ હતો. પી.સી.સી. પ્રમુખ અમિત ચાવડાએ ‘જન આક્રોશ યાત્રા’ શરૂ કરીને ભાજપની નીતિઓની ટીકા કરી પરંતુ વાસ્તવિકતા કઠોર છે. રાહુલ ગાંધીએ 2025માં ગુજરાત મુલાકાતમાં કહ્યું કે કાર્યકર્તાઓમાં બે વર્ગ છે એક જનસેવક અને બીજો જે ભાજપ સાથે જોડાયેલો છે. રાહુલે કહ્યું “અડધા કાર્યકર્તાઓ ભાજપ માટે કામ કરે છે.” નેતૃત્વનો અભાવ, કેન્દ્રીય નેતૃત્વની અનુપસ્થિતિ અને સક્રિય સંગઠનની ખોટને કારણે કાર્યકર્તાઓ નિરાશ છે. જનમત કોંગ્રેસથી વિખૂટું પડી ગયું છે અને ગણ્યા ગાંઠ્યા છતાં અનુભવી વરિષ્ઠ નેતાઓ હજુ પણ છે જેમનિનપાસે માત્ર તેમનો ભૂતકાળ છે.
કોંગ્રેસની પ્રાથમિક ચિંતા નેતૃત્વનો અભાવ અને જનમતની ખોટનો ઉકેલ લાવવાની છે. જો કાર્યકર્તાઓને મજબૂત કરવામાં, સંગઠન મજબૂત કરવામાં અને જનસંપર્ક વધારવામાં સફળ થાય તોજ કોંગ્રેસ ફરીથી બેઠી થઈ શકે. અનુભવ તેનું મુખ્ય ભાથું તો છે પરંતુ તેને વ્યવહારમાં ઉતારવા માટે નવી ઊર્જા અને સ્પષ્ટ નેતૃત્વ જરૂરી છે. કોંગ્રેસ આવનારી સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં તો સફળ નહીંજ થાય પરંતુ 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા મહેનત કરે તો બેઠી થઈ શકે.

