- Business
- રઘુરામ રાજનની ચેતવણી- જો યુદ્ધ લાંબો સમય ચાલ્યું તો મંદી આવી શકે છે; ક્રૂડ ઓઈલના ભાવ 200 ડૉલર સુધી જ...
રઘુરામ રાજનની ચેતવણી- જો યુદ્ધ લાંબો સમય ચાલ્યું તો મંદી આવી શકે છે; ક્રૂડ ઓઈલના ભાવ 200 ડૉલર સુધી જશે!
ઈઝરાયલ-ઈરાન યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે અને વૈશ્વિક અર્થતંત્રને ખોરવી નાખ્યું છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 119 ડૉલર સુધી પહોંચી ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ટેન્કરોના જહાજ ફસાઈ ગયા હોવાને કારણે LPG કટોકટી પણ સર્જાઈ છે. આ દરમિયાન, રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં, રઘુરામ રાજને આ પ્રકારની ગંભીર ચેતવણી આપી છે.
રઘુરામ રાજને કહ્યું કે, જો યુદ્ધ હજુ પણ એક મહિનાથી વધુ સમય સુધી ચાલુ રહ્યું તો ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 150 ડૉલરથી વધીને 200 ડૉલર પ્રતિ બેરલ થઈ શકે છે. યુદ્ધ લંબાવવાથી વૈશ્વિક મંદીનો ભય તોળાઈ રહ્યો છે. ભારત જેવા દેશો, જે આયાત પર ખૂબ આધાર રાખે છે, તેમના પર ગંભીર અસર પડશે. રાજને જણાવ્યું હતું કે, હાલમાં, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા વિશ્વના 15-20 ટકા ઉર્જા પુરવઠાને પહેલાથી જ કાપી નાખવામાં આવ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ માર્ગો પર હુમલાઓ અને ધમકીઓને કારણે તેલ જહાજો ફસાયેલા છે.
તેમણે જણાવ્યું હતું કે, જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો પુરવઠો વધુ ઘટશે. આને સંતુલિત કરવા માટે, 'જબરદસ્ત માંગ વિનાશ'ની જરૂર પડશે. આનાથી તેલના ભાવ પર અસર પડશે, જે સંભવિત રીતે 150 ડૉલરથી 200 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચશે. રાજને કહ્યું, 'આ એવી પરિસ્થિતિ છે જે મેં પહેલાં ક્યારેય જોઈ નથી.' ભૂતપૂર્વ ગવર્નરે ચેતવણી આપી હતી કે, જો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ હજુ પણ મહિના સુધી ચાલુ રહેશે, તો વૈશ્વિક અર્થતંત્ર ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે.
રાજને કહ્યું કે, તેલ અને ગેસના ઊંચા ભાવ અર્થતંત્રને આંચકો આપશે, કારણ કે ઊર્જા દરેક ક્ષેત્રનું જીવન છે. તેનાથી ફેક્ટરીઓ, પરિવહન, એરલાઇન્સ અને ઉત્પાદનને અસર પડશે. રાજને કહ્યું કે, આ 'અજ્ઞાત પ્રદેશ' છે, એટલે કે એવી પરિસ્થિતિ જ્યાં કોઈ આગાહી કરી શકાતી નથી, પરંતુ પરિણામો ભયંકર હશે. આનાથી વૈશ્વિક મંદીનું જોખમ તોળાઈ રહ્યું છે.
અહીં તમને જણાવી દઈએ કે, ભારત આ યુદ્ધથી સૌથી વધુ પ્રભાવિત થશે, કારણ કે તે તેની તેલ જરૂરિયાતોના 85 ટકાથી વધુ આયાત કરે છે. રાજને બતાવ્યું હતું કે, તેલના ભાવમાં પ્રતિ બેરલ 10 ડૉલરનો વધારો ભારતના ચાલુ ખાતાના ખાધમાં આશરે 17 અબજ ડૉલર (આશરે રૂ. 1.4 લાખ કરોડ)નો ઉમેરો કરે છે, જે GDPના 0.5 ટકા છે. ક્રૂડ ઓઇલનો વર્તમાન દર પણ ભારત પર નોંધપાત્ર દબાણ લાવી રહ્યો છે. જો દર પ્રતિ બેરલ 150-200 ડૉલરની રેન્જમાં વધે છે, તો આ બોજ અનેક ગણો વધશે. આનાથી રૂપિયો નબળો પડશે, ફુગાવો વધશે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચશે.

