- Entertainment
- અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'
18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વર્ષો પછી, તે હવે ભારત છોડીને જવા માંગે છે. અભિનેત્રીને લાગે છે કે, ભારતે તેનો સાથ છોડી દીધો છે. ગુરુવારે, મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે ભારત કેમ છોડી રહી છે તે બતાવ્યું હતું. તેણે એ પણ ખુલાસો કર્યો કે, તે ઈરાન પરત ફરી શકતી નથી કારણ કે ત્યાં તેના પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે.
વીડિયોમાં, મંદાના કહે છે, 'મને 10 વર્ષ પહેલાં ઈરાનથી પ્રતિબંધિત કરવામાં આવી હતી. હું પાછી જઈ શકતી નથી. હા, હું ભારત છોડી રહી છું, હું ભારતની બહાર જઈ રહી છું, પણ હું ઈરાન પાછી ફરી રહી નથી. હું ભારતથી નારાજ થઇ છું, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી મને અહીં કોઈ સમર્થન મળ્યું નથી. અચાનક, જ્યારે ખામેનીનું અવસાન થયું, અને જ્યારે ઇઝરાયલ અને અમેરિકાનો ઉલ્લેખ થયો, ત્યારે દરેકના મંતવ્યો હતા. દરેક વ્યક્તિ શેરીઓમાં ઉતારી આવ્યા, ખામેની માટે શોક વ્યક્ત કરી રહ્યા છે, જે હું કરી શકી ન હતી અને હજુ પણ કરી શકી નથી.'
અભિનેત્રીએ કહ્યું કે, 'સુરક્ષાના કારણોસર, હું એક જ જગ્યાએ અટકી ગઈ છું. મારા નજીકના મિત્રોને પણ સુરક્ષાના કારણોસર મારા સ્થાનની જાણકારી નથી. તેમ છતાં, હું મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છું, જેથી ઈરાનીઓનો અવાજ બુલંદ બને. મેં છેલ્લા છ વર્ષથી ફિલ્મોમાં અભિનય કરવાનું બંધ કરી દીધું છે, તે મારો પોતાનો નિર્ણય હતો.'
વીડિયોમાં, મંદાનાએ એમ પણ કહ્યું કે, 18 વર્ષની ઉંમરે ઈરાન છોડવા છતાં, તે તેનો દેશ છે. તેને તેના વિશે અભિપ્રાય રાખવાનો અધિકાર છે. તેણે કહ્યું કે તે જે ઇન્ટરવ્યુ આપી રહી છે તે પોતાના માટે નથી, પરંતુ ઈરાન માટે છે. તે પોતાના વિશે વાત કરવા માંગતી નથી, પરંતુ ફક્ત તેના દેશ વિશે વાત કરવા માંગે છે.
https://www.instagram.com/reel/DVgj5gUCDRM/
મંદાનાએ કહ્યું કે, જે મહત્વનું છે તે ઇસ્લામિક રિપબ્લિક વિશે સત્ય છે અને આ શાસનનો અંત શા માટે મહત્વપૂર્ણ છે. જે મહત્વનું છે તે ઈરાનીઓનો અવાજ છે જે સ્વતંત્રતા માટે બધું જોખમમાં મૂકી રહ્યા છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા, મંદાનાએ એમ પણ કહ્યું કે, તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
અભિનેત્રીએ કહ્યું કે, તેની ટિપ્પણીઓને સનસનાટીભરી બનાવવામાં આવી રહી છે, જ્યારે તે ફક્ત ઈરાન અને તેના લોકો વિશે વાત કરવા માંગતી હતી.

