- Gujarat
- પૂનમ તો મોટી ખેલાડી નીકળી, સ્કૂલમાંથી 2.24 કરોડ કમાઈ લીધા, પિતા-માતા-બહેનને 30 લાખથી વધુ પગાર આપ્યો
પૂનમ તો મોટી ખેલાડી નીકળી, સ્કૂલમાંથી 2.24 કરોડ કમાઈ લીધા, પિતા-માતા-બહેનને 30 લાખથી વધુ પગાર આપ્યો
સુરતના બહુચર્ચિત બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ બિલ્ડરની મહિલા મિત્રની ધરપકડ થઈ હતી. સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના જીવન ટૂંકાવવાના કેસમાં ACP ઝેડ.આર. દેસાઈએ તપાસના મહત્ત્વના પાસાઓ પર પ્રકાશ પાડ્યો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, બિલ્ડરની મહિલા મિત્ર અને આ કેસની મુખ્ય આરોપી પૂનમ ભદોરિયાએ તેના પરિવાર સાથે મળી ‘બ્લૂ પેપીલોન’ સ્કૂલમાંથી અલગ-અલગ રીતે કુલ 2.24 કરોડ રૂપિયા હાંસલ કર્યા છે. દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આરોપી પૂનમ ભદોરિયાએ વર્ષ 2018-2025 દરમિયાન ‘બ્લૂ પેપીલોન’ સ્કૂલમાંથી જંગીરકમ મેળવી હતી. જેમાં પગાર પેટે 92.34 લાખ, નફા પેટે 57.84 લાખ અને મૂડીના વ્યાજ પેટે 38.16 લાખ મળી કુલ 1,88,35,680 રૂપિયા મેળવ્યા હોવાનું દસ્તાવેજ પરથી સાબિત થઈ રહ્યું છે.
ACP ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, માત્ર પૂનમ જ નહીં, પરંતુ તેના પરિવારના સભ્યોએ પણ આ સંસ્થામાંથી આર્થિક લાભ લીધો હોવાનું જાણવા મળ્યું છે. પૂનમની બહેન પ્રિયા ચૌહાણે 14.95 લાખ પગાર પેટે લીધા છે. આ ઉપરાંત, પૂનમની માતા ઉર્મિલા અને પિતા બ્રિજમોહન ભદોરિયાએ પણ પગારના નામે ક્રમશઃ 10.40 લાખ અને 10.40 લાખ હાંસલ કર્યા છે. આમ, પૂનમના પરિવારના સભ્યોએ કુલ 35.75 લાખ સ્કૂલમાંથી મેળવ્યા હોવાની માહિતી સામે આવી છે.
ન્યૂઝ18ના અહેવાલ મુજબ, આ મામલે ઝેડ.આર. ACP દેસાઈના જણાવ્યા મુજબ, સ્કૂલ સંચાલનમાં આર્થિક વહિવટ બાબતે CA માર્ફતે છેલ્લા કેટલાય વર્ષોના આર્થિક વ્યવહારોની તપાસ કરવામાં આવી છે. જેમાં બહાર આવ્યું કે, આરોપી પૂનમ ભદોરીયાએ છેલ્લા 6 વર્ષમાં અંદાજે રૂ. 92 લાખ પગાર તરીકે મેળવી દીધા હતા. પરંતુ તેમના એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં તે મુજબનો સ્પષ્ટ રેકોર્ડ મળી આવ્યો નથી.
શાળામાં તેમની હાજરી અથવા જવાબદારી સંદર્ભે પણ કોઈ સત્તાવાર નોંધ અથવા પુરાવા મળ્યા નથી. છતા આટલા લાખો રૂપિયાની રકમ તેને પગાર પેટે કઈ રીતે ચૂકવાઈ એ પણ હાલ તપાસનો વિષય છે. તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે, આરોપી પૂનમે મૃતક તુષાર ઘેલાણી પાસેથી વ્યાજ પેટે 35 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ આ 35 લાખ રૂપિયા કઈ મૂડીના વ્યાજ પેટે લીધા તે અંગે પણ હાલ સુધી કોઈ પુરાવા મળી શક્યા નથી.
તપાસમાં જાણવા મળ્યું કે, ડુમસના એક ખેડૂત પાસેથી મૃતક તુષાર ઘેલાણીએ 11 લાખ લેવાના બાકી હતી. તુષારના કહેવાથી ખેડૂતે આ રકમનો ચેક પૂનમ ભદોરિયાના પિતા બ્રિજમોહનને આપ્યો હતો. આ રકમ બાબતે જ્યારે આરોપી પૂનમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કોઈ યોગ્ય ખુલાસો કર્યો નથી. આ મામલો પોલીસ તપાસનો વિષય છે. આ સમગ્ર પ્રકરણમાં પૂનમની બહેન પ્રિયા ચૌહાણની ભૂમિકા પણ શંકાસ્પદ છે. પોલીસે પ્રિયાને વારંવાર નિવેદન નોંધાવવા જણાવ્યું હોવા છતા તે હજુ સુધી પોલીસ સમક્ષ હાજર થઈ નથી. આર્થિક વ્યવહારો અંગે પ્રિયા ભદોરિયાએ કોઈ ખુલાસો કર્યો નથી. પોલીસ હવે આ દિશામાં કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
શું હતો સમગ્ર મામલો?
સુરતના અગ્રણી બિલ્ડર અને 'ઘેલાણી ગ્રુપ'ના માલિક તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરી, 2026ને રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાઉસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારી હતી. ત્યારબાદ તુષાર ઘેલાણીને ગંભીર હાલતમાં સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શહેરના નિષ્ણાત ડૉક્ટરોની ટીમે તેમને બચાવવા માટે દિવસ-રાત એક કર્યા હતા. 5 દિવસ સુધી તેઓ વેન્ટિલેટર પર જિંદગી અને મોત વચ્ચે લડતા રહ્યા.
જોકે ઈજા એટલી ગંભીર હતી કે ડૉક્ટરોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. બાદ પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા અંગદાનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ તેમને કાર્ડિયાક એરેસ્ટ આવતા મોત થયું હતું. તે દિવસ તેમની દીકરીના લગ્નનો દિવસ હતો. દીકરીના લગ્નનો દિવસ જ મૃત્યુ તિથિ બની જતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

