- Gujarat
- સુરતમાં ગેસ ગીઝર બન્યું કાળ: પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યા
સુરતમાં ગેસ ગીઝર બન્યું કાળ: પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યા
શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલી સોય શેરીમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. માત્ર ચાર દિવસ પહેલા જ મક્કા-મદીનાથી ઉમરાહ કરીને પરત ફરેલા એક સુખી પરિવારના ત્રણ સભ્યોના ગેસ ગીઝરમાંથી નીકળેલા કાર્બન મોનોક્સાઈડ ગેસને કારણે મોત નિપજ્યા છે.
મંગળવારે સવારે જ્યારે કેમિકલ વેપારી ફૈઝ અહેમદના ઘરનો દરવાજો લાંબો સમય સુધી ન ખુલ્યો અને ફોન પણ ન ઉપાડ્યા, ત્યારે તેમના ભાઈએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અંદરનું દ્રશ્ય જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. બેડરૂમમાં ફૈઝ અહેમદ (41) અને તેમના પત્ની મુબીનાબાનુ (37) મૃત હાલતમાં મળી આવ્યા હતા. હોલમાં 12 વર્ષનો પુત્ર નમાન મૃત અવસ્થામાં મળ્યો હતો. એવું જણાય છે કે નોમાન ગૂંગળામણ અનુભવાતા દરવાજો ખોલવા માટે હોલ સુધી પહોંચ્યો હતો, પરંતુ તે સફળ થાય તે પહેલા જ ઢળી પડ્યો હતો.
કેવી રીતે બની દુર્ઘટના
તબીબી તપાસ અને એફએસએલ (FSL) ના રિપોર્ટ મુજબ, બાથરૂમની બહાર રાખવામાં આવેલું ગેસ ગીઝર આખી રાત ચાલુ રહ્યું હતું. શક્ય છે કે રાત્રે કોઈ સભ્યએ હાથ-પગ ધોવા માટે ગરમ પાણીનો નળ ચાલુ કર્યો હોય અને તે બરાબર બંધ ન થતા ગીઝર સતત ચાલુ રહ્યું. ઘરના બારી-બારણાં બંધ હોવાથી ગીઝરમાંથી નીકળતો કાર્બન મોનોક્સાઈડ (CO) ગેસ આખા ઘરમાં ફેલાઈ ગયો હતો. આ ગેસ ગંધહીન અને રંગહીન હોવાથી પરિવારને તેની જાણ ન થઈ અને ઊંઘમાં જ પાંચ કલાકની અંદર ત્રણેયના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા.
પુત્રીનો ચમત્કારિક બચાવ
ફરીનનો બચાવ થયો છે. સોમવારે રાત્રે દાદીના ઘરે પ્રસાદનું પેકિંગ કરતી વખતે તે ત્યાં જ સૂઈ ગઈ હતી, જ્યારે ફૈઝભાઈ, તેમના પત્ની અને પુત્ર ઘરે સૂવા આવ્યા હતા. જો ફરીન પણ ઘરે ગઈ હોત તો કદાચ તે પણ આનો ભોગ બની હોત.
ગૃહ વપરાશમાં સાવચેતી:
ગીઝર હંમેશા બાથરૂમની બહાર અથવા ખુલ્લી જગ્યાએ લગાવો. બંધ બારી કે વેન્ટિલેશન વગરના બાથરૂમમાં ગીઝર ન વાપરો. બાથરૂમમાં એક્ઝોસ્ટ ફેન કે બારી ખુલ્લી રાખો. ગીઝરને લાંબા સમય સુધી સતત ચાલુ ન રાખો. વર્ષમાં એકવાર નિષ્ણાત પાસે સર્વિસ કરાવો. ગેસ લીકેજની ગંધ આવે તો સ્વીચ ચાલુ ન કરો. કાર્બન મોનોક્સાઈડ ડિટેક્ટર એલાર્મ લગાવો. ગીઝર ચાલુ રાખીને બાથરૂમમાં સૂઈ ન જાવ કે લાંબુ ન નાહવું.
સુરતની આ ઘટના ગેસ ગીઝરના જોખમો પ્રત્યે લાલબત્તી સમાન છે. કાર્બન મોનોક્સાઈડ એક 'સાયલન્ટ કિલર' છે, જે ઓક્સિજનના અભાવે જીવ લઈ શકે છે. હંમેશા આઈએસઆઈ (ISI) માર્કવાળા ઉપકરણો વાપરવા અને પૂરતા વેન્ટિલેશનનો આગ્રહ રાખવો જોઈએ.

